માલિયાસણમાં મકાનમાં ચોર ત્રાટક્યા: મવડી રોડના મંદિરમાં ચોરી
મકાનમાં ત્રાટકેલા ત્રણ શખ્સ સીસીટીવીમાં દેખાયા: મંદિરમાં ત્રાટેકલો શખ્સ રીઢો તસ્કર હતો: પોલીસના હાથમાં આવી જતાં પુછપરછ
દર્શનસિંહ જાડેજા દ્વારા
રાજકોટ મિરર, તા. 3
રાજકોટ: શહેરમાં એક તરફ ચોરીના બનાવોના ભેદ ઉકેલવામાં આવી રહ્યા છે તો બીજી તરફ ચોરે ઉપાડો લેવાનું ચાલુ રાખ્યું છે. શહેરના જામનગર રોડ પર માધાપર ચોકડી પાસે વ્હોરા પરિવારના ઘરમાં થયેલી લાખોની ચોરીમાં ભેદ ઉકેલી એલસીબી ઝોન-ટુની ટીમે તસ્કર અને તસ્કરણી એવા બંંટી-બબલીને પકડ્યા છે. તો બીજી તરફ રાજકોટના માલીયાસણ ગામમાં એક સોસાયટીના બંધ મકાનમાં ત્રાટકી તસ્કરો રોકડ દાગીના ચોરી ગયા છે. આ તસ્કરો સીસીટીવી કેમેરામાં કેદ થયા છે. બીજી તરફ મવડી રોડ પર પોલીસ સ્ટેશન નજીક જ આવેલા મંદિરમાં એક ચોર ત્રાટકી દાનપેટી ચોરી ગયો છે. જો કે આ ચોર ઓળખાઇ ગયો છે અને તે રીઢો તસ્કર છે. પોલીસે તેને સાણસામાં લઇ તપાસ શરૂ કરી છે.
વિગતો પર નજર કરીએ તો કુવાડવા રોડ પર આવેલા માલીયાસણ ગામ સનરાઇઝ પાર્ક સોસાયટીમાં રહેતા યુવાનના બંધ મકાનને નિશાન બનાવી તસ્કરો રોકડ તથા દાગીના મળી પાંત્રીસ હજારની માલમતા ચોરી ગયા છે. આ ગામમાં સનરાઇઝ પાર્ક સોસાયટી શેરી નં. 1 મકાન નં. 5 માં રહેતા વીસ વર્ષના યુવાન ધાર્મિક જગશીભાઇ વાઘાણીએ કુવાડવા રોડ પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી છે. જેમાં પોતે ફોર વ્હીલ ગાડીઓ ભાડે આપવાનો ધંધો કરે છે. પરમ દિવસે પોતાના સાળાનો જન્મદિવસ હોઇ, તેથી પત્ની સાથે ઘરને તાળુ મારી જામનગર ગયા હતા. ગઇકાલે બંને પરત આવ્યા બાદ ડેલીનું તાળુ ખોલી અંદરજતા ઘરના મેઇન દરવાજાનું તાળુ તુટેલું જોતા અંદર જતા રૂમમાં કબાટ ખોલીને તપાસ કરતા રૂા. 20 હજાર રોકડા તથા સોનાના દાગીના જોવા ન મળતા કોઇ અજાણ્યા શખ્સો રોકડ તથા દાગીના મળી રૂા. 35 હજારની માલમતા ચોરી ગયાની ખબર પડી હતી. તેણે વધુ તપાસ કરતા સીસીટીવી કેમેરામાં ત્રણ શખ્સો દેખાતા પોલીસને જાણ કરતા કુવાડવા રોડ પોલીસ મથકના પીએસઆઇ એ.બી. ઝાલા તથા રાઇટર ગોપાલભાઇ સહિતે સ્થળ પર પહોંચી ફુટેજ ચેક કરી વિશેષ કાર્યવાહી શરૂ કરી હતી.
ચોરીના બીજા બનાવમાં મવડી મેઇન રોડ પર પોલીસ સ્ટેશનની સામેના ભાગે જ આવેલા શ્રી સિધ્ધી વિનાયક મંદિરમાં એક તસ્કર ત્રાટકી દાનપેટી તોડી રોકડ ચોરી ગયો હતો. પોલીસે આ તસ્કરને ઓળખી કાઢી સકંજામાં લીધો છે. તે અગાઉ પણ મંદિર ચોરી, લૂંટ જેવા ગુનાઓ આચરી ચુક્યો છે.
શહેરના મવડી રોડ પર માલવીયાનગર પોલીસ સ્ટેશન નજીક જ આવેલા શ્રી સિધ્ધી વિનાયક મંદિરમાં દાનપેટી તોડી ચોરી કરવામાં આવી હતી. આ બનાવમાં એક તસ્કર સીસીટીવી કેમેરામાં કેદ થઇ ગયો હોઇ તેણે બુકાની બાંધી હોઇ પરંતુ તેના હલનચલન અને બીજી વર્તુણકને પગલે માલવીયાનગર પોલીસની ટીમ તેને ઓળખી ગઇ હતી. આ શખ્સ બીજો કોઇ નહિ પણ રીઢો તસ્કર અને અગાઉ પણ મંદિરોમાં ચોરીઓ, લૂંટ કરી ચુકેલો તસ્કર જ હોવાનું ઓળખાઇ જતાં તેનુ પગેરૂ દબાવી શોધી કાઢ્યો હતો. આ બનાવ 29/12ના રાતે પોણા ત્રણેક વાગ્યે બન્યો હતો. જેમાં એક તસ્કર અંદર ઘુસ્યો હતો અને દાન પેટી તોડી બારેક હજારની રોકડ રકમ ચોરી ગયો હતો. આ મામલે મંદિરની દેખરેખ સંભાળતા મોટા મવા જયનાથ પાર્ક-1માં રહેતાં બેતાલીસ વર્ષના દેવેન્દ્રસિંહ નરેન્દ્રસિંહ ગોહિલએ માલવીયાનગર પોલીસને જાણ કરી હતી. પોલીસે તપાસ કરતાં બુકાનીબાંધીને આવેલા તસ્કરે મંદિર અંદરનો કેમેરો ડિસમીસ જેવા હથીયારથી બંધ કરી નાંખ્યો હતો. બાદમાં ચોરી કરી નીકળી ગયો હતો. તપાસ શરૂ કરવામાં આવતાં રોડ સાઇડના કેમેરામાં તસ્કર દેખાતા જ તેને ઓળખી લેવાયો હતો. માલવીયાનગર પોલીસે વિશેષ તપાસ યથાવત રાખી હતી. આમ તસ્કરોએ શહેરને રંજાડવાનું ચાલુ રાખ્યું હતું.
