મુદ્દો ટોઈંગ
સમસ્યાઓનો પાર નથી. જાહેર સમસ્યાઓ ઉકેલવા પ્રયાસ થાય છે ત્યારે મૂળ સમસ્યા ઉકલતી નથી, પણ પ્રયાસના કારણે નવી બે સમસ્યા સર્જાઈ જાય છે. ગઈકાલે રૈયા રોડનો વિવાદ મીડિયામાં છવાયેલો રહ્યો હતો.
હનુમાન મઢીથી રૈયા ચોકડી સુધીના વ્યાપારીઓએ બંધ રાખીને તંત્રની કાર્યવાહીનો વિરોધ કર્યો હતો. આ માર્ગ પર કાયમ ટ્રાફિકની અરાજકતા રહે છે. તંત્ર દ્વારા ઘણા સમયથી પાર્કિંગ થયેલા વાહનો ટોઈંગ કરવામાં આવે છે. વાહન ચાલકો તગડો દંડ ભારે એટલે તે વાહન મુક્ત થાય છે. પ્રથમ નજરે આ મુદ્દો એવો લાગે કે, તંત્ર કામ કરે છે, તેનો વિરોધ શા માટે ? આ મુદ્દાને જ ટોઈંગ કરીને ઊંડા ઉતરો તો ખ્યાલ આવે કે કાર્યવાહી પરિણામથી નથી.
દિવાળી પૂર્વેથી ટોઈંગની કાર્યવાહી આ વિસ્તારમાં ચાલે છે, લાખો રૂપિયા દંડ રૂપે વસુલાયા હશે પણ ટ્રાફિકમાં સુધારો થયો હોય તેવું દેખાતું નથી. ટોઈંગ માત્રને માત્ર દંડ ઉઘરાવવાના ઈરાદાથી કે અન્ય રહસ્યમય ઉદેશથી થતું હોય તેમ લાગે છે.
આ ઉપરાંત રૈયા રોડ પર ડામર થયા બાદ પાર્કિંગ માટે સંકેત આપશે પીળા પત્તા પણ કરવામાં આવ્યા નથી. આ કારણે પણ પાર્કિંગ કે અન્ય એરિયાનો ખ્યાલ વાહનચાલકને આવતો નથી. સૌથી મોટી બાબત એ છે કે, માત્ર રૈયા રોડ પર જ નહી, સમગ્ર રાજકોટમાં કાયમી દબાણકારો ટ્રાફિકને ખૂબ નડે છે, પણ તેની સામે તંત્ર કઈ કાર્યવાહી કરીને તગડા દંડ વસૂલે છે. પરિણામથી કાર્યવાહીનો સંપૂર્ણ અભાવ છે.
રૈયા રોડ પર તો સાવ અણધડ ટ્રાફિકથી ખુદ દુકાનદારો પણ પરેશાન છે. તંત્ર સકારાત્મક દ્રષ્ટિકોણથી પરિણામથી રણનીતિ બનાવીને કાર્યવાહી આદરે તો લોકોનો ભરપૂર સહયોગ પ્રાપ્ત થાય તેમ છે. માત્ર દંડ ઉઘરાવવા કે અન્ય ઉદેશો સાથે મનસ્વીરૂપે દાદાગીરીથી કાર્યવાહી કરવાથી લોકો ત્રાહિમામ છે.
માત્ર રૈયા રોડ જ નહિ, સમગ્ર રાજકોટમાં ઓટોરીક્ષા ચાલકો ટ્રાફિકમાં સૌથી વધુ અંધાધુંધી સર્જે છે. મનફાવે ત્યાં પાર્કિંગ અને મનફાવે તેવું ડ્રાઈવિંગ કરે છે. સીસી ટીવી કેમેરા જોશો તો ખ્યાલ આવશે કે, ટ્રાફિક સિગ્નલોનો સૌથી વધારે ભંગ ઓટો રીક્ષા કરે છે.
બીજો પણ એક અભ્યાસ કરજો, ટ્રાફિક નિયમ ભંગના નામે વાહન ચાલકો પાસેથી લાખો રૂપિયા દંડ વસુલાઈ રહ્યો છે. જેમાં રીક્ષા ચાલકો પાસેથી વાસુલાયેલો દંડ સૌથી ઓછો હશે. નિયમ ભંગમાં ઓટો રીક્ષા સૌથી આગળ અને દંડ વસુલાતમાં સૌથી પાછળ. આ સ્થિતિ દર્શાવે છે કે, તંત્રને ટ્રાફિક પ્રશ્નો ઉકેલવાને બદલે સેટિંગમાં વધારે રસ હશે.
આવા તંત્ર સામે માત્ર રૈયા રોડ પર જ નહી, સમગ્ર રાજકોટમાંથી નિર્ણાયક આવાજ ઉઠવો જોઈએ.
