મહા સપાટો
વર્તમાન સમયમાં સૌથી ગુંચવણવાળી રાજનીતિ મહારાષ્ટ્રમાં છે. આ રાજનીતિમાં આજે ભગવો સૂર્યોદય ગૌરવભેર થયો છે, ગઈકાલે ઝારખંડ – મહારાષ્ટ્રની ધારાસભાની ચૂંટણીના પરિણામો જાહેર થયા હતા, બંને રાજ્યોમાં શાસકો યથાવત રહ્યા છે.
મહારાષ્ટ્ર મુંબઈ દેશની આર્થિક રાજધાની છે. આ રાજ્યમાં સત્તા દેશના રાજકીય સમીકરણો માટે મહત્વની ગણાય છે. આ રાજ્યમાં ભાજપ શક્તિશાળી બનીને ફરીથી સત્તામાં આવ્યો છે. 125 જેટલી બેઠકો ભાજપ એકલા હાથે જીત્યો છે, સાથી પક્ષો સાથે એનડીએ 225 બેઠકો સુધી પહોંચી ગયો છે, આ પરિણામો રાજનીતિનો મહા સપાટા સમાન છે.
ભાજપી મોરચાના હળાહળ વિરોધીઓ શરદ પવાર – ઉદ્ધવ ઠાકરે અને રાહુલ ગાંધીના પક્ષો ડિપ્રેશનમાં સરી પડે તેવા પરિણામો છે. રાહુલ ગાંધી તથા ઉદ્ધવ ઠાકરે અને ખાસ કરીને સંજય રાઉત બેફામ બનીને સરકાર રચવાના દાવા કરતા હતા. આ માટે હિન્દુત્વમાં ફાંટા પડાવીને અતિ જોખમી રણનીતિ અમલમાં મૂકી હતી. સંપૂર્ણપણે નેગેટીવ અને અવાસ્તવિક મુદા સાથે ચૂંટણીમાં ઝંપલાવ્યું હતું અઘાડીના ટોળાને લોકોએ ભગાવી દીધા છે.
ભાજપી મોરચો ઉભર્યો છે, જોકે ભાજપ એકલા હાથે શક્તિશાળી બન્યો છે. ગત ધારાસભામાં 105 બેઠકો હતી આ વખતે સવાસો આસપાસ બેઠકો મેળવી છે. સાથી પક્ષોનો દેખાવ પણ સારો રહ્યો છે, પણ ભાજપ પર સત્તા ચલાવવામાં સાથી પક્ષો મનમાની કરાવી નહિ શકે.
સૌથી મહત્વની બાબત એ છે કે ગત લોકસભાની ચૂંટણીમાં મહારાષ્ટ્રમાં ભાજપને મોટો ફટકો પડ્યો હતો. ભાજપ માટે આ પરિણામો આઘાતજનક હતા. રાષ્ટ્રીય સ્તરે ભાજપની તાકાત ઘટતી હતી. આ પરિણામોના કારણે કોંગ્રેસ શરદ પવાર – ઉદ્ધવ જૂથ જોરમાં હતા. જોકે ભાજપે ચૂંટણીમાં લોકસભા વખતની ભૂલો સુધારીને સંઘને સાથે રાખીને એક એક બેઠક પર વિશેષ રણનીતિ કરી હતી.
મહારાષ્ટ્રમાં યુપીના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથજીને વિશેષ જવાબદારી સોંપાઈ હતી. “બટેંગે તો કટેંગે” સૂત્ર સાથે યોગીજી દ્વારા મહારાષ્ટ્રમાં છવાઈ ગયા હતા. પરિણામોનું માર્કિંગ કરશો તો મહારાષ્ટ્રની બંને તાકતવર વસ્તી ભૂદેવો અને મરાઠીઓના મતો ભાજપને મળ્યા છે.
મહારાષ્ટ્રની ભગવી લહેરે દેશભરના ભાજપ સમર્થકોએ ઉજવણી કરી છે. જોકે સત્તા સાથે જવાબદારી પણ આવતી હોય છે. મહારાષ્ટ્રના મતદારોને યોગીજી જેવા શાસનની અપેક્ષા છે. આ પડકાર મહારાષ્ટ્રમાં ભાજપ સામે છે, સાથી પક્ષોને સાથે લઈને ચાલવું અને વિચારધારાને પણ મજબૂત કરવી એ કસોટી ગણાશે. આ કસોટીમાં પાર પડવું ફરજિયાત છે. મહારાષ્ટ્ર ભાજપ પર સંઘની અપેક્ષાનું દબાણ પણ વધશે.
