આકારણીમાં વિસંગતતા રાખીને ભારોભાર ગેરરીતિ આચર્યાની આશંકા પ્લોટધારક કાનજીભાઈ જોગડીયાએ તલાટી અને સરપંચ સામે તાકી શંકાની શોઈ
રાજકોટ મીરર, તા. 28
રાજકોટ નજીક આવેલ નાગલપર ગામમાં પ્લોટની આકારણી સમયે સંબંધિતોએ ગોટાળા કર્યા હોવાનો પ્લોટ ધારકે આક્ષેપ કર્યો હતો. ગામમાં આકારણી સમયે વિસંગતતા રાખીને ભારોભાર ગેરરીતિ આચાર્યાની આશંકા સેવાઈ રહી છે. પ્લોટધારક કાનજીભાઈ જોગડીયાએ તલાટી અને સરપંચ સામે પણ આક્ષેપ કર્યા છે. આ બાબતે પ્લોટધારકે સંબધિત કચેરીના અધિકારીને લેખિત જાણ કરી રજુઆત કરી હતી.
પ્રાપ્ત વિગતો મુજબ રાજકોટમાં આવેલ નાગલપર ગ્રામ પંચાયત દ્વારા 2019માં ગામની આકારણી કરવામાં આવી હતી. ત્યારે માપણી કરનાર એન્જિનિયર દ્વારા નાગલપર ગામમાં 200 નંબરનો પ્લોટ રાધાબેન જીવરાજભાઈ જોગડીયા નામે ફાળવી 15/12/2019માં રોજ આકારણી પત્રકમાં ઉલ્લેખ કર્યો હતો. અને તેને આકારણી પત્રક આપવામાં આવ્યું હતું. બાદ 2023માં રાધાબેનનું અવસાન થયું હતું. બાદ રાધાબેનના દિકરા કાનજીભાઈ જોગડીયા તે પ્લોટનો કબ્જો સંભાળયો હતો.હાલ તે પ્લોટમાં મકાન બનાવવું હોય જેથી તે મકાન બનાવ માટેની પ્રોસેસ કરતાં તેને માલુમ પડ્યું કે આ પ્લોટ સરકારી છે. અને જે તે વખતે પ્લોટનું આકારણી પત્રક આપવામાં આવ્યું હતું. પણ તે પ્લોટમાં મકાન બનાવી ન શકાય. બાદ કાનજીભાઈએ તે પ્લોટની ખરાઈ કરવાં માટે કાગળો ભેગા કર્યા હતા. ત્યારે માલૂમ પડ્યું કે 2019માં નાગલપર ગ્રામ પંચાયત દ્વારા આકારણી કરવામાં આવી ત્યારે 200 નંબરનો પ્લોટ રાધાબેન જોગડીયાના નામે ફાળવી આકારણી પત્રક આપવામાં આવ્યું હતું. જ્યારે માંગણા રજીસ્ટરમાં અગાઉ 200 નંબરની મિલકતમાં જૂનું બાલ મંદીર બતાવે છે. ત્યારે હાલ માંગણા રજીસ્ટરમાં 200 નંબરની મિલકતમાં જીવરાજભાઈ બચુભાઈ જોગડીયાનું નામ દર્શાવે છે. બંને માંગણા રજીસ્ટરમાં વિસંગતા જોવા મળતાં આ બાબતને લઈને કાનજીભાઈ જોગડીયાએ રાજકોટ તાલુકા પંચાયતના તાલુકા વિકાસ અધિકારીને રજૂઆત કરી હતી. જેમાં જણાવ્યું હતું કે પોતાનો પરિવાર વર્ષોથી નાગલપર ગામમાં રહે છે.
ગ્રામ પંચાયત દ્વારા અગાઉ 200 નંબરનો પ્લોટ આકારણી પત્રક સહિત વેરા પહોંચ આપી જગ્યાનો કબજો આપેલ હતો. તે વખતે સરપંચ દ્વારા જણાવાયું હતું કે આ જગ્યાના ખુટતા કાગળ ટૂંક સમયમાં મળી જસે. બાદ આજ સુધી કોઈ કાગળ મળેલ નથી. અને આ બાબતે કોઈ પણ જવાબ આપેલ નથી. તેમજ તલાટી દ્વારા જણાવાયું કે આ મિલકત રજીસ્ટરમાં નથી. ત્યાર બાદ ફરી કાનજીભાઇએ સરપંચને વાત કરેલ પણ કોઈ વ્યવસ્થિત જવાબ આપેલ નહિ. હાલમાં પણ તે જગ્યાનો કબ્જો ધરાવીએ છીએ. છેલ્લાં ત્રણ વર્ષથી નિયમિત કરવેરો ચૂકવું છું. અને હાલ તે જમીનમાં મકાન બનાવવું હોય જેથી આ વર્ષનો કરવેરો ભરવા ગયો ત્યારે તલાટીએ વેરો ભરવાની ના પાડી હતી. અને તે જગ્યા સરકારી છે તેવું જણાવ્યું હતું. આ બાબતે કાનજીભાઈએ આક્ષેપ સાથે ટીડીઓને રજુઆત પણ કરી હતી. રાજકોટ મીરર દ્વારા આ બાબતે તપાસ કરતા જાણવા મળ્યું કે 2019 માં આકારણી કરવામાં આવી હતી ત્યારે 200 નંબરનો પ્લોટ રાધાબેન જીવરાજભાઈ જોગડીયાના નામે દર્શાવ્યો હતો. અને તેની બાજુમાં સોમાભાઈ શિવાભાઈ ગેલડીયા નામે મિલકત બતાવે છે.
જ્યારે હાલ માંગણા રજીસ્ટરમાં 200 નંબરની મિલકત જીવરાજભાઈ બચુભાઈ જોગડિયા નામે અને રજીસ્ટર 201 માં જુનું બાલ મંદીર દર્શાવે છે. ત્યારે સવાલ એ પણ થાય કે જે તે વખતે કરેલ ગામની આકારણી ભૂલ ભરેલ કે વિસંગતા વાળી હોય તો આજ દીન સુધી કેમ ફરી આકારણી ન કરી? તે જમીન ખરેખર સરકારી છે કે માલિકીની કે પછી અગાઉ અધિકારીએ કરેલ ભૂલને ઢાંકવા તલાટી અને સરપંચ ઢાક પીછોળો કરે છે? શું તલાટી અને માપણી કરનાર એન્જિનિયરે તેના મળતિયાને પ્લોટ અપાવવા આ કારસ્તાન કર્યું હસે? પ્લોટધારકે રાજકોટ તાલુકા પંચાયતના ટીડીઓને રજુઆત કરી છતાં આજ દિન સુધી કોઈ ઉકેલ આવ્યો નથી. પ્લોટધારક દ્વારા દર વર્ષે ઘરવેરો, દિવાબત્તી વેરો, સફાઈ વેરો, પાણી વેરો ભરવામાં આવે છે. ત્યારે સવાલ એ થાય કે ખુલ્લા પ્લોટનો ઘર વેરો વસુલી શકાય? શું તે ગામના તલાટી આ બાબતે અજાણ છે? કે પછી જાણી જોઈને ઢાક પીછોળો કરે છે? ત્યારે તંત્ર અને સત્તાધીશો સામે પણ હાલ અનેક સવાલ ઉઠવા પામ્યાં છે.
અગાઉ કરેલી માપણી ખામી ભરેલી: સરપંચ
નાગલપર ગામના સરપંચે જણાવ્યુ હતું કે જે તે વખતે નાગલપર ગામમાં માપણી કરાવવા આવી હતી ત્યારે માપણી ભુલ ભરેલ થયેલ છે. તે જગ્યા પર અગાઉ બાલ મંદીર હતુ. અને હાલ ત્યાં ખૂલ્લો પ્લોટ છે. ત્યારે સવાલ ઉદભવે કે સરપંચને આ બાબતની ખ્યાલ હોવા છતાં આજ દિન સુધી ફરી આકારણી કરવાની કેમ તસ્દી લીધી ન હતી.
પ્લોટ ફાળવણીમાં વિસંગતતા ઉભી કરવામાં કોનું ભેજુ કારણ ભૂત?
નાગલપર ગામમાં 2019માં આકારણી કરી હતી ત્યારે અને હાલની આકારણીમાં વિસંગતતા વાળી જોવા મળે છે. અગાઉનું રજિસ્ટર અને હાલ માંગણા રજીસ્ટરમાં પણ વિસંગતતા જોવા મળે છે. ત્યારે આ બાબતને લઈને જવાબદાર અધિકારી દ્વારા શું કાર્યવાહિ કરવામાં આવશે કે કેમ? પ્લોટ ફાળવણીમાં વિસંગતતા ઉભી કરવામાં કોનું ભેજુ કારણ ભૂત છે? તે અંગે જવાબદાર અધિકારીએ તપાસ કરાવી જરૂરી બની છે.
