ફૂડ નિયમો કડક અને અમલ પણ સટીક હોવો જોઈએ : તંત્રની વૃત્તિની લેબોરેટરી પણ બનાવો
અમેરિકાના રાષ્ટ્રપતિની ચૂંટણીમાં રાજકોટ – ગુજરાતે ઇતિહાસ રચ્યો. ગુજરાતી મૂળના બે ડેમોક્રેટ ઉમેદવારે પણ જીત મેળવી છે. અમી બેરા કેલિફોર્નિયાથી અમેરિકન પ્રતિનિધિ સભા માટે ચૂંટાયા છે. તેમનું પૂરું નામ અમરીશ બાબુલાલ બેરા છે. તેઓ અમેરિકન કોંગ્રેસમાં લાંબા સમયથી સેવા આપે છે. તેમની સેવાકી કદર કરાઈ છે. આનંદની બાબત એ છે કે અમરીશ બેરા મૂળ રાજકોટના છે.
રાજકોટ-સૌરાષ્ટ્રના લોકોની કદર દેશ-વિદેશમાં ખૂબ થાય છે. પણ સવાલ એ છે કે રાજકોટ વાસીઓની રાજકોટમાં કદર થાય છે ? જવાબ છે, ના. રાજકોટમાં રાજકોટ વાસીઓ ટ્રાફિકમાં આડેધડ અથડાય છે, એડવાન્સ વેરા ભરીને સુવિધા ના નામે અન્યાય ભોગવે છે, શહેરને સ્વચ્છતાનો એવોર્ડ મળે છે પણ રાજકોટ વાસીઓ ગંદકીમાં ખદબદે છે. મોંઘુદાટ ફૂડ ખરીદીને રાજકોટીયંશ ભેળસેળનો ભોગ બને છે.
આપણા દરેક તહેવારો-પર્વો સુખ-દુ:ખના પ્રસંગોમાં વિવિધ પ્રકારના ફૂડનું મહત્વ છે. અંદાજે 30% જેટલું જ ફૂડ ઘરે બને છે, 70% માર્કેટ ફૂડ પર આપણે આધારિત બની ગયા છીએ. ખોરાક જીવનની પ્રાથમિક જરૂરિયાત છે, તેનાથી પોષણ મળે છે અને જીવનનું અસ્તિત્વ જળવાય છે. જોકે મોટાભાગનું બ્રાન્ડેડ- નોન બ્રાન્ડેડ ફૂડ શંકાસ્પદ બની ગયું છે. ફૂડના નામે છેતરપિંડી, ભેળસેળ ઓખાદ્ય તત્વો વેચવામાં આવે છે. આવું ફૂડ પોષણને બદલે જીવલેણ રોગનો ભોગ બનાવવા સક્ષમ છે.
જીવલેણ સમસ્યા છતાં તંત્ર કે લોકો ગંભીર નથી. અખાત્ય ફૂડને નાશ કરે છે, નજીવો દંડ વસૂલીને મામલાના ફીંડલા વળે છે, ઝેરી ફૂડના ધંધાર્થીઓ છટકી જાય છે, ફાસ્ટ અને ટેકનોલોજીના યુગમાં જન્માષ્ટમીએ લેવાયેલા ફૂડના નમુનાનો રિપોર્ટ દિવાળીએ આવે છે, લોકોને મૂરખ બનાવવાના જ આ ધંધા ગણાય.
આ ભયાવહ સ્થિતિ વચ્ચે એક ખુશખબર આવી કે રાજકોટમાં ફૂડ ટેસ્ટિંગ લેબોરેટરી બનશે. આ માટે અધિકારીઓની ભરતી પ્રક્રિયા શરૂ થઈ ગઈ છે. અત્યાર સુધી રાજકોટમાં લેવાયેલા ફૂડ સેમ્પલ વડોદરા મોકલાતા હતા. ત્રણ-ચાર મહિને રિપોર્ટ આવતા. રાજકોટમાં ફૂટ લેબોરેટરી બને એ અત્યંત જરૂરી કદમ છે.
સવાલ એ છે કે ફૂડના સેમ્પલના રિપોર્ટ આવી ગયા પછી શું ? સામાન્ય દંડ, સામાન્ય સજા કરીને મામલો પૂરો કરવામાં આવે છે. જાહેર આરોગ્ય પર મહાકાય જોખમ છતાં ગંભીરતાથી મુદ્દો લેવામાં આવતો નથી. ઉપરાંત અધિકારીઓ દ્વારા સેમ્પલ લેવાની પ્રવૃત્તિ પણ શંકાસ્પદ છે. અધિકારીઓની વૃત્તિની પણ લેબોરેટરી બનવી જોઈએ.
ફુડ ક્ષેત્રના કાયદા કડક અને અમલ સટીક હોવો જોઈએ. ભેળસેળિયા ઝેરી ફૂડ હજારો લોકોના જીવ ઉપર જોખમ સમાન છે. ફાંસી સુધીની જોગવાઈ કેમ નથી કરાતી ? એકની એક પાર્ટી વારંવાર ભેળસેળિયા ફૂડમાં ઝડપાય તેનો અર્થ એ કે લાખો રૂપિયા કમાઈને હજારનો દંડ ભરીને છટકી જાવ.