આંતર માળખાકીય સુવિધાઓના કામો માટે રૂપિયા 126 કરોડ કર્યા મંજૂર
રાજકોટ, તા. 12
મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે રાજ્યના નગરો-મહાનગરોમાં વસવાટ કરતા નાગરિકોની સુખાકારીમાં વૃદ્ધિથી ઈઝ ઓફ લિવિંગ વધારવાના હેતુસર 14 નગરો અને એક મહાનગરમાં બહુવિધ વિકાસ કામો માટે 253.94 કરોડ રૂપિયા મંજૂર કર્યા છે. ગુજરાતના વર્લ્ડ ક્લાસ ડેવલપમેન્ટના પરિણામે વધતા જતા વ્યાપાર-ઉદ્યોગોને કારણે તીવ્ર બનેલા શહેરીકરણના પડકારોને તકમાં પલટાવવા વર્તમાન વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીએ 2010માં ગુજરાતની સ્થાપનાના સ્વર્ણિમ જયંતિ વર્ષે સ્વર્ણિમ જયંતિ મુખ્યમંત્રી શહેરી વિકાસ યોજના શરૂ કરાવી હતી. આ યોજનાની ઉત્તરોત્તર સફળતાને પગલે તેને 2026-27 સુધી ચાલુ રાખવામાં આવી છે.
નગરો-મહાનગરોમાં લોક સુવિધા-સુખાકારીના કામો માટે આ યોજના અંતર્ગત સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાઓને રકમ ફાળવવામાં આવે છે. તદઅનુસાર, મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે સ્વર્ણિમ જયંતિ મુખ્યમંત્રી શહેરી વિકાસ યોજનામાંથી આ 253.94 કરોડ રૂપિયા મંજૂર કર્યા છે. તેમણે જસદણ નગરપાલિકાને ભાદર નદી પર રિવરફ્રન્ટના આગવી ઓળખના કામ માટે રૂ. 6 કરોડ, એટલું જ નહીં, જુનાગઢ મહાનગરપાલિકાને સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સ, ટાઉનહોલ તેમજ નરસિંહ વિદ્યા મંદિર બિલ્ડીંગ હેરિટેજના કામ માટે 40 કરોડ રૂપિયા મંજૂર કર્યા છે. શહેરની આગવી ઓળખ ઉભી થાય તેવા કામોમાં હેરિટેજ અને પ્રવાસન, પ્રદર્શન હોલ, ટ્રાફિક સર્કલ આઇલેન્ડ્સ, વોટર બોડી લેન્ડ સ્કેપિંગ, રીવરફ્રન્ટ, લેક બ્યુટીફિકેશન, મ્યુઝિયમ, આઈકોનિક બ્રિજ વગેરે કામો તેમજ શહેરોની શોભામાં અભિવૃદ્ધિ કરતા આઇકોનિક કામોનો સમાવેશ થાય છે.
વેરાવળ-પાટણ નગરપાલિકાને સોમનાથ ટ્રસ્ટ એરીયા અને વેરાવળ પાટણના બાકી રહેતા વિસ્તારો માટે ભૂગર્ભ ગટર અને પાણી પુરવઠાના કામો માટે રૂ. 26.69 કરોડ મુખ્યમંત્રીશ્રીએ મંજૂર કર્યા છે. સ્વર્ણિમ જયંતિ મુખ્યમંત્રી શહેરી વિકાસ યોજના અન્વયે ભૌતિક આંતરમાળખાકીય સુવિધાના કામોમાં પાણી પુરવઠા, ભૂગર્ભ ગટર વ્યવસ્થાપન, વોટર, ડ્રેનેજ કામો, જળસિંચનના કામો, સ્લમ વિસ્તારમાં પાયાની સુવિધાના કામો વગેરેનો સમાવેશ કરવામાં આવેલો છે. આ ઉપરાંત પોરબંદર-છાયા નગરપાલિકા ખાનગી સોસાયટી જનભાગીદારી યોજનામાંથી પીવાના પાણીની પાઇપલાઇન, સી.સી. રોડ અને કઊઉ સ્ટ્રીટ લાઈટના કામો માટે રૂ. 53.68 લાખ મંજૂર કરવામાં આવ્યા છે. ટંકારા અને વાઘોડિયા નગરપાલિકાને ચોમાસામાં વરસાદના કારણે નુક્શાન પામેલા રસ્તાઓના રિસર્ફેસીંગ-રીપેરીંગ માટે 80 લાખ રૂપિયા મુખ્યમંત્રીએ મંજુર કર્યા છે.આ સ્વર્ણિમ જયંતિ મુખ્યમંત્રી શહેરી વિકાસ યોજનામાં 2010થી અત્યાર સુધીમાં 61,977 કરોડ રૂપિયાનું બજેટ પ્રાવધાન થયેલું છે.
આ બજેટ પ્રાવધાન અન્વયે રાજ્યની મહાનગરપાલિકા-નગરપાલિકાઓને આંતરમાળખાકીય વિકાસના 67,360 કામો મંજૂર કરીને રૂ. 32,647 કરોડ ગ્રાન્ટ ચૂકવવામાં આવી છે .મુખ્યમંત્રી શહેરી સડક યોજના અંતર્ગત મહાનગરો-નગરો મળી કુલ 6462 કામો માટે રૂ. 3110.32 કરોડ રૂપિયાની ગ્રાન્ટ રાજ્ય સરકારે આપી છે.