ટ્રાફિક સમસ્યાને ભૂતકાળ બનાવવા રાજ્ય સરકાર દ્વારા લેવાયો નિર્ણય અત્યાર સુધીમાં 265 કામો માટે 1307 કરોડ રૂૂપિયા થયા છે મંજૂર
રાજકોટ, તા. 7
કોઈપણ દેશ અને રાજ્યનો વિકાસ ત્યારે જ શક્ય બને કે જ્યારે માળખાગત સુવિધા નો સહેજ પણ અભાવ ન હોય આ વાતની ગંભીરતાને ધ્યાને લઈ રાજ્ય સરકાર દ્વારા રાજ્યના તમામ મુખ્ય શહેરોમાં ખાસ માળખાગત સુવિધા ઉપર ધ્યાન કેન્દ્રિત કરવામાં આવી રહ્યું છે જેના માટે રોડ રસ્તા સહિતના તમામ કામોને લઈને ખર્ચ પણ થઈ રહ્યો છે ત્યારે ગઈકાલે રાજ્ય સરકાર દ્વારા કુલ 32 જેટલા રસ્તાઓનું એટલે કે મુખ્ય માર્ગોને અધ્યતન બનાવવા માટે આશરે 700 કરોડથી વધુની રકમ મંજૂર કરી છે.
મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે નાગરિકોને સલામત, સુરક્ષિત અને સુવિધા સભર રોડ નેટવર્ક પૂરું પાડવા માટેનો એક વધુ મહત્વપૂર્ણ પ્રજાલક્ષી નિર્ણય કર્યો છે. મુખ્યમંત્રીએ આ હેતુસર રાજ્યના માર્ગ અને મકાન વિભાગ હેઠળના રસ્તા-પૂલોના નેટવર્કને સુવ્યવસ્થિત કરવા કુલ 32 માર્ગો પર નવા મેજર-માઈનર પૂલોના બાંધકામ માટે 778.74 કરોડ રૂૂપિયાની કરવામાં આવેલી દરખાસ્તને મંજૂરી આપી છે.
મુખ્યમંત્રીએ રાજ્યના સર્વગ્રાહી વિકાસની ધોરીનસ સમાન રોડ ઇન્ફ્રાસ્ટ્રક્ચરને સુદ્રઢ કરીને નાગરિકો તેમજ ઉદ્યોગ-વેપાર સૌને ઈઝ ઓફ ટ્રાન્સપોર્ટેશન આપવાનો અભિગમ અપનાવ્યો છે.
એટલું જ નહીં, માર્ગો પરના સાંકડા પૂલ સ્ટ્રકચર્સને પહોળા કરીને લોકોને ટ્રાફિકજામ થવાની સમસ્યાથી મુક્તિ આપવા સહિત જુના અને નબળા હયાત પૂલો, સ્ટ્રક્ચર્સના સ્થાને મેજર-માઈનર પૂલોના પુન: બાંધકામ-મરામત વગેરે કામો પણ હાથ ધરવામાં આવી રહ્યા છે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે અત્યાર સુધીમાં આવા 265 કામો માટે સમગ્રતયા 1307 કરોડ રૂૂપિયા મંજૂર કરેલા છે.
માર્ગ મકાન વિભાગે મુખ્યમંત્રી સમક્ષ તાજેતરમાં રજૂ કરેલી 32 માર્ગો પરના નવા મેજર- માઈનર પૂલોના બાંધકામ માટેની 778.74 કરોડની દરખાસ્તને તેમણે અનુમતિ આપી છે.
આમ, મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે પાછલા બે વર્ષમાં રોડ ઇન્ફ્રાસ્ટ્રક્ચર સુદ્રઢીકરણના વિવિધ 297 કામો માટે કુલ 2086 કરોડ રૂૂપિયા મંજૂર કર્યા છે. મુખ્યમંત્રીના આ પ્રજા હિતકારી નિર્ણયને પરિણામે આગામી દિવસોમાં નાગરિકોને વધુ સુવિધાજનક રોડ નેટવર્ક મળવાથી યાતાયાત સરળ બનશે તેમજ ઈઝ ઓફ લિવિંગમાં પણ વૃદ્ધિ થશે.