મુંબઈ પોલીસને ટ્રાફિક હેલ્પલાઇનના વોટ્સએપ નંબર પર મળ્યો મેસેજ
પાકિસ્તાનની ગુપ્તચર એજન્સી ISIના એજન્ટ વડાપ્રધાન નરેન્દ્ર મોદી વિરુદ્ધ બોમ્બ બ્લાસ્ટનું કાવતરું ઘડી રહી હોવાનું જણાવાયુ : તપાસ શરૂ
નવીદિલ્હી, તા. 7
મુંબઈ પોલીસને તેની ટ્રાફિક હેલ્પલાઈનના વોટ્સએપ નંબર પર ધમકીભર્યો મેસેજ મળ્યો છે. આ મેસેજમાં કહેવામાં આવ્યું છે કે પાકિસ્તાનની ગુપ્તચર એજન્સી ISIના એજન્ટ વડાપ્રધાન નરેન્દ્ર મોદી વિરુદ્ધ બોમ્બ બ્લાસ્ટનું કાવતરું ઘડી રહ્યા છે. આ મેસેજ સામે આવ્યા બાદ ગભરાટ ફેલાયો હતો અને સમગ્ર પોલીસ વિભાગ એલર્ટ મોડ પર આવી ગયું હતું. પોલીસે આ મામલે FIR નોંધી છે. પોલીસે જે નંબર પરથી મેસેજ આવ્યો તેની તપાસ કરી તો જાણવા મળ્યું કે આ નંબર રાજસ્થાનના અજમેરનો છે. આ પછી મુંબઈ પોલીસે મેસેજ મોકલનાર વ્યક્તિને પકડવા માટે ત્યાં એક ટીમ મોકલી છે. એક પોલીસ અધિકારીએ જણાવ્યું કે સંદેશમાં બે ISI એજન્ટોની સંડોવણી અને વડાપ્રધાન નરેન્દ્ર મોદી પર બોમ્બથી હુમલો કરવાના કાવતરાનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે. પોલીસ વિભાગ સંપૂર્ણ રીતે સતર્ક છે પરંતુ આવા મોટા ભાગના કિસ્સાઓમાં એવું બહાર આવ્યું છે કે દારૂના નશામાં કે માનસિક સ્વાસ્થ્ય સમસ્યાઓથી પીડિત લોકો આવા ધમકીભર્યા સંદેશા મોકલે છે. મુંબઈ પોલીસને તેના વોટ્સએપ નંબર પર આવા મોટાભાગના ધમકીભર્યા મેસેજ મળે છે. આ નંબર ટ્રાફિક પોલીસ હેલ્પલાઇન નંબર તરીકે શરૂ કરવામાં આવ્યો છે.
મુંબઈ ટ્રાફિક પોલીસને છેલ્લા 10 દિવસમાં અભિનેતા સલમાન ખાનને મારી નાખવાની ધમકી આપતા 2 મેસેજ મળ્યા છે. શુક્રવારે મોકલવામાં આવેલા આવા જ એક મેસેજમાં લખવામાં આવ્યું હતું કે – જો સલમાન ખાન જીવતો રહેવા માંગતો હોય તો તે કોઈ મંદિર (રાજસ્થાનમાં બિશ્નોઈ સમુદાયનું મંદિર) જઈને સમુદાયની માફી માંગે અથવા 5 કરોડ રૂપિયા આપે. જો તેઓ આવું નહીં કરે, તો અમે તેમને ખતમ કરીશું. બિશ્નોઈ ગેંગ હજુ પણ સક્રિય છે. મુંબઈ પોલીસ અધિકારીઓનું કહેવું છે કે જો કે આ ધમકીઓને ગંભીર માનવામાં આવી રહી નથી, પરંતુ સુરક્ષા વ્યવસ્થા વધારી દેવામાં આવી છે અને કોઈપણ પ્રકારની સ્થિતિને હળવાશથી લઈ શકાય નહીં. પોલીસની સાયબર ટીમ અને ક્રાઈમ બ્રાન્ચના અધિકારીઓ આ મેસેજનો સ્ત્રોત શોધવામાં વ્યસ્ત છે. પોલીસનું કહેવું છે કે તેઓ આ મામલે ટૂંક સમયમાં સ્પષ્ટતા લાવવાનો પ્રયાસ કરશે.
