લોધિકા તાલુકાના દેવગામ ગામ નજીકની ત્રણ કરોડની કિંમતની જમીન કરાવાઈ ખાલી : અન્ય જગ્યાઓ પર ફરશે બુલડોઝર
રાજકોટ તા. 26
છેલ્લા ઘણા સમયથી સમગ્ર રાજ્યમાં રાજ્ય સરકાર દ્વારા સરકારી જગ્યા પર જે દબાણ ઊભા થયેલા હોય તેને દૂર કરવા માટે તાકીદ કરવામાં આવી છે અને તે માટેના આદેશ પણ કરાયા છે હવે મહત્વનું એ છે કે આ કામગીરી ઝડપભેર કઈ રીતે આટોપવામાં આવે તેને લઈ જિલ્લા વહીવટી તંત્ર દ્વારા હાલ તમામ તૈયારીઓ આ ટોપી લેવામાં આવી છે હવે માત્ર ડિમોલિશનની જ કામગીરી હાથ ધરવામાં આવે તે મુજબનું આયોજન કરવામાં આવ્યું છે. મહત્વનું એ છે કે સરકારી જગ્યા પર અનેકવિધ દબાણો થયેલા છે અને ઘણા સમય સુધી તેને દૂર કરવામાં આવ્યા નથી તેનો મતલબ એ પણ થાય કે સરકારી વિભાગની ઢીલી નીતિ ઘણાખરા અંશે પ્રશ્ન ઊભા કરી રહી છે.
રાજ્ય સરકારમાં આ અંગે વ્યાપક ફરિયાદો થયેલી છે જેનું નિવારણ લાવવા માટે હાલ સરકાર દ્વારા નક્કર પગલા ના ભાગરૂપે તમામ વહીવટી તંત્ર અને જિલ્લા કલેકટરોને સૂચિત કરી દેવામાં આવ્યા છે કે તેમના વિસ્તારમાં એટલે કે તેમના જિલ્લામાં જે જગ્યાએ ગેરકાયદે દબાણો હોય પછી તે મંદિરના દબાણો હોય કે હાઇવે પરના દબાણો હોય તેને તાકીદે દૂર કરવામાં આવે. આ વાતની ગંભીરતાને ધ્યાને લઈને જ અત્યારે સમગ્ર રાજ્યમાં હાલ દબાણો દૂર કરવાની કામગીરી ઝડપભેર થઈ રહી છે. રાજકોટ જિલ્લાની વાત કરવામાં આવે તો ડિસ્ટ્રિક્ટ મેજિસ્ટ્રેટ અને જિલ્લા કલેક્ટર પ્રભાવ જોશીએ રેવેન્યુના અધિકારીઓને સૂચિત કરી દીધા છે અને તેમને ખાસ યાદી બનાવવાનું પણ જણાવાયું છે જેથી ગેરકાયદે દબાણો થયેલા હોય તેને દૂર કરવામાં આવે અને તેના પર બુલડોઝર ફેરવી દેવામાં આવે. ત્યારે રાજકોટ જિલ્લા કલેકટરના માર્ગદર્શન હેઠળ હાલ સરકારી ખરાબાની જગ્યા પર જે જગ્યાએ ગેરકાયદે બાંધકામો અથવા કહી શકાય કે વાણિજ્ય હેતુ માટે ઉપયોગમાં લેવાતા બિલ્ડિંગો ખડકી દેવામાં આવ્યા હોય તે તમામ બાંધકામોનું ડિમોલિશન હાલ કરવામાં આવી રહ્યું છે અને જગ્યાને ખુલી કરાવવામાં આવે છે. ગઈકાલે લોધીકા તાલુકાના દેવગામ માં સરકારી ખરાબાની જગ્યામાં અલગ અલગ ચાર હોટલો દ્વારા દબાણ કરવામાં આવ્યો હતો જેને દૂર કરી દેવામાં આવ્યું છે.રાજકોટ જિલ્લા કલેકટર પ્રભવ જોશીના માર્ગદર્શન હેઠળ સરકારી ખરાબાની જમીન ઉપર ગેરકાયદે બાંધકામ કરાયેલા કોમર્શિયલ બાંધકામોનું ડિમોલીશન કરીને જગ્યાઓ દબાણમુક્ત કરવામાં આવી રહી છે.
જે અન્વયે રાજકોટ જિલ્લાના લોધિકા તાલુકાના દેવગામ ગામે રાજકોટ-કાલાવડ મેઈન રોડ ઉપર આવેલ સરકારી ખરાબાની જમીન રેવન્યુ સ.નં.40 અને સ.નં.81 ની જમીન આશરે 2500 ચો.મી. માં જુદી-જુદી કુલ-4 હોટેલ કરી અનઅધિકૃત દબાણ કરવામાં આવ્યું હતું. અંદાજિત રૂ. 3 કરોડની કિંમતની 2500 ચોરસ મીટર જેટલી સરકારી જમીન ખાલી કરાવવામાં આવી છે.
આ જગ્યાના દબાણકર્તાઓને અગાઉ પણ નોટીસ પાઠવવામાં આવી હતી. અનઅધિકૃત કબ્જો ખાલી કરવા 7 દિવસથી વધુ સમય પણ આપવામાં આવ્યો હતો, પરંતુ તેઓએ ધ્યાને ન લેતાં ગેરકાયદે થયેલા આ તમામ બાંધકામોને ખાલી કરવા ડિમોલીશન હાથ ધરવામાં આવ્યું હતું. ખાલી કરાયેલી જમીન પર ફરીવાર દબાણ ના થાય તે માટે આ જમીનના ફરતે ફેન્સિંગ કરવામાં આવશે. તેમ લોધિકા મામલતદારની યાદીમાં જણાવાયું છે. આ સમયે નાયબ મામલતદારઓ, રેવન્યુ વીભાગના કર્મચારીઓ, પોલીસ, ફાયર અને પી.જી.વી.સી.એલના કર્મચારીઓ ઉપસ્થિત રહ્યા હતા.
