24 કલાકમાં બેના મૃત્યુ : શુક્રવારે તમિલનાડુની પ્રવાસીનું થયું હતું મૃત્યુ
શિમલા, તા.19
હિમાચલ પ્રદેશના કાંગડા અને કુલ્લુ જિલ્લામાં 24 કલાકમાં બે અલગ અલગ પેરાગ્લાઈડંગ દુર્ઘટનામાં બે પ્રવાસીઓના મૃત્યુ થયા હતા. પોલીસે જણાવ્યું કે, મૃતક ગુજરાત અને તમિલનાડુના હતા. ધર્મશાળા પાસે ઈંદ્રુનાગ પેરાગ્લાઈડિંગ સાઇટ પરથી શનિવારે સાંજે ઉડાન ભર્યા બાદ અમદાવાદની ભાવસાર ખુશી પડી ગઈ હતી. પાયલટ પણ તેની સાથે પટકાયો હતો અને તેને ઇજા પહોંચી હતી. કાંગડાના એએસપી વીર બહાદુરે જણાવ્યું કે, પાયલટને સારવાર માટે ટાંડા મેડિકલ કોલેજમાં મોકલવામાં આવ્યો હતો. હાલ તમામ પાસાઓની તપાસ કરવામાં આવી રહી છે.
આ પહેલા શુક્રવારે સાંજે કુલ્લુ જિલ્લામાં ગાર્સા લેન્ડિંગ સાઇટ પાસે પેરાગ્લાઇડિંગ કરતી વખતે તમિલનાડુના 28 વર્ષીય પ્રવાસીનું મૃત્યુ થયું હતું. જ્યારે પાયલટ ગંભીર રીતે ઘાયલ થયો હતો. આ દુર્ઘટનામાં બે પેરાગ્લાઇડર એકબીજા સાથે અથડાયા હતા. દુર્ઘટના બની ત્યારે બંને જમીનથી 100 ફૂટ ઉપર હતા. જેમાં જયશ રામનું મોત થયું હતું. જ્યારે પાયલટ અશ્વિનીકુમારને ગંભીર ઇજા પહોંચી હતી અને સારવાર માટે પીજીઆઈ ચંડીગઢ લઇ જવાયો હતો.
7 જાન્યુઆરીના રોજ કુલ્લુ જિલ્લાના મનાલીથી 20 કિલોમીટર દૂર રાયસનમાં પણ પેરાગ્લાઇડિંગ વખતે આંધ્રપ્રદેશના એક પ્રવાસીનું મૃત્યુ થયું હતું. જે બાદ પર્યટન અધિકારીએ પ્રારંભિક તપાસમાં બેદરકારી બદલ આ સાઇટને બંધ કરી દીધી હતી. પ્રારંભિક તપાસમાં ઓપરેટરની લાપરવાહી સામે આવી હતી. જે બાદ ઓપરેટરનું લાયસન્સ પણ રદ્દ કરી દેવામાં આવ્યું હતું.
વધુ વિગતો મળી હતી કે હિમાચલ પ્રદેશના ધર્મશાલામાં લોકપ્રિય ઈન્દ્રુનાગ પેરાગ્લાઇડિંગ સાઈટ પર ગુજરાતની 19 વર્ષીય ભાવસાર ખુશી જીગ્નેશભાઈ (રહે. સહજાનંદ એવન્યુ ટોરેન્ટ પાવર લિમિટેડ પાસે નારણપુરા, અમદાવાદ)નું મૃત્યુ થયું હતું.જ્યારે પાઇલટ ગંભીર રીતે ઘાયલ થયો હતો. મૃતકની ઓળખ ભાવસાર ખુશી જીગ્નેશભાઈ (ઉં.વ.19), સહજાનંદ એવન્યુ ટોરેન્ટ પાવર લિમિટેડ પાસે નારણપુરા, અમદાવાદ તરીકે થઈ છે.સાંજે 5:55 વાગ્યે પેરાગ્લાઇડિંગ માટે નીકળી હતી. ટેકઓફ કરતી વખતે પેરાગ્લાઇડર ન ખૂલ્યું 60 ફૂટ ઊંડી ખીણમાં ખાબકી હતી સારવાર દરમિયાન મોત થયું હતું. તેમજ ઘાયલ પાઇલટની ઓળખ ધર્મશાલાના તાહુ ચોલા નિવાસી પ્યારે લાલના પુત્ર મુનીશ કુમાર તરીકે થઈ છે. તેને સારવાર માટે હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો છે.
