એકતાનગર ખાતે રૂપિયા 284 કરોડના વિવિધ વિકાસ કામોના થશે લોકાર્પણ અને ખાતમુહૂર્ત
રાજકોટ, તા. 29
31 ઓક્ટોબરે પ્રકાશપર્વ દિવાળી અને સરદાર વલ્લભભાઈ પટેલની જન્મજયંતિનો પાવન સંયોગ સર્જાઈ રહ્યો છે ત્યારે વડાપ્રધાન નરેન્દ્ર મોદી એકતા નગરને વિવિધ વિકાસ કાર્યો અને પ્રવાસન આકર્ષણોની ભેટ આપીને આ અવસરને યાદગાર બનાવવા જઈ રહ્યા છે. વડાપ્રધાન રાષ્ટ્રીય એકતા દિવસ નિમિત્તે નર્મદા જિલ્લાના એકતાનગરની મુલાકાત લેશે અને ₹284 કરોડથી વધુના પ્રોજેક્ટ્સનું ખાતમુહૂર્ત અને લોકાર્પણ કરશે. ઉલ્લેખનીય છે કે, કેવડિયા ખાતે વિશ્ર્વની સૌથી ઊંચી પ્રતિમા ‘સ્ટેચ્યુ ઑફ યુનિટી’ આજે વિશ્ર્વભરના પ્રવાસીઓ માટે આકર્ષણનું કેન્દ્ર બન્યું છે.
હવે વડાપ્રધાન દ્વારા બોન્સાઈ ગાર્ડન, સુએજ ટ્રીટમેન્ટ પ્લાન્ટ, સરદાર સરોવર ડેમ એક્સપીરિયન્સ સેન્ટર જેવા પ્રોજેક્ટ્સનું ખાતમુહૂર્ત અને સબ ડિસ્ટ્રિક્ટ હોસ્પિટલ, ટ્રાફિક સર્કલ્સ, સ્માર્ટ બસ સ્ટોપનું ઉદ્ઘાટન થવાનું છે, જે એકતા નગરના વિકાસને વેગ આપશે. વડાપ્રધાન નરેન્દ્ર મોદી 31 ઓક્ટોબરે એકતાનગર ખાતે સબ-ડિસ્ટ્રિક્ટ હોસ્પિટલ, ટ્રાફિક સર્કલ્સ, સ્માર્ટ બસ સ્ટોપ, CESL-કાર ચાર્જિંગ પોર્ટ, 4 મેગાવોટ સોલર પ્રોજેક્ટ, ICU ઓન-વ્હીલ્સનું લોકાર્પણ કરશે. નાગરિકોને મૂળભૂત તબીબી સુવિધાઓ ઉપલબ્ધ થાય એ માટે ₹22 કરોડના ખર્ચે 50 બેડની ક્ષમતા ધરાવતી સબ-ડિસ્ટ્રિક્ટ હોસ્પિટલનું નિર્માણ કરવામાં આવ્યું છે, જેમાં ટ્રોમા સેન્ટર, ગાયનેક ઓટી, માઈનોર ઓટી, ઓટી રૂમ, સીટી સ્કેન, ICU, લેબર રૂમ, સ્પેશિયલ વોર્ડ, ફિઝિયોથેરાપી વોર્ડ, સર્જન કેબિન, મેડિકલ સ્ટોર, 1 એમ્બ્યુલન્સ વગેરે સુવિધા મળશે. આ ઉપરાંત, 2 ICU ઓન-વ્હીલ્સનું પણ લોકાર્પણ થશે. એકતા નગરમાં પ્રવાસીઓની સગવડ માટે સ્ટેચ્યુ ઑફ યુનિટી વિસ્તાર વિકાસ અને પ્રવાસન નિયમન, સતામંડળ, એકતા નગર દ્વારા 10 સ્માર્ટ બસ સ્ટોપ અને 10 પિક-અપ સ્ટેન્ડનું નિર્માણ કરી રહ્યું છે, જેના ફેઝ-1નું લોકાર્પણ કરવામાં આવશે. આ ઉપરાંત, ટ્રાફિકનું સુવ્યવસ્થિત મેનેજમેન્ટ અને શહેરની સુંદરતા વધારવાના હેતુથી ₹2.58 કરોડના ખર્ચે એકતાનગર 3 રસ્તા, ગરૂડેશ્ર્વર ચોક, ચિલ્ડ્રન ન્યુટ્રીશન પાર્કની સામે અને સહકાર ભવન પાસે ટ્રાફિક સર્કલ બનાવવામાં આવ્યા છે. એટલું જ નહીં, પદયાત્રીઓની સલામતી માટે એકતા નગરમાં 10 સ્થળે પુશ બટન પેડેસ્ટ્રિયન ક્રોસિંગ, રેવા ભવન પાસે કાર ચાર્જીંગ પોઈન્ટ, SRP ફોર્સ માટે રનિંગ ટ્રેકનું પણ લોકાર્પણ કરવામાં આવશે.
