હોસ્પિટલના ચેરમેન કાર્તિક પટેલ હજુ ફરાર : કોઠારીની કૌભાંડમાં કથિત ભૂમિકાની આશંકા
અમદાવાદ, તા. 14
છેલ્લા એક મહિનાથી ફરાર વિવાદાસ્પદ ખ્યાતી મલ્ટીસ્પેશિયાલિટી હોસ્પિટલના ડાયરેક્ટર પૈકીના એક રાજશ્રી કોઠારીની અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચે રાજસ્થાનમાંથી ધરપકડ કરી છે. હોસ્પિટલમાં બે દર્દીઓના મોતના કેસમાં આ આઠમી ધરપકડ છે. ક્રાઈમ બ્રાન્ચે અગાઉ સાત અન્ય આરોપીઓની ધરપકડ કરી હતી, જ્યારે હોસ્પિટલના ચેરમેન કાર્તિક પટેલ ફરાર છે અને વિદેશમાં હોવાના અહેવાલ છે. કોઠારીની આગોતરા જામીન અરજી અમદાવાદ ગ્રામ્ય કોર્ટે 5 ડિસેમ્બરે ફગાવી દીધી હતી. ઙખઉંઅઢ યોજના હેઠળ નકલી તબીબી પ્રક્રિયાઓ સાથે સંકળાયેલા કૌભાંડમાં તેમની કથિત ભૂમિકા માટે તેમની તપાસ કરવામાં આવી રહી છે.
આ કેસ અમદાવાદના જૠ હાઈવે પર આવેલી ખ્યાતી મલ્ટીસ્પેશિયાલિટી હોસ્પિટલનો છે, જ્યાં 11 નવેમ્બરે બોરીસણા ગામના 19 લોકોની એન્જિયોગ્રાફી કરવામાં આવી હતી અને 7 દર્દીઓની એન્જિયોપ્લાસ્ટી કરવામાં આવી હતી. આમાંથી બે દર્દીઓનું પાછળથી મોત થયું હતું, જેના પગલે હોસ્પિટલ સામે વિરોધ શરૂ થયો હતો. પાછળથી તે બહાર આવ્યું હતું કે હોસ્પિટલ મેનેજમેન્ટ અને ડોકટરોએ ઙખઉંઅઢ યોજના હેઠળ લાભોનો દાવો કરવા માટે બિનજરૂરી પ્રક્રિયાઓ કરી હતી. વસ્ત્રાપુર પોલીસ મથકે ખ્યાતિ હોસ્પિટલ કાંડમાં ડો. પ્રશાંત વજીરાની, ચિરાગ રાજપુત, કાર્તિક પટેલ, ડો.સંજય પટોલીયા અને રાજશ્રી કોઠારી સામે ફરિયાદ નોંધી હતી. ગઈકાલે આ મામલે રાજસ્થાનથી રાજશ્રી કોઠારીની ધરપકડ કરવામાં આવી છે. ઉપરોક્ત કેસોની તપાસ ક્રાઈમ બ્રાન્ચ કરી રહી છે, આ કેસમાં હજુ કાર્તિક પટેલે પોલીસ પકડની બહાર છે. તેણે પોતાના જમાઈ મારફતે અમદાવાદ ગ્રામ્ય કોર્ટમાં આગોતરા જામીન અરજી દાખલ કરી છે. જેની ઉપર સોમવારે વધુ સુનાવણી છે.
રાજશ્રી કોઠારી કોણ છે ?
રાજશ્રી કોઠારી ખ્યાતિ હોસ્પિટલના ડિરેક્ટર છે. આ ઉપરાંત હોસિટલમાં તેમની 3.61 ટકાની ભાગીદારી પણ છે. હોસ્પિટલના ડિરેક્ટરો અને ચેરમેનની મીટિંગમાં વધુમાં વધુ ફ્રી કેમ્પના આયોજનનું પ્લાનિંગ કરવામાં આવતું હતું. પી.એમ.જે.એ.વાય. કાર્ડવાળા દર્દીઓને શોધી બીમારીનો ડર બતાવીને તેમને હોસ્પિટલ લાવીને ઓપરેશન કરી દેવામાં આવતું હતું.
રાજશ્રી કોઠારી કરી હતી આગોતરા જામીનની અરજી
થોડા દિવસ અગાઉ આરોપી રાજશ્રી કોઠારીએ અમદાવાદ ગ્રામ્ય સેશન્સ કોર્ટમાં આગોતરા જામીન અરજી કરી હતી. હોસ્પિટલની ઘટનામાં પોતાની કોઈ ભૂમિકા નહીં હોવાની રજૂઆત કરવામાં આવી હતી. આગોતરા જામીન મળે તો તપાસમાં પૂર્ણ સહકાર આપવાની કોર્ટને ખાતરી આપી હતી. સરકાર તરફથી જામીન અરજીનો વિરોધ કરાયો હતો. રાજશ્રી કોઠારી ઉપર ત્રણ ફરિયાદ નોંધવામાં આવી છે. ત્રણેય કેસમાં આગોતરા જામીનની માંગ કરવામાં આવી હતી.
