આગોતરા જામીન રદ્દ થતા હવે ગમે તે ઘડીએ મેટોડા પોલીસ ત્રણેયને દબોચી લેશે
ત્રણેય ભૂગર્ભમાં : મોબાઈલ બંધ : તપાસનો ધમધમાટ શરુ કરતા મેટોડાના PSI સંજય શર્મા
ખીરસરા-મેટોડા, રાજકોટ મિરર તા.6
લોધિકા તાલુકાના છાપરા ગામે રહેતા અને મોટાવડા ગામની ઉચ્ચત્તર માધ્યમિક શાળાના ધો.11ના વિદ્યાર્થીને મરવા મજબૂર કરનાર ત્રણેય શિક્ષકોની આગોતરા જામીન રદ્દ થયા બાદ ત્રણેયને રાજકોટના જિલ્લા પ્રાથમિક શિક્ષણ અધિકારી અને ઇન્ચાર્જ જિલ્લા શિક્ષણ અધિકારી દીક્ષિત પટેલે ત્રણેય શિક્ષકને સસ્પેન્ડ કરી દેતા હવે ગમે તે ઘડીએ ત્રણેયને પકડવાની કાર્યવાહીનો ધમધમાટ શરુ કર્યો હોવાનું મેટોડા પોલીસના પીઆઈ સંજય શર્માએ “રાજકોટ મિરર”ને જણાવ્યું હતું.
સમગ્ર મામલાની વિગતો જોઈએ તો લોધિકા તાલુકાના છાપરા ગામે રહેતા અને મોટાવડા ગામની ઉચ્ચત્તર માધ્યમિક શાળામાં ધો.11 માં અભ્યાસ કરતા કોમર્સના વિદ્યાર્થી ધ્રુવીલ ભરતભાઈ વરુએ ગઈ 19.10.2024 નાં રોજ શાળાના આચાર્ય અને બે શિક્ષકોના ત્રાસથી કંટાળી, વિડીયો બનાવી, સ્યુસાઈડનોટ લખી ગળેફાંસો ખાઈ આત્મહત્યા કરી હતી. જે તે સમયે રાજ્યવ્યાપી ચકચારી બનેલા આ બનાવમાં મૃતક વિદ્યાર્થીના પિતાની ફરિયાદ પરથી મેટોડા પોલીસે આચાર્ય સચિન વ્યાસ, શિક્ષિકા મોસમીબેન શાહ અને વિભૂતિ જોશી સામે 20.10.ના રોજ ગુન્હો દાખલ કર્યો હતો. આ સમયથી એટલેકે એક પખવાડીયાથી વધુના સમયથી ત્રણેય શિક્ષકો પોલીસ પક્કડથી દુર રહેવા ભૂગર્ભમાં ઉતરી ગયા છે.
દરમિયાન આ ત્રણેય શિક્ષકોએ ગોંડલ કોર્ટમાં આગોતરા જામીન અરજી કરી હતી. પરંતુ ત્રણેયની આગોતરા જામીન અરજી કોર્ટે નામંજૂર કરતા પોલીસ માટે ત્રણેયથી ધરપકડ માટે માર્ગ મોકળો થઇ ગયો છે. અને ગમે તે ઘડીએ ત્રણેયને દબોચી લેવા મેટોડા પોલીસે કવાયત આદરી છે.
બીજી તરફ રાજકોટના જિલ્લા પ્રાથમિક શિક્ષણ અધિકારી અને ઇન્ચાર્જ જિલ્લા શિક્ષણ અધિકારી દીક્ષિત પટેલે ત્રણેય શિક્ષકને સસ્પેન્ડ કરી તે અંગેનો રિપોર્ટ રાજ્ય સરકારને મોકલી આપ્યો આપ્યો હોવાની વિગતો આધારભૂત વર્તુળોમાંથી મળી છે.
ખુલાસાનો જવાબ પણ ન આપ્યો
રાજકોટ જિલ્લા શિક્ષણ અધિકારી દીક્ષિત પટેલે જાહેર કર્યું છે કે લોધિકાના મોટાવડાની સરકારી શાળામાં અભ્યાસ કરતા ધોરણ 11ના વિદ્યાર્થી ધ્રુવીલ વરૂએ આપઘાત કરી લીધાની ઘટનામાં સ્કૂલના આચાર્ય સહિત ત્રણેય શિક્ષકોનો લેખિત ખુલાસો પૂછવામાં આવ્યો હતો. પરંતુ તેમનો હજુ સુધી જવાબ આપ્યો નથી અને તેમની સામે પોલીસ એફઆઈઆર નોંધાયાના પગલે હાલ ત્રણેય શિક્ષકોને સસ્પેન્ડ કરવામાં આવ્યા છે અને તેનો રિપોર્ટ રાજ્ય કક્ષાએ મોકલી દેવાયો છે.
શિક્ષકોના નિવાસે છાપા, મોબાઈલ બંધ ત્રણેય ભૂગર્ભમાં
આ અંગે લોધિકા પોલીસ સ્ટેશનના પીઆઈ શર્માએ રાજકોટ મિરર સાથેની વાતમાં જણાવ્યું હતું કે, વિદ્યાર્થી આપઘાત પ્રકરણમાં ત્રણેય શિક્ષકો સામે ગુનો નોંધાયા બાદ ધરપકડથી બચવા આગોતરા જામીન મૂક્યા હતા પણ કોર્ટે તે ફગાવી દેતા હવે ગમે તે ઘડીએ ત્રણેયને દબોચી લેવાશે. આવી કાર્યવાહીના ભાગરૂપે રાજકોટ રહેતા ત્રણેય શિક્ષકોના નિવાસ સ્થાને છાપો મરાતા કોઈ મળ્યા નથી, તમામના મોબાઈલ પણ બંધ આવે છે. આચાર્ય સચિન વ્યાસ, શિક્ષિકા મોસમી શાહ અને વિભૂતિ જોશી સામે ધ્રુવીલને મરવા મજબૂર કર્યાનો ગુન્હો નોંધાયા બાદ હવે ગમે ત્યારે પકડી લેવા પોલીસે કમ્મર કસતી હોવાનું પીઆઈ સંજય શર્માએ જણાવ્યું હતું.