જન્મ લેનારનું મૃત્યુ નિશ્ર્ચીત હોય પણ ઓચિંતી વિદાય આપી જાય કારમો આઘાત
પોણા બે વર્ષ પહેલા લગ્નજીવનની સફર શરૂ કરી હતી: અંતિમયાત્રામાં કરૂણ દ્રશયો સર્જાયા: પેડક રોડ લાખેશ્ર્વર સોસાયટી અને માધાપર રહેતાં પરિવારજનોમાં ગમગીની
1. નેપાળી યુવાને હિટ એન્ડ રનમાં જિંદગી ગુમાવી: તેના ભત્રીજાના હાથ-પગ ભાંગ્યા: બેડી ચોકડી પાસે અજાણ્યો વાહવાળો ઉલાળી ગયો
2. રિક્ષાની ઠોકરે હરિ ધવા રોડ પર રહેતાં વૃધ્ધનું મોત: જામવાડી પાસે એમપીના યુવાનનું હિન્ટ એન્ડ રનમાં મોતદર્શનસિંહ જાડેજા દ્વારા
રાજકોટ મિરર, તા.26
રાજકોટ: શહેરમાં રોજબરોજ આકસ્મીક મૃત્યુની ઘટનાઓ બનતી રહે છે. જેમાં વાહન અકસ્માતને કારણે ઇજા થવાથી કે પછી પડી જવાથી ઇજાઓ થવાથી મૃત્યુ નિપજતાં હોય છે. આવા બનાવો જે તે હતભાગી મૃતકના પરિવારજનોને કારમો આઘાત આપી જતાં હોય છે. વધુ બે આવી ઘટના ઘટી છે જેમાં એક પરિણીતા યુવતિનું પહેલા માળે ઘરની બાલ્કનીમાંથી પડી જવાથી મોત થયું છે. તેણીના પોણા બે વર્ષ પહેલા જ લગ્ન થયા હતાં. આ બનાવથી પરિવારમાં શોકની કાલીમા છવાઇ ગઇ હતી. બીજા બનાવમાં એક યુવાનને વાહન અકસ્માતની ઘાત નડી હતી. અજાણ્યો વાહનનો ચાલક મોટરસાઇકલને ઠોકરે લઇ ભાગી જતાં યુવાનનું મોત થયુ઼ હતું અને તેના ભત્રીજાના હાથ-પગ ભાંગી ગયા હતાં.
પ્રથમ ઘટનાની વિગતો પર નજર કરીએ તો શહેરના સામા કાંઠે લાખેશ્ર્વર સોસાયટીમાં પરિણીતા ઘરની બાલ્કનીમાં ઉભી હતી ત્યારે ચક્કર આવતાં નીચે પટકાતાં ગંભીર ઇજા થતાં મોત નિપજ્યું હતું. માધાપરમાં માવતર ધરાવતી આ યુવતિના પોણા બે વર્ષ પહેલા જ લગ્ન થયા હતાં. વધુ માહિતી અનુસાર પેડક રોડ પર લાખેશ્ર્વર સોસાયટીમાં રહેતી છવ્વીસ વર્ષની ઋત્વીબેન આશિષભાઇ ઢોલરીયા નામની પરિણીતા સાંજે સાડા છએક વાગ્યે પોતાના ઘરના પહેલા માળે બાલ્કનીમાં હતી ત્યારે એકાએક નીચે પડી જતાં ગંભીર ઇજા થતાં બેભાન હાલતમાં સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવી હતી. પરંતુ અહિ સારવાર દરમિયાન તેણીએ અંતિમ શ્ર્વાસ લઇ લીધા હતાં. સિવિલ હોસ્પિટલ પોલીસ ચોકીના એએસઆઇ રામશીભાઇ વરૂ, તોૈફિકભાઇ જુણાચ, ભાવેશભાઇ મકવાણા, ધર્મેન્દ્રભાઇ હુદડે બી-ડિવીઝન પોલીસને જાણ કરતાં પીએસઆઇ ડી. બી. ગાધેએ હોસ્પિટલે પહોંચી તેમજ ઘટના સ્થળે જઇ જરૂરી કાર્યવાહી કરી હતી.
આ કરૂણ આકસ્મિક ઘટનામાં મૃત્યુ પામનાર ઋત્વીબેનના માવતર માધાપર રહે છે. તેમના પિતાનું નામ રાજશેભાઇ જીવરાજભાઇ મોલીયા છે, તેઓ ખેતી કરી ગુજરાન ચલાવે છે. મૃતકના ભાઇએ જણાવ્યું હતું કે અમે બે ભાઇ-બહેનમાં બહેન મારાથી મોટા હતાં. તેમના લગ્ન પોણા બે વર્ષ પહેલા થયા હતાં.
બનેવી આશિષભાઇ ધીરૂભાઇ ઢોલરીયા ટ્રાન્સપોર્ટર છે અને ગ્રીનલેન્ડ ચોકડીએ તેમની ઓફિસ છે. મારા બહેને ગઇકાલે કેન્સર વિરોધી રસી લીધી હોઇ તબિયત બગડી હતી અને પગમાં સોજા આવી ગયા હતાં. એ દરમિયાન સાંજે તેણી બાલ્કનીમાં ઉભા હતાં ત્યારે ચક્કર આવી જતાં અકસ્માતે પડી જતાં ગંભીર ઇજા થવાથી મૃત્યુ થયું હતું. તેમ મૃતકના ભાઇએ વધુમાં જણાવ્યું હતું.
બીજા બનાવમાં હિટ એન્ડ રનના બનાવમાં નેપાળી યુવાનનો જીવ ગયો હતો. શહેરની માધાપર ચોકડીથી બેડી ચોકડી વચ્ચે એડીબી હોટેલ નજીક વળાંક પાસે બાઇકને અજાણ્યા વાહનનો ચાલક ઠોકર મારી ભાગી જતાં બાઇક ચાલક યુવાન અને પાછળ બેઠેલા તેના કાકાને ઇજાઓ થઇ હતી. જેમાં સારવાર દરમિયાન કાકાનું મોત થતાં અરેરાટી વ્યાપી ગઇ હતી. જામનગર રોડ નાગેશ્ર્વર મંદિર નજીક સમેત શિખર પાસે રહેતો મુળ નેપાળનો સત્યાવીસ વર્ષનો ક્રિષ્ના નંદાસિંગ બોહરા તા. 23/12ના રાતે સાડા નવેક વાગ્યે તેના કાકા અઠ્ઠાવીસ વર્ષિય દેવેન્દ્ર લચ્છુભાઇ બોહરાને ટુવ્હીલર એમએચ-12ડબલ્યુબી-086માં બેસાડીને મોરબી રોડ જકાતનાકા પાસે રહેતાં બીજા કાકા નિર્પહ લક્ષમણભાઇ બોહરાના ઘરે તેમને મળવા જઇ રહ્યો હતો. બંને એડીબી હોટેલ નજીક વળાંકમાં પહોંચ્યા ત્યારે અજાણ્યો વાહનચાલક બાઇકને ઠોકરે લઇ ભાગી જતાં ક્રિષ્ના અને તેના કાકા બંનેને ઇજાઓ થઇ હતી. અકસ્માતને પગલે લોકો ભેગા થઇ ગયા હતાં. ક્રિષ્નાએ ફોન કરી પોતાના પત્નિ સહિતને બોલાવતાં બંનેને સારવાર માટે ખસેડાયા હતાં.
જેમાં ભત્રીજા ક્રિષ્નાને હાથ, પગમાં ફ્રેકચર થયુ઼ હતું અને હોઠ નીચે ઇજા થઇ હતી. જ્યારે તેના કાકાને પણ ગંભીર ઇજા પહોંચી હોઇ તે પણ સારવારમાં હતાં. કાકા દેવેન્દ્રભાઇનું સારવારમાં મોત થતાં પરિવારમાં અરેરાટી વ્યાપી ગઇ હતી. આ બનાવમાં ગાંધીગ્રામ પોલીસ સ્ટેશનના પીએસઆઇ ટી. ડી. જાડેજાએ જે તે વખતે ક્રિષ્નાની ફરિયાદ પરથી અજાણ્યા વાહનચાલક સામે ગુનો નોંધ્યો હતો. મૃતક યુવાન ચોકીદારી કરતો હતો. તેને સંતાનમાં એક પુત્ર છે. પોતે છએક મહિના પહેલા જ નેપાળથી અહિ આવ્યો હતો. આ ઘટનાથી પરિવારમાં શોક છવાઇ ગયો હતો. વાહન અકસ્માતના બીજા એક બનાવમાં હરિ ધવા રોડ પર નવનીત હોલ પાસે રહેતાં સડસઠ વર્ષના ગુણવંતરાય રવજીભાઇ બોરાણીયા ગત 20/12ના સવારે સાડા નવેક વાગ્યે નવનીત હોલ પાસે ચાલીને જતાં હતાં ત્યારે અજાણી રિક્ષાની ઠોકરે ચડી જતાં માથા શરીરે ઇજાઓ થતાં સારવાર માટે ખાનગી હોસ્પિટલમાં દાખલ કરાયા હતાં. તેમનું આજે મૃત્યુ થતાં પરિવારમાં શોક છવાઇ ગયો હતો.
મૃત્યુ પામનાર ગુણવંતરાય છ ભાઇ અને છ બહેનમાં બીજા હતાં. અગાઉ સુથારી કામ કરતાં હતાં અને હાલ નિવૃત જીવન જીવતાં હતાં. તેમના લગ્ન થયા નહોતાં. હોસ્પિટલ ચોકીના સ્ટાફે ભક્તિનગર પોલીસને જાણ કરી હતી.
જ્યારે ગોંડલ નજીક જામવાડી પાસે હિટ એન્ડ રનની ઘટનામાં ઘાયલ થયેલા હાલ ગોંડલ ચંદુભાઇ સોરઠીયાની વાડીએ રહેતાં ત્રીસ વર્ષના હકાભાઇ ઉર્ફ વિપુલ રૂપસિંગભાઇ મેડા વાડીએથી મોટર સાઇકલ લઇને કોઇ કામ સબબ નીકળ્યો ત્યારે જામવાડી પાસે કોઇ વાહનની ઠોકરે ચડી જતાં ઇજા થતાં રાજકોટમાં સારવાર દરમિયાન મૃત્યુ થતાં પરિવારમાં શોક છવાઇ ગયો હતો. મૃતક બે ભાઇ અને પાંચ બહેનમાં ત્રીજો હતો. તેને સંતાનમાં બે પુત્ર છે. મુળ એમપીનો વતની હતો અને ખેતી મજુરી કરતો હતો.
