મહાયુતિ 2.0ની
ફોર્મ્યુલા પર મીટ
વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને 22 રાજ્યોના સીએમ અને ડેપ્યુટી સીએમ રહ્યા હાજર
નવીદિલ્હી, તા. 5
મહારાષ્ટ્ર વિધાનસભા ચૂંટણીમાં મહાયુતિની પ્રચંડ જીતના 11 દિવસ બાદ ગઈકાલે ભાજપના નેતા દેવેન્દ્ર ફડણવીસે મુખ્ય પ્રધાન તરીકે શપથ લીધા હતા. વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને 22 રાજ્યોના સીએમ અને ડેપ્યુટી સીએમની હાજરીમાં મહારાષ્ટ્રના ગવર્નર સીપી રાધાકૃષ્ણને ફડણવીસને હોદ્દા અને ગુપ્તતાના શપથ લેવડાવ્યા હતા. દેવેન્દ્ર ફડણવીસને 4 ડિસેમ્બરે બીજેપી વિધાયક દળના નેતા તરીકે ચૂંટવામાં આવ્યા હતા. ગુરુવારે શપથ લેતા પહેલા ફડણવીસ સિદ્ધિવિનાયક મંદિર પહોંચ્યા હતા. ત્યાં તેમણે ગણપતિ બાપ્પાના આશીર્વાદ લીધા હતા. આ પછી તેમણે માતા ગાયની પૂજા પણ કરી હતી. શપથ સમારોહમાં પહેલા દેવેન્દ્ર ફડણવીસ અને પછી એકનાથ શિંદે અને અજિત પવારે ડેપ્યુટી સીએમ તરીકે શપથ લીધા. શપથ ગ્રહણ સમારોહમાં યુપીના સીએમ યોગી આદિત્યનાથની સાથે તમામ રાજ્યોના મુખ્યમંત્રીઓ હાજર રહ્યા હતા.
ફડણવીસની સાથે રાષ્ટ્રવાદી કોંગ્રેસ પાર્ટીના વડા અજિત પવારે પણ મુંબઈના આઝાદ મેદાનમાં શપથ લીધા હતા. આ સિવાય અત્યાર સુધી મહારાષ્ટ્રના મુખ્યમંત્રી રહી ચૂકેલા એકનાથ શિંદેએ પણ શપથ લીધા હતા. બંનેને નવી સરકારમાં ડેપ્યુટી સીએમ બનાવવામાં આવ્યા છે. અગાઉની મહાયુતિ સરકારમાં એકનાથ શિંદે મુખ્યમંત્રી હતા. દેવેન્દ્ર ફડણવીસ અને અજિત પવાર નાયબ મુખ્યમંત્રી હતા. દેવેન્દ્ર ફડણવીસ 132 બેઠકો જીતવા માટે ભાજપ તરફથી મુખ્યમંત્રી પદના ઉમેદવાર તરીકે ઉભરી આવ્યા હતા. અંતે તેમના નામને જ મંજૂરી મળી હતી. ફડણવીસ સરકારના મંત્રીઓની શપથવિધિ થોડા દિવસો પછી થવાની છે.
7મી સપ્ટેમ્બરથી વિધાનસભાનું સત્ર
મહારાષ્ટ્રમાં નવા ધારાસભ્યોને શપથ લેવડાવવા અને સ્પીકરની પસંદગી કરવા માટે 7 ડિસેમ્બરથી વિશેષ સત્ર બોલાવવામાં આવ્યું છે. આ સત્ર બાદ ડિસેમ્બરના મધ્યમાં નાગપુરમાં વિધાનસભાનું શિયાળુ સત્ર યોજાશે. સૂત્રોનું માનીએ તો આ પહેલા ફડણવીસ તેમના મંત્રીમંડળનું વિસ્તરણ કરશે. અગાઉની સરકારમાં મંત્રીઓની કુલ સંખ્યા 28 હતી. આ વખતે મંત્રીઓની સંખ્યા વધવાની આશા છે. મહાયુતિ 2.0માં 50:30:20ની ફોર્મ્યુલા હોવાની અપેક્ષા છે. આ અંતર્ગત ભાજપને 21 મંત્રી પદ અને શિવસેના અને એનસીપીને 12 અને 10 મંત્રી પદ મળી શકે છે.
