દુનિયામાં ભારત અને ભારતમાં ગુજરાત ડાયાબિટીસની રાજધાની જીવનશૈલીને બ્રેક અનિવાર્ય
આજે આંતરરાષ્ટ્રીય સહિષ્ણુતા દિવસ છે. સહનશીલતાને જરૂરી ગણાવાઇ છે. સહનશક્તિ વધારવા ધૈર્ય-ઉદારતા-જતું કરવાની ભાવના વગેરે ગુણો હોવા જોઇએ. જો કે, આધ્યાત્મિક દ્રષ્ટિકોણ પ્રમાણે જીવનમાં દરેક લક્ષણ-સંસ્કાર બેલેન્સ હોવા જોઇએ. સહનશક્તિ પણ માપે હોવી જોઇએ. અકારણ સહન કર્યે રાખવાથી જિંદગી લાચાર અને અન્યાયવાળી બની જાય છે.
ભારતમાં વધારે પડતી સહનશક્તિ રાષ્ટ્રીય સમસ્યા જેવી બની ગઇ છે. પ્રાથમિક જરૂરિયાતો હવા-પાણી-ખોરાક પણ શુધ્ધ પ્રાપ્ત થતા નથી. આ અંગેના કાયદા નબળા અને અમલ ખૂબ નબળો છે. આ કારણે જનસમુદાયના આરોગ્ય બગડી ગયા છે. પણ, જીવલેણ જેવી સમસ્યા છતાં કોઇ અવાજ ઉઠાવતું નથી.
વર્લ્ડ ડાયાબિટીસ-ડે નિમિત્તે જાહેર થયેલા લાન્સેટ રિપોર્ટ પ્રમાણે વિશ્ર્વમાં 82 કરોડથી વધારે લોકો ડાયાબિટીસ પીડિત છે. ભારતમાં 21 કરોડ લોકોને ડાયાબિટીસ છે. એક અંદાજ પ્રમાણે ભારતમાં સૌથી વધારે ડાયાબિટીસના દર્દીઓ ગુજરાતમાં છે. આપણા માટે આ ચેતવણીરૂપ માહિતી છે.
પ્રતિ વર્ષ ડાયાબિટીસ-ડે નિમિત્તે માધ્યમોમાં દર્દીઓની સંખ્યા તથા ડાયાબિટીસથી બચવાના ઉપાયો પ્રકાશિત-પ્રસારિત થાય છે. પરંતું, દર્દીઓની સંખ્યા વધતી જ જાય છે.
ઘણાં લોકો ડાયાબિટીસથી બચવા ખાંડ ગળ્યો પદાર્થો બંધ કરી દે છે. વાસ્તવમાં માત્ર ખાંડથી જ ડાયાબીટીસ થતી નથી. એ મુખ્યત્વે પાચનનો રોગ છે. અપચો, અપુરતી ઉંઘ, તનાવયુકત માનસ અને ભેળસેળીયો-ઝેરી ખોરાક ડાયાબીટીસના મુખ્ય કારણો છે. આ સમસ્યા વારસાગત પણ છે. ઘણાને તો જન્મથી જ ગીફટ મળે છે.
આપણે સુખી સમૃધ્ધ બનવા પાછળ દોટ મુકીએ છીએ. આ દોટના નશામાં જીવનશૈલી ઠેકાણા વગરની બની જાય છે. દોટ લગાવનારા બે-પાંચ ટકા લોકો કદાચ સમૃધ્ધ થઈ જતાં હશે. પણ સમૃધ્ધિમાંથી સુખની પ્રાપ્તિ કરવા મોટાભાગનાં લોકોના શરીર સક્ષમ રહેતા નથી. જિંદગી ભર દોડાદોડી કરીને માંડ બે પાંદડે થયેલો માણસ છે. પાંદડાનુસં સુખ ભોગવી શકે છે ? ખાધે-પીધે સુખી થાય ત્યાં ડોકટર ખાંડ-ગળ્યું ખાવાની મનાઈ કરી દે છે. ઘરનું વાહન કરીદવા સક્ષમ થાય ત્યાં ડોકટર ચાલવાની-સાયકલીંગની સલાહ આપે છે. ઘરમાં ઉત્તમ પથારી બની, પણ શરીરમાં વિવિધ દર્દોના કારણે ઉંઘ હરામ થઈ ગઈ હોય છે.
આવી સમૃધ્ધિનો મતલબ ખરો ? આ કારણે ભારતીય શાસ્ત્રોમાં પ્રથમ સુખ આરોગ્યને ગણ્યું છે. માણસ યોગી હોય, ભોગી હોય કે ત્યાગી હોય આરોગ્ય સારું હશે તો જ યોગ-ભોગ કે ત્યાગ કરી શકશે. આરોગ્યને પ્રાથમિકતા આપવાનો આ સમય છે.
ખોટી દોડને બ્રેક મારો જીવન શૈલી અને મન:સ્થિતિમાં પરિવર્તન લાવો. હવા-પાણી-ખોરાક શુધ્ધ થાય તેવા મુદ્દાને મહત્વ આપીને મતદાન કરો. મોટાભાગના સુખી લોકો ડોકટરને મોજ કરાવવા જ સુખી થયેલા હોય તેવું દેખાશે.
