મર્ડર મિસ્ટ્રીનો થયો પર્દાફાશ: અવાવરૂ જગ્યાએથી મળેલી લાશની ઓળખ થવા સાથે ચોંકાવનારી વિગતો પણ ખુલી
હત્યા-મર્ડરમાં સામેલ બે શખ્સોને દબોચી લેવાયા: તબિબ દારૂ પી ગડથોલીયા ખાતા પડ્યા હોઇ
તેને વધુ પાઇ લૂંટી લેવાના ઇરાદે બાઇકમાં બેસાડી લઇ જઇ માર મારી પતાવી લૂંટ ચલાવાઇ હતી
દર્શનસિંહ જાડેજા દ્વારા
રાજકોટ મિરર તા.16
હત્યાની ઘટનાઓ રાજ્યભરમાં રોજબરોજ બનતી રહે છે. નહિ જેવી વાતે ઘણીવાર લોકો એકબીજાના લોહીતરસ્તા થઇ જતાં હોય છે અને કોઇ પરિવારના મોભી કે આધારસ્તંભને છીનવી લેતાં હોય છે. આ પ્રકારની ઘટનાઓ અવાર-નવાર બને છે. મોટા ભાગના આ હત્યાના ગુના તત્કાળ ઉકેલાઇ જતાં હોય છે. તો અમુક કિસ્સા મર્ડર મિસ્ટ્રી બની જતાં હોય છે. આવો જ એક બનાવ ઉકેલાયો છે, જેમાં છ મહિના પહેલા એક ડોક્ટરની હત્યા કરી ફેંકી દેવાયેલી લાશ મળી હતી. આવી પોલીસે ભારે મહેનતને અંતે ભેદ ઉકેલી બે હત્યારાને દબોચી લીધા છે. આ બંનેએ મોબાઇલ ફોન અને મોટર સાઇકલ (બાઇક)ની લૂંટ કરવા માટે ડોક્ટરને પતાવી દીધાનું ખુલતાં પોલીસ પણ ચોંકી ગઇ હતી. લૂંટ-મર્ડરની આ ઘટનામાં ડોક્ટર નશો કરેલી હાલતમાં પડ્યા હોઇ તેને બાઇક પર અવાવરૂ સ્થળે ઉઠાવી જઇ બેફામ ધોકાવી પતાવી દઇ લૂંટ ચલાવાઇ હતી.
મર્ડર મિસ્ટ્રીનો ભેદ ઉકેલાયો તેની વિગતો પર નજર કરીએ તો આ બનાવ અંકલેશ્ર્વર પંથકમાં બન્યો હતો. અહિના મોતાલી ગામ નજીકથી આરોગ્ય કેન્દ્રના સરકારી તબીબનો મૃતદેહ મળી આવવાના મામલામાં ચોંકાવનારો ખુલાસો થયો હતો. લૂંટના ઇરાદે તબીબની હત્યા કરનાર બે આરોપીઓની ભરૂચ ક્રાઈમ બ્રાન્ચે ધરપકડ કરી છે. ભરૂચના ચાવજ ગામના માંગલ્ય બંગ્લોઝ ખાતે રહેતા બેતાલીસ વર્ષીય રાજેશ સિંધા ભરૂચ તાલુકાના ઝનોર ગામના આરોગ્ય કેન્દ્રમાં ફરજ બજાવતાં હતા. જેઓની ગડખોલ આરોગ્ય કેન્દ્રમાં બદલી થઈ હતી. જેઓ ગત ચોૈદમી મેના રોજ નોકરી ઉપર જવાનું કહી ઘરેથી નીકળ્યા હતા. ત્યાર બાદ તબીબનો મૃતદેહ અંદાડા-સામોરથી મોતાલી ગામ તરફ જવાના રોડ પરથી મળી આવ્યો હતો. આ અંગે અંકલેશ્ર્વર બી ડિવિઝન પોલીસ મથકે ગુનો નોંધાયા બાદ ભરૂચ ક્રાઇમ બ્રાન્ચ પણ તપાસમાં જોડાઈ હતી.
પોલીસે ભેદ ઉકેલવા અલગ અલગ દિશાઓમાં ટીમો બનાવી તપાસનો ધમધમાટ શરૂ કર્યો હતો. છ મહિનાની મહેનત અંતે રંગ લાવી હતી અને હત્યાનો ભેદ ઉકેલવામાં અને આરોપીઓને દબોચી લેવામાં સફળતા મળી હતી. જો કે હત્યાનું કારણ સામે આવ્યું તે જાણીને પોલીસ પણ ચોંકી ગઇ હતી. આ ગુનામાં પોલીસે ઉજ્જૈન ખાતે રહેતા જગદીશસિંહ અને અંકલેશ્ર્વરના ગડખોલ પાટીયા વિસ્તારમાં રહેતા લાલુ તડવીની ધરપકડ કરી છે. બંનેની પૂછતાછમાં ખુલાસો થયો હતો કે, બન્ને આરોપીઓને પૈસાની જરૂર હોય એ દરમિયાન હત્યાનો ભોગ બનેલા તબિબ નશાની હાલતમાં ગડખોલ પાટીયા કેનાલ પાસે પડેલા હતા. જેથી બન્નેએ તબીબને વધુ દારૂ પીવડાવી તેમને લૂંટી લેવાનો પ્લાન બનાવ્યો હતો. આપ્લાન મુજબ તેઓ તબીબને પોતાની બાઈક પર બેસાડી અવાવરું જગ્યાએ લઈ ગયા હતા અને તેમની પાસેથી લૂંટની કોશિશ કરી હતી.
પરંતુ પોતાની સાથે ખોટુ થઇ રહ્યું છે તેવું જાણી જતા ડોક્ટરે બંનેનો પ્રતિકાર કર્યો હતો. જેના જવાબરૂપે બંનેએ ભેગા મળી તબીબને ઢોર માર્યો હતો જેમાં તેમનું મોત નીપજ્યું હતું. આ તરફ આરોપીઓ તબિબ પાસેથી મોબાઇલ અને બાઈકની લૂંટ ચલાવી ફરાર થઈ ગયા હતા. પકડાઈ ન જવાય તે માટે મોબાઈલમાંથી સીમકાર્ડ અને બાઈક પરથી નંબર પ્લેટ કાઢી ફેંકી દીધી હતી. જોકે ક્રાઈમ બ્રાન્ચે ટેકનિકલ સર્વેન્સ અને હ્યુમન ઇન્ટેલન્સના માધ્યમથી બન્ને આરોપીઓને ઝડપી પાડી તેઓ વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી. આમ ગુનેગારો ભલે ગુનો આચરી ગમે ત્યાં ભાગી જાય તે એક દિવસ તો પોલીસના હાથમાં આવી જ જતાં હોય છે. આ કિસ્સામાં પણ હત્યા કરી લૂંટ ચલાવી બે ગુનેગાર છ છ મહિના સુધી પોતાની જાતને પોલીસથી બચાવી રહ્યા હતાં. છેલ્લે તો એમ થઇ ગયું હતું કે હવે પોતાને પોલીસ પકડી જ નહિ શકે. પરંતુ અંતે પોલીસના હાથ તેના સુધી પહોંચી ગયા હતાં.
