માલીયાસણ નજીક ટ્રક હડફેટે રીક્ષા ચગદાઇ
માતા-પુત્રી સહીત 6 ના મોત
રાજકોટ મિરર, તા.25
આજે સાંજે રાજકોટ નજીકના માલીયાસણ નજીક રોંગ સાઈડમાં માતેલા સાંઢની જેમ પુરપાટ ઝડપે નીકળેલા એક ટ્રકે સામેથી આવતી ઓટો રિક્ષાને હડફેટે લઇ પડીકું વાળી દીધાની ગમખ્વાર ઘટનામાં માતા-પુત્રી સહીત 6 લોકોના ઘટના સ્થળે જ કમકમાટી ભર્યા મોત થયા હતા. અકસ્માત સમયે માલીયાસણ હાઈવે મરણચીસોથી ગુંજી ઉઠ્યો હતો. જો કે ઓટો રીક્ષા ચાલકનો નાની-મોટી ઈજાઓ સાથે આબાદ બચાવ થતા તેમને હોસ્પીટલે ખસેડાયો છે. બનાવની જાણ થતા જ પોલીસ કમિશનર સહીત ડીસીપી પોતાના ક્રાઈમ બ્રાન્ચના કાફલા સાથે ઘટના સ્થળે અને હોસ્પીટલે પહોચીને અકસ્માતનો તાગ મેળવ્યો હતો. અકસ્માતમાં મોતને ભેટેલા મૃતકો નવાગામથી ચોટીલા એક લગ્નપ્રસંગમાં હાજરી આપવા જઈ રહ્યા હતા પણ રસ્તામાં જ કાળે આંતરતા લગ્ન ગીતોને બદલે લકુમ પરિવારમાં મરશીયા શરુ થઇ ગયા છે.
સમગ્ર બનાવની વિગતો આપતા રાજુભાઈ લકુમે જણાવ્યું હતું કે, આજે તેમનો પરિવાર સગા-સંબંધીઓ સાથે નવાગામથી ચોટીલા ખાતે સાળા શંભુભાઈના લગ્ન પ્રસંગમાં હાજરી આપવા ઓટો રીક્ષામાં નીકળ્યો ત્યારે રાજકોટ અમદાવાદ હાઈવે પર માલીયાસણ નજીક સામથી અમદાવાદ તરફથી પુરપાટ ઝડપે રોગ સાઈડમાં આવતા યુ.પી.78 એ.ટી. 5808 નંબરના ટ્રકે ધડાકાભેર ઓટો રીક્ષા માટે ચડાવી દેતા પલકવારમાં રીક્ષા પડીકું વળી ગઈ હતી.
ત્યારે રીક્ષામાં ડ્રાઈવર અને 8 માસની બાળકી સહીત ત્રણ મહિલા અને ચાર પુરુષો મળી સાત પરીવારજનોમાંથી 6 ના ઘટના સ્થળે જ કમકમાટીભર્યા મોત થયા હતા. બનાવ સમયે મરણ ચીસોથી હાઈવે ગુંજી ઉઠ્યો હતો. આ સમયે ત્યાંથી પસાર થયેલા ક્રેઇન ચાલક સરદારજીએ મદદે આવી ક્રેઇનની મદદથી રીક્ષા અને મૃતકોની લાશો મહા મહેનતે કાઢી હતી.
બીજીબાજુ ગમખ્વાર અકસ્માતની જાણ થતા પોલીસ કમિશ્નર બ્રજેશ શાહ તેમજ ડીસીપી પાર્થરાજસિંહ ગોહિલ, એસીપી આર.એસ.બારૈયા અને આરટીઓ અધિકારી કેતન ખપેડ સહીત ક્રાઈમ બ્રાંચ કાફલો ઘટના સ્થળે અને હોસ્પીટલે પહોંચી મૃતકોની ઓળખ કરી હતી . જેમાં યુવરાજ રાજુભાઈ લકુમ (27 વર્ષ – જામનગર – રીક્ષા ચાલક), વેદાંશી સાગર સોલંકી (8 માસ-જામનગર), ભૂમિબેન રાજુભાઈ લકુમ (35 વર્ષ-જામનગર ), શિતલબેન યુવરાજ સોલંકી (29 વર્ષ-જામનગર ), શારદાબેન જીણાભાઈ લકુમ (50 વર્ષ-નવાગામ), નંદનીબેન સાગરભાઈ સોલંકી (25 વર્ષ-નવાગામ)નો સમાવેશ થતો હોવાનું પોલીસે જણાવ્યું હતું. જયારે આનંદ વિક્રમ સોલંકી(ઉ.21-નવાગામ)ને નાની મોટી ઈજાઓ સાથે સારવાર માટે હોસ્પીટલે ખસેડાયો છે.
ટ્રક ડ્રાઈવર સકંજામાં : DCP પાર્થરાજસિંહ ગોહિલ
માલીયાસણ નજીકના ગમખ્વાર અકસ્માતમાં ત્રણ સ્ત્રી અને ત્રણ પુરુષોના મૃત્યુ બાબતે વિગતો આપતા ક્રાઈમ બ્રાન્ચના ડીસીપી પાર્થરાજસિંહ ગોહિલે જણાવ્યું હતું કે, માલિયાસણ ગામ પાસે રોંગ સાઈડમાં આવતા ટ્રક અને ઓટોરીક્ષા વચ્ચેના અકસ્માતની દુ:ખદ ઘટના બની છે. અકસ્માત સર્જનાર ટ્રક ચાલકને સકંજામાં લેવાયો છે. તેમની સામે કુવાડવા પોલીસમાં ગુન્હો નોંધાશે.
7-8 કિમી ટ્રાફિક જામ: RTO કેતન ખપેડ
માલીયાસણ નજીક ટ્રક-ઓટો રીક્ષાના ગોઝારા અકસ્માતથી રોડ પર આશરે 7-8 કિલોમીટર સુધી ટ્રાફિક જામ થઇ ગયો હતો. પણ બનાવની જાણ બાદ તુરંત ઘટના સ્થળે પહોચેલા આરટીઓ અધિકારી કેતન ખપેડએ પોતાના સ્ટાફને કામે લગાડી ટ્રાફિક પૂર્વવત કર્યો હતો.
સાળાના લગ્ન પ્રસંગે જઈ રહેલા પરિવારને નડ્યો ગમખ્વાર અકસ્માત : કાળમુખા ટ્રકે ઓટોરીક્ષાનો કચ્ચરઘાણ કાઢી નાખ્યો : રીક્ષા ચાલકનો ગભીર ઈજા સાથે આબાદ બચાવ : માલીયાસણ હાઈવે મરણચીસોથી ગુંજ્યો : પોલીસ કમિશ્નર સહીત પોલીસ અધિકારીઓ બનાવ સ્થળે-હોસ્પિટલે દોડ્યા : રોંગ સાઈડમાં ટ્રક ચલાવી અકસ્માત સર્જનાર ચાલક સામે ગુન્હો : બનાવ સ્થળે સાર્વત્રિક અરેરાટી
બે મૃતકો તો બે-ત્રણ વર્ષ પહેલા જ પરણ્યા હતા
માલીયાસણ નજીકના અકસ્માતમાં મૃતકોની વધુ વિગતો આપતા પોલીસે જણાવ્યું હતું કે, મૃતક સાગરભાઈ સોલંકીના ત્રણ વર્ષ પહેલા અને યુવરાજભાઇ લકુમના બે વર્ષ પહેલા જ લગ્ન થયા હતા. યુવ્રજ્ભાઈ પાંચ બહેનોનો એકનો એક ભાઈ હતો
