‘તોફાની રાધા’ના આપઘાત પાછળનું કારણ શોધવા અધિકારીઓના માર્ગદર્શન હેઠળ તપાસ ચલાવી રહી છે યુનિવર્સિટી પોલીસ: ગોવાથી આવ્યા પછી શા માટે ગુમસુમ થઇ ગઇ હતી રાધિકા? કોલ ડિટેઇલ પર પોલીસને આશા
રાજકોટ: શહેરના રૈયા રોડ પરના વિસ્તારમાં રહેતી ઈન્સ્ટાગ્રામ કવીન તરીકે ઓળખાતી તોફાની રાધા એટલે કે છવ્વીસ વર્ષિય યુવતિ રાધિકા હર્ષદભાઇ ધામેચાએ ગળાફાંસો ખાઇ આપઘાત કરી લીધાના બનાવમાં પોલીસે મૃતક યુવતીના પિતા સહિતના સ્વજનોના નિવેદન નોંધ્યા છે તેમજ મૃતકની કોલ ડિટેઇલ કઢાવવા હોય તેની કોલ ડીટેઈલ કઢાવવાની કાર્યવાહી હાથ ધરી હતી અને મૃતક યુવતીના નજીકના એક ડઝનથી વધુ મિત્રોની પુછતાછ પણ કરવામાં આવી છે. તોફાની રાધાએ અચાનક દુનિયા શા માટે છોડી દીધી? હમેંશા પોતાની મસ્તીમાં મસ્ત રહેતી, મોજીલી અને બિંદાસ્ત જિંદગી જીવતી આ તોફાની રાધા ગોવાથી આવ્યા પછી કેમ ગુમસુમ રહેતી હતી? એવુ તે શું બની ગયું કે તેને અચાનક દુનિયામાંથી વિદાય લઇ જિંદગીને જ શાંત કરી દેવી પડી? આ સવાલોએ હજુ પણ ભેદભરમની જાળ સર્જી રાખી છે.
શહેરના રૈયા રોડ પર તુલસી સુપર માકેર્ટ સામે સિલ્વર કોમ્પલેક્સમાં રહેતી અને ઈન્સ્ટાગ્રામ કવીન તરીકે ઓળખાતી તોફાની રાધા ઉર્ફે રાધિકા હર્ષદભાઈ ધામેચા નામની યુવતીએ શુક્રવારે રાત્રીના તેના પિતા હર્ષદભાઈને ફોન કરી હું ઉપર જાઉં છું તેમ કહી ગળાફાંસો ખાઈ આપઘાત કરી લીધો હતો. આ ફોનના પગલે રાધિકાના પિતા તાકીદે ઘેર પહોંચ્યા હતા પરંતુ તે પહેલા જ રાધિકાએ આ પગલું ભરી લીધાની જાણ થઈ હતી. આ બનાવ અંગેની જાણ થતા યુનિવર્સિટી પોલીસ મથકના પીઆઈ એચ.એન.પટેલ તથા સ્ટાફે પહોંચી કાર્યાવહી કરી હતી. પોલીસ તપાસમાં ખુલ્યા મુજબ રાધિકા ત્રણ બહેન અને એક ભાઈમાં મોટી હતી. તોફાની રાધાના દસ વર્ષ પહેલા માયાણીનગરમાં રહેતા યુવાન સાથે લગ્ન થઈ ગયા હતા અને લગ્ન જીવન દરમિયાન એક પુત્રની પ્રાપ્તિ થઇ હતી. જો કે સાડા સાત વર્ષ બાદ પતિ સાથે છુટાછેડા થઈ જતા તેના પુત્રને પતિને સોપી એકલી રહેતી હતી. મૃતક રાધિકા ઈન્સ્ટાગ્રામમાં તોફાની રાધા તરીકે ઓળખાતી હતી અને તેના 46 હજારથી વધુ ફોલોઅર્સ ધરાવતી હતી.
અગાઉ તે અલગ અલગ કારણોસર પોલીસ ચોપડે પણ ચડી હતી. આપઘાતના થોડા દિવસ પહેલા જ તે ગોવા ગઈ હતી અને ત્યાંથી આવ્યા બાદ ગુમસુમ રહેતી હતી અને બાદમાં આ પગલું ભરી લીધાનું ખુલ્યું હતું. ગોવા કોણ કોણ ગયુ હતું? ત્યાં શું બન્યું હતું? શા માટે તેણી ગોવાથી આવ્યા પછી ઉદાસ રહેતી હતી? આ સહિતના મુદ્દે પણ તપાસ શરૂ થઇ છે અને ગોવાને લઇને સોશિયલ મિડીયામાં પણ અનેક વાતો વહેતી થઇ છે. પોલીસે તોફાની રાધાના પિતા હર્ષદભાઈ ધામેચા સહિતના નિવેદનો નોંધ્યા હતા તેમજ પોલીસે મોબાઈલ કબ્જે કરી કોલ ડીટેઈલ કઢાવવાની કાર્યવાહી હાથ ધરી હતી. આ ઉપરાંત તેણીના બારથી વધુ ફ્રેન્ડની પણ પુછતાછ હાથ ધરવામાં આવી હતી. આપઘાતનું કારણ જાણવા પોલીસે અલગ અલગ દિશામાં તપાસ યથાવત રાખી છે. તોફાની રાધાના મોતનું આપઘાતનું રહસ્ય ઉકેલવા ઉચ્ચ અધિકારીઓના માર્ગદર્શનમાં પોલીસની ટીમો કામે લાગી છે.
