આજે નાગરિક સહકારી બેંકની ચૂંટણી : જિલ્લા વહીવટી તંત્રએ સંભાળી કમાન
સવારે આઠ વાગ્યાથી શરૂ થશે મતદાન : વેબ કાસ્ટીંગ મારફત ચૂંટણી ઉપર રખાશે બાજ નજર
રાજકોટ, તા. 16
નાગરિક સહકારી બેંકની ચૂંટણી આજે યોજાશે જે માટે તમામ તૈયારીઓ પૂર્ણ કરી દેવામાં આવી છે એટલું જ નહીં જિલ્લા વહીવટી તંત્ર દ્વારા હાલ તમામ જરૂરી સામગ્રીઓને પણ મતદાન મથકે પહોંચાડી દેવામાં આવી છે. ગુજરાત અને સમગ્ર દેશમાં રાજકોટ નાગરિક સહકારી બેંકની ચૂંટણી ચર્ચાનો વિષય બન્યો છે ત્યારે આજે યોજનાર મતદાનમાં ઘણું ખરું ચિત્ર સ્પષ્ટ થઈ જશે કારણ કે ચૂંટણી પૂર્વે જ નાગરિક બેંકમાં અનેકવિધ વિવાદો જોવા મળ્યા હતા ત્યારે મતદારો કોની તરફ પોતાનો ભરોસો રાખે છે તે જોવાનું રહ્યું.
છેલ્લા દોઢ વર્ષથી રાજકોટ નાગરિક બેંકમાં અનેકવિધ કૌભાંડો થયા હોવાનું વારંવાર સમાચાર માધ્યમોમાં સુરખીઓ આવી રહી હતી ત્યારે સામસામે આક્ષેપો પણ કરવામાં આવતા હતા. એ વાતને ધ્યાને લઈ સંસ્કાર પેનલે પોતાનો વિરોધ દર્શાવવાનું શરૂ કર્યું પરંતુ તેમના દ્વારા કરવામાં આવેલી અરજીને ગુજરાત હાઇકોર્ટે નકારી કાઢી હતી ત્યારે હવે સંસ્કાર પેનલનું ભવિષ્ય શું હશે તે 19 તારીખે ખ્યાલ આવી જશે. મળતી માહિતી મુજબ સંસ્કાર પેનલના ચાર ઉમેદવારોના ફોર્મ પણ કલેક્ટર દ્વારા રદ કરવામાં આવ્યા હતા જે બાદ વિવાદ વાપર્યો હતો અને આ મુદ્દો ગુજરાત હાઇકોર્ટ સુધી પહોંચ્યો. ત્યારે હવે આજે રાજકોટના 196 ડેલિકેટ ઉપરાંત બે મહિલા ડિરેક્ટર માટે રાજકોટ સહિત અન્ય ગામોમાં એટલે કે કહી શકાય કે કુલ સાત જગ્યાઓ પર મતદાન યોજાશે અને તેમાં રાજકોટનું મતદાન નિર્ણાયક બનશે તેવું હાલ તજજ્ઞ જોઈ રહ્યા છે. જિલ્લા વહીવટી તંત્ર દ્વારા આ અંગે સમગ્ર તૈયારીઓ આટોપી લેવામાં આવી છે. શાંતિપૂર્ણ માહોલમાં વાતાવરણ થાય તે માટેની તમામ વ્યવસ્થાઓ પણ હાલ તંત્રએ ગોઠવી લીધી છે.
જિલ્લા કલેક્ટર ચૂંટણી અધિકારી તરીકે કામ કરી રહ્યા છે અને મામલતદારોને બહારગામમાં મતદાન કેન્દ્રો પર ફરજ બજાવવા માટે મોકલી પણ દેવાયા છે. બે મહિલા ડીરેક્ટર ચૂંટવા માટે છેક મુંબઇ અને સુરત ઉપરાંત મોરબી, જસદણ, જેતપુર અને અમદાવાદમાં બેંકની શાખા પર જિલ્લા કલેક્ટર તંત્ર દ્વારા ઉભી કરાયેલી વ્યવસ્થા મુજબ સવારે 8 થી બપોરે 4 સુધી મતદાન થશે અને તમામ પ્રક્રિયાનો વેબકાસ્ટીંગ પણ થશે. જ્યારે તા.19ના રોજ મત ગણતરી યોજાશે.
આજે મતદાન પૂર્વે બંને પેનલો દ્વારા 196 ડેલિકેટ્સને પોતપોતાની પેનલમાં મતદાન કરાવવા માટે રિઝવવાના પ્રયત્નો શરૂ કરવામાં આવ્યા હતા. નિયમો અંગે જો વાત કરવામાં આવે તો બેંકના જે 196 ડેલિગેટ છે તેની પસંદગી મુજબ વધુને વધુ 15 મતો આપવાના હોય છે. ત્યારે નાગરિક સહકારી બેંકની ચૂંટણીમાં વર્તમાન અને પૂર્વ સંચાલકો આમને સામને આવી ગયા છે જેના કારણે જ ચૂંટણી યોજવામાં આવી હોવાનું તજજ્ઞ માને છે.
રાજકોટમાં નાગરિકના 150 ફૂટ રીંગ રોડ પર મતદાન યોજાશે. જેનો કબ્જો જિલ્લા તંત્ર દ્વારા મેળવી લેવાયો હતો. 196 ડેલીગેટોને પોતાની તરફ કરવા બન્ને પેનલો દ્વારા જ પ્રયત્નો શરુ કરી દેવાયા હતા જેમાં સહકાર પેનલે રાજકોટની જાગનાથ પ્લોટની નંદવાણા બોર્ડીંગ ખાતે સ્નેહમિલનના નામે સભાસદોને બોલાવ્યા હતા અને ભાજપ અને સંઘના તમામ ટોચના અગ્રણીઓ હાજર હતા તેમજ ભોજન સમારંભ પણ યોજાયો હતો અને તેમાં ડેલીગેટ્સના સહકાર પેનલના મતો અંગે માહિતી અપાઇ હતી જ્યારે સંસ્કાર પેનલ દ્વારા વ્યકિતગત સંપર્ક થઇ રહ્યો હોવાનો દાવો કરવામાં આવ્યો છે.
જેતપુરમાં મહિલા સંચાલિત કેન્દ્ર
જિલ્લા વહીવટી તંત્ર અને નાગરિક બેંકના ચૂંટણી અધિકારી પ્રભાવ જોશી એ જણાવ્યું હતું કે તંત્ર દ્વારા ચૂંટણીને લઇ સમગ્ર તૈયારીઓ પૂર્ણ કરી દેવામાં આવી છે ત્યારે જેતપુર ખાતે જે મતદાન કેન્દ્ર છે તે સો ટકા મહિલા સંચાલિત કેન્દ્ર રહેશે જ્યાં તમામ ચૂંટણીની કામગીરી મહિલાઓ દ્વારા કરવામાં આવશે. વધુમાં જિલ્લા કલેકટરે જણાવ્યું હતું કે આ કરવા પાછળનો મુખ્ય હેતુ એ જ છે કે મહિલા સશક્તિકરણ અંગે લોકો વધુને વધુ જાગૃત થાય જે માટે હાલ જિલ્લા વહીવટી તંત્ર દ્વારા તમામ વ્યવસ્થાઓ પૂર્ણ કરી દેવામાં આવી છે અને જે માટે કલેક્ટરે શાંતિપૂર્ણ માહોલમાં મતદાન થાય તે માટેની અપીલ પણ કરી હતી. નાગરિક બેંકની ચૂંટણીમાં 100 ટકા મતદાન થાય તે માટે જિલ્લા વહીવટી તંત્ર દ્વારા અનેકવિધ પગલાંઓ લેવામાં આવ્યા છે
દિવ્યાંગ કર્મચારીઓને CCTV કંટ્રોલરૂમની સોંપાઇ જવાબદારી
કલેકટર અને ચૂંટણી અધિકારી પ્રભવ જોષીએ માહિતી આપતા જણાવ્યું હતું કે દિવ્યાંગ કર્મચારીઓને હાલ સીસીટીવી કંટ્રોલરૂમની જવાબદારી સોંપવામાં આવેલી છે જ્યાંથી તેઓ ચૂંટણી કયા માહોલમાં થાય છે ચૂંટણી દરમિયાન કંઈ તકલીફ તો ઉદભવિત થતી નથી કે કેમ તે તમામ મુદ્દાઓ ઉપર ધ્યાન રાખવાનું છે જે માટેની ખાસ જવાબદારી દિવ્યાંગોને કલેક્ટર દ્વારા સોંપવામાં આવી છે.
બેંકના 80 પ્લસ ઉમરના મતદારો માટે કરાય છે વિશેષ વ્યવસ્થા
જિલ્લા કલેકટર પ્રભાવ જોશીએ જણાવ્યું હતું કે બેંકના એસી વર્ષથી ઉપરની વયના જે મતદારો છે તેમના માટે એક ખાસ વ્યવસ્થા ઊભી કરવામાં આવી છે જેથી તેઓ સુચારું રૂપથી મતદાન મથક સુધી પહોંચી શકે અને તેમનો કીમતી મત આપી શકે. આ અંગે વધુમાં જિલ્લા કલેકટરે જણાવ્યું હતું કે કોપરેટીવ ઇલેક્શન ઓથોરિટી ઓફ ઈન્ડિયા દ્વારા સમગ્ર ચૂંટણી ખર્ચ ભોગવવામાં આવશે સામે તેઓએ જણાવ્યું હતું કે માત્ર સાત કેન્દ્રો ઉપર જ ચૂંટણી હોવાથી ખૂબ સામાન્ય ખર્ચ થવાનો છે. વધુમાં કલેકટરે એક ટોલ ફ્રી નંબર પણ જાહેર કર્યો જેમાં કોઈ પણ મતદારે પોતાની ફરિયાદ નોંધાવી હોય તો તે નોંધાવી શકે છે જે માટે 0281-2471573 નંબર રાખવામાં આવ્યો છે.
