પરિવારજનોએ હત્યાની આશંકા દર્શતા પોલીસ તપાસનો ધમધમાટ શરુ
રાજકોટ મિરર, સુરત તા.1
સુરતમાંથી આપઘાતનો ચોંકાવનારો કિસ્સો સામે આવ્યો છે. સુરતના અલથાણમાં વોર્ડ નંબર 30ના ભાજપ મહિલા મોરચા પ્રમુખે પોતાના જ ઘરમાં ગળોફાંસો ખાઈ આપઘાત કરી લીધો છે. 34 વર્ષની દિપીકા પટેલે આપઘાત કરી લેતા પરિવાર સહિત ભાજપમાં શોકનો માહોલ છવાઈ ગયો છે.
આપઘાતની માહિતી મળતા જ પોલીસ તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચી તપાસ હાથ ધરી હતી. પોલીસે મહિલાના મૃતદેહને સિવિલ હોસ્પિટલ ખાતે પોસ્ટમોર્ટમ મોકલી આગળની તપાસ હાથ ધરી છે. જોકે, મૃતકના પરિવારજનો સમગ્ર બાબતે આપઘાતની વાતને નકારી રહ્યા છે. પરિવાર આ ઘટનાને આત્મહત્યા નહીં પરંતુ હત્યા જણાવી રહ્યા છે.
મૃતકના સંબંધી મિનેષ પટેલે જણાવ્યું કે, મૃતક ઘણાં સમયથી ભાજપના કાર્યકર્તા હતાં અને સમાજ સેવિકા પણ હતાં. અમને આશંકા છે કે, આ આત્મહત્યા નહીં પરંતુ હત્યા છે. કારણકે, જ્યાં દિપીકાએ ફાંસો ખાધો હતો ત્યાં કોઈ દોરડું કે દુપટ્ટો નહતો. પરિવારજનોમાંથી તેમના બાળકો ઘરે હતાં અને પતિ ખેતરે ગયાં હતાં. રૂૂમમાં ફક્ત સચિન વિસ્તારના કોર્પોરેટર ચિરાગ અને અન્ય એક શખસ આકાશ હાજર હતો. જો કોઈએ ફાંસો ખાધો હોય તો પહેલાં પોલીસને જાણ કરે, પરંતુ ચિરાગે પોલીસને બોલાવવાની બદલે દિપીકાને નીચે ઉતારી. અમને આશંકા છે કે, દિપીકાની ગળું દબાવીને હત્યા કરવામાં આવી છે, તેથી સમગ્ર મુદ્દાની તપાસ કરવામાં આવે અને અમને ન્યાય મળે.
