ગીર સોમનાથમાં જે જમીન પર ગેરકાયદેસર ધાર્મિક બાંધકામો તોડી પાડવામાં આવ્યા છે તે જમીન સરકાર પાસે રહેશે અને તે કોઈ ત્રીજા પક્ષને ફાળવવામાં આવશે નહીં
નવીદિલ્હી, તા. 25
ગુજરાતના ગીર સોમનાથમાં ગેરકાયદે બાંધકામ દૂર કરવાની કાર્યવાહી પર સ્ટે આપવાનો સુપ્રીમ કોર્ટે ઈન્કાર કરી દીધો છે. વાસ્તવમાં સુપ્રીમ કોર્ટમાં એક અરજી દાખલ કરીને યથાસ્થિતિ જાળવી રાખવાની માંગ કરવામાં આવી હતી. આના પર જસ્ટિસ બીઆર ગવઈ અને જસ્ટિસ કેવી વિશ્વનાથનની બેન્ચે બંને પક્ષોને સાંભળ્યા બાદ યથાસ્થિતિ જાળવી રાખવાનો આદેશ આપવાનો ઈન્કાર કરી દીધો હતો. ગુજરાત સરકારે શુક્રવારે સુપ્રીમ કોર્ટમાં જણાવ્યું હતું કે ગીર સોમનાથમાં જે જમીન પર ગેરકાયદેસર ધાર્મિક બાંધકામો તોડી પાડવામાં આવ્યા છે તે જમીન તેમની પાસે રહેશે અને તે કોઈ ત્રીજા પક્ષને ફાળવવામાં આવશે નહીં.
સોલિસિટર જનરલે કહ્યું છે કે આગળના આદેશો સુધી સંબંધિત જમીનનો કબજો સરકાર પાસે રહેશે અને કોઈ ત્રીજા પક્ષને ફાળવવામાં આવશે નહીં. આ બાબતને ધ્યાનમાં રાખીને અમને કોઈ વચગાળાનો આદેશ પસાર કરવો જરૂરી લાગતો નથી. ખંડપીઠ ગુજરાત હાઈકોર્ટના આદેશ સામેની અરજી પર સુનાવણી કરી રહી હતી જેણે મુસ્લિમ ધાર્મિક સંરચનાઓને તોડી પાડવા પર યથાસ્થિતિનો આદેશ આપવાનો ઈન્કાર કર્યો હતો. વચગાળાના સ્ટે હોવા છતાં અને પૂર્વ પરવાનગી વિના રાજ્યમાં રહેણાંક અને ધાર્મિક બાંધકામોને ગેરકાયદેસર રીતે તોડી પાડવા બદલ ગુજરાતના અધિકારીઓ સામે સુપ્રીમ કોર્ટ એક અલગ તિરસ્કારની અરજી પર પણ વિચારણા કરી રહી છે.
અરજીમાં સુપ્રીમ કોર્ટના 17 સપ્ટેમ્બ્ારના આદેશના કથિત ઉલ્લંઘન બદલ રાજ્યના અધિકારીઓ સામે અવમાનનાની કાર્યવાહી શરૂ કરવાની માંગ કરવામાં આવી હતી. તેના આદેશમાં સર્વોચ્ચ અદાલતે સમગ્ર દેશમાં બુલડોઝરની કાર્યવાહી પર પ્રતિબંધ મૂક્યો હતો. અન્ય વાદી તરફથી વરિષ્ઠ વકીલ હુઝૈફા અહમદી હાજર થયા હતા. તેમણે દાવો કર્યો હતો કે કાયદેસર વકફ જમીન પર સ્થિત બાંધકામોને નિશાન બનાવવામાં આવ્યા હતા. અહમદીએ તેમના અસીલની આશંકા વ્યક્ત કરી કે જો સરકાર કોઈ તૃતીય પક્ષને જમીન ફાળવે અને યથાસ્થિતિનો આદેશ માંગે. આ અંગે એસજી તુષાર મહેતાએ જણાવ્યું હતું કે જમીન સરકાર પાસે જ રહેવી જોઈએ.
ગુજરાત સરકાર તરફથી હાજર રહેલા સોલિસિટર જનરલ તુષાર મહેતાએ કોર્ટને ખાતરી આપી હતી કે ગેરકાયદેસર બાંધકામમાંથી મુક્ત કરાયેલી જમીન સરકાર પાસે રહેશે અને આગળના આદેશો સુધી કોઈપણ તૃતીય પક્ષને ફાળવવામાં આવશે નહીં. આ પછી ખંડપીઠે કહ્યું કે આ સ્થિતિમાં અમને કોઈ વચગાળાનો આદેશ પસાર કરવો જરૂરી નથી લાગતો. ઔલિયા-એ-દિન કમિટીએ ગુજરાત હાઈકોર્ટના 3 ઓક્ટોબ્ારના નિર્ણય સામે પિટિશન દાખલ કરી હતી, જેમાં યથાસ્થિતિ જાળવી રાખવાની માગણી કરવામાં આવી હતી.
ગુજરાત સરકાર પ્રસિદ્ધ સોમનાથ મંદિર પાસે ગેરકાયદે બાંધકામો સામે ડિમોલિશન અભિયાન ચલાવી રહી છે. આ અભિયાન હેઠળ 57 એકર વિસ્તારમાં ફેલાયેલા ગેરકાયદે બાંધકામોને તોડી પાડવામાં આવી રહ્યા છે. જે ગેરકાયદે બાંધકામો સામે કાર્યવાહી કરવામાં આવી રહી છે તેમાં મુસ્લિમ સમુદાયના અનેક ધાર્મિક સ્થળો અને રહેઠાણોનો સમાવેશ થાય છે. ગુજરાત સરકારનું કહેવું છે કે ગેરકાયદે બાંધકામો દરિયાને અડીને આવેલા છે અને ગેરકાયદેસર છે. નોંધનીય છે કે સુપ્રીમ કોર્ટે 1 ઓક્ટોબરે પોતાના આદેશમાં દેશભરમાં બુલડોઝરની કાર્યવાહી પર પ્રતિબંધ મૂક્યો હતો. જોકે, કોર્ટે ગેરકાયદે બાંધકામો સામે કાર્યવાહી ચાલુ રાખવાની મંજૂરી આપી હતી. ઓલિયા-એ-દિન સમિતિ વતી વરિષ્ઠ વકીલ કપિલ સિબ્બ્લે દલીલ કરી હતી અને ડિમોલિશનની કાર્યવાહીનો વિરોધ કર્યો હતો, એવી દલીલ કરી હતી કે જમીન, જેને ગેરકાયદેસર ગણાવવામાં આવી રહી છે, તે 1903ની છે અને તે સમિતિના નામે નોંધાયેલી છે. સિબ્બ્લે કહ્યું કે જમીનના કાયદાકીય અને ઐતિહાસિક દરજ્જાને માન આપ્યા વિના તોડી પાડવાની કાર્યવાહી મનસ્વી રીતે કરવામાં આવી રહી છે. આ અંગે એસજી તુષાર મહેતાએ દસ્તાવેજો રજૂ કર્યા હતા, જેમાં વિવાદિત જમીન સોમનાથ ટ્રસ્ટના કબજામાં હોવાનું દર્શાવવામાં આવ્યું હતું. એસજીએ કહ્યું કે અરજદારના દાવાઓ ભ્રામક છે અને સરકારને ગેરકાયદે બાંધકામો દૂર કરવાનો અધિકાર છે.
