નવી દિલ્હી, તા.3
ભારતની સુપ્રીમ કોર્ટે આજે સોમવારે એક ઐતિહાસિક ચુકાદો આપ્યો હતો. સુપ્રીમ કોર્ટે કહ્યું છે કે દ્રષ્ટિહીન લોકો પણ ન્યાયાધીશ બની શકે છે. કોર્ટે કહ્યું છે કે દ્રષ્ટિહીન લોકોને પણ ન્યાયિક સેવાઓમાં નિમણૂકનો અધિકાર છે. જસ્ટિસ જે.બી. પારડીવાલા અને જસ્ટિસ આર. મહાદેવની બેન્ચે કેટલીક અરજીઓ પર આ ચુકાદો આપ્યો હતો.
કોર્ટે કહ્યું કે દિવ્યાંગ વ્યક્તિઓ સાથે ન્યાયિક સેવાઓમાં કોઈપણ પ્રકારના ભેદભાવ થવો ન જોઈએ અને રાજ્યએ ઇન્કલુઝીવ માળખું પૂરું પાડવા માટે સકારાત્મક પગલાં લેવા જોઈએ. આ સાથે, સુપ્રીમ કોર્ટે પોતાના ચુકાદામાં મધ્યપ્રદેશ સરકારના નિયમને રદ કરી દીધો. સુપ્રીમ કોર્ટે કહ્યું, કોઈ પણ ઉમેદવારને ફક્ત દિવ્યાંગતાના આધારે આવી તકથી વંચિત રાખી શકાય નહીં.
ગત વર્ષે, એક દૃષ્ટિહીન ઉમેદવારની માતાએ મધ્યપ્રદેશ ન્યાયિક સેવાઓમાં નિમણુક માટેના નિયમોમાં એક જોગવાઈ સામે સુપ્રીમ કોર્ટમાં પત્ર લખ્યો. આ જોગવાઈ મુજબ દૃષ્ટિહીન ઉમેદવારની રાજ્ય ન્યાયિક સેવાઓમાં નિમણૂક ન થઇ શકે.
