રાજકોટ સહિત આસપાસના પંથકોમાં દારૂ સાથે માદકપદાર્થના સેવનનું દૂષણ વકર્યુ
એસઓજીએ ચોટીલા પંથકના જાનીવડલામાં વાવેતર પકડ્યું: ત્રણ લાખનો ગાંજો કબ્જે: સાધુએ બીયારણ આપ્યાનું પકડાયેલા ખેડુતનું રટણ: રિમાન્ડ મેળવવા તજવીજ
રાજકોટ: રાજકોટ સહિત આસપાસના પંથકોમાં દારૂની સાથે સાથે અમુક લોકો ડ્રગ્સ, માદક પદાર્થનો નશો કરવાના રવાડે પણ ચડી ગયા છે. ટીનેજર્સ અને યુવાનો પણ આવા નશાના રવાડે ચડ્યા છે. અવાર-નવાર જે તે શહેરની પોલીસ, એસઓજીની ટીમો આ પ્રકારના માદક પદાર્થની હેરાફેરીના પર્દાફાશ કરે છે. ઘણીવાર તો ખેડુતો પોતાના ખેતરમાં જ ગાંજાના વાવેતર કરી નાખે છે. આ પ્રકારના વાવેતર અગાઉ પણ અનેક વખત પકડાયા છે. સુરેન્દ્રનગર જિલ્લામાં અનેક પ્રકારનાં કેફી પદાર્થો વડે નશાખોરી કરનારા પણ વધી ગયા છે. તો નશીલા પદાર્થની ખાનગીમાં ખેતી પણ થાય છે, જિલ્લા એસઓજી ની ટીમે ચોટીલાનાં જાનીવડલા ગામની સીમમાં બાતમીના આધારે ગાંજાનું વાવેતર પકડી એકની રપકડ કરી છે. વાવેતર કરવા માટેના બીજ એક સાધુએ આપ્યાનું આ ખેડુતે રટણ કર્યુ હતું.વિગતો પર નજર કરીએ તો ચોટીલા તાલુકામાં કેટલાક વિસ્તારોમાં નશાકારક ગાંજાની ખેતી અન્ય ખેતી પાકની આડમાં કરવામાં આવતી હોય છે. અગાઉ પણ અનેક સીમ વિસ્તારમાંથી ગાંજાની ખેતી ઝડપાયેલ છે જેથી જિલ્લાની બ્રાન્ચો સતત ખાનગી રાહે સતત વોચ રાખેલ એસઓજીના પોલીસ ઇન્સ્પેકટર બી. એચ. સિંગરખીયાને ખાનગી રાહે બાતમી મળેલ કે જાનીવડલા ગામનાં સીમ વિસ્તારમાં ખીમાભાઇ સામતભાઈ રબારીનું વર્ષોથી ભાગીયુ વાવતા રાજપરા ગામના રોજાસરા ગોવિંદભાઈ કુકાભાઇએ ખેતરમાં કપાસ તુવેરનાં ઉભા પાકની આડાશમાં વચ્ચે વચ્ચે ગાંજાનું વાવેતર કર્યુ હતું. આ બાતમીને આધારે સ્ટાફ સાથે દરોડો પાડી ખેતરમાં તલાસી લેતા ખેતરની બંન્ને તરફ નાના મોટા ત્રીસ જેટલા લીલા ગાંજાનાં છોડ મળી આવતા ધોરણસરની કામગીરી હાથ ધરેલ હતી કલાકોની જહેમત બાદ આશરે 36. 300 કિલોગ્રામ લીલા ગાંજાના રૂ. 3.63 લાખ નો મુદ્દામાલ ઝડપી પાડી આરોપીને અટક કરેલ હતી. એસઓજીએ ગાંજાનું વાવતેર કરતાં ઝડપાયેલા ખેડૂતની પુછપરછ કરતાં તેણે પોતાને આ છોડનું બિયારણ અજાણ્યા સાધુએ આપ્યાનું રટણ કર્યુ હતું. ચોટીલા પોલીસમાં નાર્કોટિક્સ એક્ટ મુજબ ગુનો દાખલ કરાવી તપાસ નાની મોલડીના પોલીસ ઇન્સ્પેક્ટર એન. એસ. પરમારને સોંપવામાં આવેલ છે.વધુ વિગતો જોઇએ તો ચોટીલા પંથકમાં અનેક લોકો નશાની લત ધરાવે છે ખાસ કરીને પોશ ડોડવા ઠાલીયાના વ્યસનીઓને પરવાન ઈશ્યુ નહીં થતા જેઓ આ નશીલા પદાર્થનું વેચાણ લાયસન્સ ધરાવનારની દુકાને માસિક નિયત કરેલ જથ્થો વેચાતો લેતા હતા પરંતુ સરકારે આ પરવાના પ્રથા રદ કરતા વ્યસની લોકો અન્ય નશીલા પદાર્થ તરફ વળતા ગેરકાયદેસર એવા ગાંજાનું વાવેતર ખાનગીમાં વધતું હોય તેવી ચર્ચા થઇ રહી છે. ચોટીલા પંથકમાં અનેક ડુંગરાળ અને નાની મોટી ટેકરીઓ અને મોટો સીમ વિસ્તાર આવેલ છે.
છેલ્લા ઘણા સમય થી અલગ અલગ વિસ્તારોમાંથી પોલીસના હાથે ગાંજાના વાવેતર ઝડપાયેલ છે. અભણ અને કાયદાથી અજાણ ખેડૂતો પાસે કોઇ ચોક્કસ લોકો આવા નશીલા પદાર્થ ની ખેતી કરાવે છે કે કેમ? તેવી આશંકા સાથે ભૂતકાળનાં આવા પ્રકારનાં ગુનાને નજરમાં રાખી ખાનગી રાહે તપાસ ચાલતી હોવાનું પણ ચર્ચાઇ રહ્યું છે. ઉલ્લેખનીય છે કે રાજકોટ શહેર એસઓજી પોલીસ ઇન્સ્પેક્ટર સંજયસિંહ જાડેજા અગાઉ સુરેન્દ્રનગર એસઓજીમાં હતાં ત્યારે એક સાથે પાંચ ખેતરોમાં દરોડા પાડી લાખોના ગાંજાનું વાવેતર ઝડપી લીધુ હતું. તે ગાંજાનો જથ્થો સમગ્ર પંથકમાં પકડાયેલો સોૈથી વધુ જથ્થો હતો. હાલમાં પણ આ પંથકમાં ગાંજાના વાવેતર થઇ રહ્યા છે. જેનો પુરાવો જાનીવડલામાં પડેલા દરોડા પરથી મળી શકે છે.
