સસ્પેન્સ થ્રિલર ફિલ્મ શો જેવી ઘટના: જેલ સત્તાધીશો જેને ભાગેડુ સમજતા હતાં તે દુનિયામાં જ રહ્યો નહોતો
પેરોલ પર છુટીને હત્યાનો પ્રયાસ કરી લૂંટ ચલાવી હતી: ફરાર એવા શખ્સને શોધવા પોલીસ કામે લાગી: પણ છેલ્લે ખબર પડી કે જેને પોતે શોધે છે એ શખ્સ પૂલ પરથી પટકાતાં મોતને ભેટ્યો છે: પ્રેમિકા સહિત ત્રણની હત્યા કરી હતી
દર્શનસિંહ જાડેજા દ્વારા
રાજકોટ મિરર તા.21
રહસ્યના આટાપાટા સર્જતી ઘટનાઓ અનેક વખત બનતી હોય છે. જેની તપાસને અંતે જે કંઇ સત્ય સામે આવે છે તે જાણીને પોલીસ સહિત સોૈ કોઇ ચોંકી જતા હોય છે. આવી જ એક ઘટના ઘટી છે જેમાં પેરોલ પર છુટેલા રીઢા ગુનેગારે લૂંટના ઇરાદે તિક્ષ્ણ હથીયારથી હુમલો કર્યો હતો અને ફરાર થઇ ગયો હતો. પોલીસને મળેલી માહિતીને આધારે ગુનેગાર બીજો કોઇ નહિ પણ અગાઉ ત્રણ ત્રણ હત્યામાં સામેલ અને પેરોલ પર છુટી ફરાર થયેલો શખ્સ જ હોવાની વિગતો મળી હતી. પોલીસે આ ગુનેગારને દબોચવા તપાસનો ધમધમાટ શરૂ કર્યો હતો. પોલીસ આરોપીનુ પગેરૂ શોધતી પહોંચી પણ હતી. પરંતુ ત્યારે ખબર પડી હતી કે પેરોલ પર છુટી હત્યાનો પ્રયાસ કરી ભાગી જનાર હવે હયાત જ નથી, તેનું પૂલ પરથી પડી જવાથી મૃત્યુ થયું છે. આ હકિકતની પોલીસે જેલ સત્તાધીશોને જાણ કરી હતી.
વિગતો પર નજર કરીએ તો ઘટના સરખેજ પોલીસ સ્ટેશનમાં નોંધાયેલી છે. જેમાં ગત માર્ચ મહિનામાં હત્યાના પ્રયાસનો ગુનો નોંધાયો હતો. જેની અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચ દ્વારા તપાસ કરવામાં આવી હતી. આ તપાસ દરમિયાન સસ્પેન્સ થ્રીલર ફિલ્મ જેવી ઘટના સામે આવી હતી. આરોપી સાબરમતી જેલમાંથી પેરોલમાંથી ફરાર થઈ ગયો હતો. આ દરમિયાન આરોપીએ સરખેજમાં લૂંટના ઇરાદે તિક્ષ્ણ હથિયાર વડે જીવલેણ હુમલો કર્યો હતો. આરોપી ફરાર હોઇ તેને શોધવા ક્રાઈમ બ્રાન્ચની ટીમ કામે લાગી હતી. પગેરૂ મળતાં પોલીસને રાહત થઇ હતી, પરંતુ હકિકત સામે આવી હતી કે આ આરોપીનું ગત ઓગષ્ટ મહિનામાં જ મોત થઇ ગયું છે! આ શખ્સ અગાઉ પોતાની પ્રેમિકા સહિત ત્રણ ત્રણ હત્યા કરી ચુક્યો હતો. ઘટનાની વધુ માહિતી મુજબ સરખેજમાં 19/3/24ના આદિલના શેખ સૂતો હતો, ત્યારે તેના પર અજાણી વ્યકિતએ તિક્ષ્ણ હથિયાર વડે હુમલો કર્યો હતો.
આ અંગે સરખેજ પોલીસે હત્યાના -યાસનો ગુનો નોંધી તપાસ શરૂ કરી હતી. ફરિયાદમાં જણાવ્યા મુજબ સરખેજના શંકરપુરા છાપરા સામે બજાજ સ્ટીલ નામની કંપનીની સામે વહેલી સવારે એક વ્યક્તિએ તિક્ષ્ણ હથિયાર વડે માથાના ભાગે ગંભીર ઇજા પહોંચાડી હતી. આ મામલે ક્રાઇમ બ્રાન્ચે પણ તપાસ શરૂ કરી હતી. ક્રાઈમ બ્રાન્ચે શકમંદનો ફોટો અને આરોપીની મોડસ ઓપરેન્ડીની તપાસ કરતાં આરોપી યાસીન ખાન ઉર્ફે સેન્ડો ઉર્ફે લબુ ઈબ્રાહીમખાન પઠાણ હોવાનું જાણવા મળ્યું હતું. આરોપીની તપાસ કરતા આરોપી આઈપીસીની કલમ 302, 392 હેઠળ અમદાવાદ સાબરમતી સેન્ટ્રલ જેલમાં સજા ભોગવી રહ્યો હતો. તેણે 12/2/24થી 23/2/24 સુધી પેરોલ રજા મેળવી હતી. આરોપી પેરોલમાંથી ફરાર થઈ ગયો હતો.
ત્યાર બાદ આરોપીએ 19/3/24ના રોજ વહેલી સવારે બજાજ સ્ટીલ કંપનીની સામે સહજાનંદ એસ્ટેટ શંકરપુરા, સરખેજના છાપરા સામે જાહેરમાં લૂંટના ઈરાદે તિક્ષ્ણ હથિયાર વડે જીવલેણ હુમલો કર્યો હતો. ક્રાઇમ બ્રાંચને બાતમીના આધારે જાણવા મળ્યું હતું કે આરોપી કચ્છના ગાંધીધામ ખાતે તેના ભાઇના ઘરે હતો. ક્રાઈમ બ્રાન્ચના ટીમ આરોપીના ભાઈ મહેબૂબ ઈબ્રાહીમખાન પઠાણના ઘરે પહોંચી હતી, ત્યારે જાણવા મળ્યું હતું કે આરોપી યાસીનખાન ઉર્ફે સેન્ડો ઉર્ફે લબુ ઈબ્રાહીમખાન પઠાણનું મૃત્યુ થયું હતું. 5/8/2024ના રોજ ગાંધીધામના ચુંગીનાકા ખાતે પુલ પરથી પડી જતાં આરોપીનું મોત થયું હતું. ક્રાઇમ બ્રાન્ચે આરોપીનું મૃત્યુ પ્રમાણપત્ર મેળવ્યું હતું. આ અંગે સરખેજ પોલીસ મથકે રિપોર્ટ મોકલી વણઉકેલાયેલો ગુનો ઉકેલી આગળની કાર્યવાહી હાથ ધરી હતી. સાબરમતી જેલમાં ડેથ સર્ટિફિકેટના આધારે પેરોલ ફરાર હોવા અંગે જેલ અધિકારીને રિપોર્ટ મોકલવામાં આવ્યો હતો.
પોલીસ ઇન્સ્પેક્ટર જયેશ મકવાણાએ વધુ માહિતી આપતા જણાવ્યું હતું કે આરોપીએ જુલાઇ 2009માં આરોપી જેલમાંથી છૂટ્યા બાદ આરોપીએ તેની પ્રેમિકાની શંકાના કારણે હત્યા કરી લાશ નદીમાં ફેંકી દીધી હતી. એક વર્ષ અગાઉ આરોપીએ એક વ્યક્તિનું ગળું દબાવી હત્યા કરી હતી. એક વ્યક્તિ પાસેથી ત્રણસો રૂપિયા માટે એલિસબ્રિજ નીચે અને મફલર વડે ગળું દબાવી હત્યા કરી હતી. આરોપી દિવસ-રાત એકાંત સ્થળોએ એકલતાનો લાભ લઇ લૂંટના ઇરાદે લોકો પર જીવલેણ હુમલા કરવાની ટેવ ધરાવતો હતો. આ ઘટનામાં ખુંખાર ગુનેગારનું મોત તેને ઓચીંતુ આંબી ગયું હતું. પોલીસ અને જેલના સત્તાધીશો જેને પેરોલ પર છુટ્યા બાદ ફરાર સમજી રહ્યા હતાં તે કયારનો આ દુનિયા જ છોડી ચુક્યો હતો.
