કથા મંગલારંભ: રામાયણ જીવનમાં ઉતરે તો આદર્શ પરિવારોનું નિર્માણ થાય
વૃદ્ધાશ્રમ.. આ શબ્દ સાંભળવો પણ ગમતો નથી. વડીલો ઘરની બહાર ધકેલાય એ સમાજની શરમ ગણાય. રાજકોટમાં વિશ્વનું સૌથી મોટું વૃદ્ધાશ્રમ નિર્માણ થઈ રહ્યું છે. ઉપરોક્ત તર્ક પ્રમાણે વિશ્વની સૌથી મોટી શરમ ગણાય,પણ…
વૃદ્ધાશ્રમના સ્વપ્નદ્રષ્ટા વિજયભાઈ ડોબરિયા આ અંગે સચોટ તર્ક આપતા કહે છે કે, જે વડીલોના પરિવારમાં કોઈ જ નથી, તેવા વડીલોનું કોણ ? આ પ્રશ્ન મોટો છે. તે અંગે ઊંડાણથી વિચારો તો ખ્યાલ આવશે કે, વર્તમાનમાં મોટાભાગના દંપતીઓ એક સંતાન ધરાવે છે. આ કારણે ભવિષ્યમાં વડીલોની સેવાનો મોટો પ્રશ્ન સર્જાશે. સામાજિક પ્રવાહો જે દિશામાં દોડે છે એ જોતા વડીલોની સેવા માટેની સંસ્થાઓ અનિવાર્ય બનશે. દીર્ઘ અને સકારાત્મક દ્રષ્ટિકોણ વાસ્તવિક્તા ને નજરમાં રાખીને ચિંતન કરશો તો આ વાત સમજાશે.
રૂં.300 કરોડના માતબર ખર્ચે નિરાધાર વડીલોના સેવાધામના લાભાર્થે રાજકોટમાં આજથી પૂ. મોરારીબાપુના વ્યાસાસને રામકથાનો પ્રારંભ થય રહ્યો છે. ઐતિહાસિક આયોજન છે. ચોમેર થનગનાટ ફેલાયો છે. દિવ્ય કથારસ વહેવાનો છે. રાજકોટ માટે આ લ્હાવો ગણાય.કથા દરમિયાન લાખો શ્રોતાઓ ઉમટવાના છે. આયોજકોએ બારીકાઇથી મેનેજમેન્ટ કરીને દરેક માટે વ્યવસ્થા ગોઠવવા પ્રયાસો કર્યા છે. લોકોએ પણ મેનેજમેન્ટ સાથે સહકારભર્યું વલણ રાખવું જોઈએ.
એક મુદ્દો ખુબ મહત્વનો છે. કથા સાંભળવા આવનાર દરેક શ્રોતાને રામાયણના લગભગ દરેક પ્રસંગોનો ખ્યાલ જ છે, તો શામાટે કથા સાંભળે છે ? આ પ્રશ્નનો જવાબ આધ્યાત્મિક દ્રષ્ટિકોણથી આપવો પડે તેમ છે. દરેક માણસ એ સ્તરે જીવન જીવતા હોય છે. મનનું સ્તર અને હૃદયનું સ્તર. મનનું સ્તર માનસિક પ્રભાવથી ઘડાય, હૃદયનું સ્તર આત્મિક પ્રવાહોથી ઘડાય.
આપણે હજાર વખત કથા માણી- જાણી હોય, પણ એ મોટા ભાગે મનના સ્તરે જ રહેલી હોય છે. કથાઓ દિવ્ય છે, પણ એ મનના સ્તરથી નીચે આત્મિક પ્રવાહમાં વહેવી જરૂરી હોય છે.આત્મિક પ્રવાહને દિવ્યતાની ભૂખ હોય છે, તેથી તેઓ માણસને કથામાં જવા વારંવાર પ્રેરે છે. રામાયણની કથા જાણ્યા બાદ એ કથામાંથી પ્રેરણા લઈને તે અનુસાર જીવવાનો પ્રયાસ કરતા રહો તો રામાયણ હૃદય પ્રવાહોમાં ઉતરે. એ ઉતર્યા બાદ જીવન રામમય બની જાય. આવું થયા પછી કથા સાંભળવાનું આકર્ષણ ઘટી શકે.
રામકથા ગોખવાની એટલે કે કંઠસ્થ કરવાની જરૂર નથી. રામકથા જીવવાનો વિષય છે. કથાનો ધબકાર જીવનમાં ધબકવા લાગે તો આદર્શ પરિવારોના સર્જન થઈ શકે, ભગવાન શ્રી રામચંદ્રજી મર્યાદા પુરુષોતમ છે. મર્યાદા પડતી મુકીને રામકથા સાંભળો તો એ હદય પ્રવાહમાં ન ઉતરે.
સદભાવના પરિવારે રાજકોટને અલૌકિક અવસર આપ્યો છે. આ અવસરનો દિવ્ય લાભ ઉઠાવે તે શ્રેષ્ઠતમ શ્રોતા ગણાય.
