સંસદના કોઈપણ ગૃહમાં બે તૃતીયાંશ બહુમતી હાંસલ કરવી સરકાર માટે મુશ્કેલ
કોવિંદ સમિતિના અહેવાલને મંજૂરી : વિગતવાર ચર્ચા માટે સંયુક્ત સંસદીય સમિતિ (JPC)ને મોકલવા માંગ
નવીદિલ્હી, તા. 9
કેન્દ્રની નરેન્દ્ર મોદી સરકાર વર્તમાન સંસદ સત્રમાં જ ‘એક દેશ, એક ચૂંટણી’ બિલ રજૂ કરી શકે છે. સરકારી સૂત્રોને ટાંકીને કહેવામાં આવ્યું છે કે સરકાર આ બિલને શિયાળુ સત્રમાં રજૂ કરવાની તૈયારી કરી રહી છે. તમને જણાવી દઈએ કે કેન્દ્રીય કેબિનેટે એક દેશ, એક ચૂંટણી પર પૂર્વ રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદ સમિતિના અહેવાલને મંજૂરી આપી દીધી છે. સૂત્રોના જણાવ્યા અનુસાર, સરકાર આ બિલ પર સર્વસંમતિ બનાવવા માંગે છે અને તેને વિગતવાર ચર્ચા માટે સંયુક્ત સંસદીય સમિતિ (JPC)ને મોકલવા માંગે છે. સરકાર સાથે સંકળાયેલા સૂત્રો કહી રહ્યા છે કે સરકાર રામનાથ કોવિંદની આગેવાની હેઠળની નિષ્ણાત સમિતિના 18,636 પાનાના અહેવાલ પર વિગતવાર ચર્ચા કરવા માંગે છે. અહેવાલ છે કે સરકારે કેન્દ્રીય મંત્રી રાજનાથ સિંહ, કિરણ રિજિજુ અને અર્જુનરામ મેઘવાલને વિપક્ષી નેતાઓ સાથે બેઠક કરવા અને સર્વસંમતિ બનાવવા માટે કહ્યું છે.
સૂત્રોએ જણાવ્યું હતું કે જેપીસી બિલ પર તમામ રાજકીય પક્ષોના પ્રતિનિધિઓ સાથે વિગતવાર ચર્ચા કરશે અને પ્રક્રિયામાં અન્ય હિતધારકો સાથે પણ વાતચીત કરશે. સૂત્રોએ જણાવ્યું કે આ પ્રક્રિયામાં દેશભરના બુદ્ધિજીવીઓની સાથે તમામ રાજ્ય વિધાનસભાના અધ્યક્ષોને પણ બોલાવવામાં આવી શકે છે. આ સિવાય સામાન્ય લોકોનો અભિપ્રાય પણ લઈ શકાય છે કારણ કે સર્વસંમતિ વિના વર્તમાન ચૂંટણી પ્રણાલીમાં ફેરફાર કરવો ખૂબ જ પડકારજનક બની શકે છે. નિષ્ણાતોનું કહેવું છે કે ‘વન નેશન વન ઈલેક્શન’ યોજનાને લાગુ કરવા માટે બંધારણમાં સુધારો કરવા માટે ઓછામાં ઓછા છ બિલ લાવવા પડશે અને આ માટે સરકારને સંસદમાં બે તૃતીયાંશ બહુમતીની જરૂર પડશે. હાલમાં સંસદના બંને ગૃહોમાં એનડીએ પાસે માત્ર સાદી બહુમતી છે. આવી સ્થિતિમાં સંસદના કોઈપણ ગૃહમાં બે તૃતીયાંશ બહુમતી હાંસલ કરવી સરકાર માટે મુશ્કેલ કામ બની શકે છે.
રાજ્યસભાની 245 બેઠકોમાંથી ગઉઅ પાસે 112 બેઠકો છે અને વિપક્ષી દળો પાસે 85 બેઠકો છે. સરકારને બે તૃતીયાંશ બહુમતી માટે ઓછામાં ઓછા 164 મતોની જરૂર છે.એક દેશ, એક ચૂંટણીને વાસ્તવિકતા બનાવવા માટે, સરકારે બંધારણમાં પણ સુધારો કરવો પડશે, જેના માટે બંને ગૃહોની બે તૃતીયાંશ બહુમતીથી છ બિલ પસાર કરવા જરૂરી છે. ભાજપના નેતૃત્વમાં એનડીએ પાસે લોકસભા અને રાજ્યસભામાં બહુમતી છે, પરંતુ બંધારણીય સુધારો સરળ નહીં હોય. વિપક્ષ વન નેશન વન ઈલેક્શનને વ્યવહારુ નથી માનતો અને તેને અલોકતાંત્રિક અને ગેરબંધારણીય પણ ગણાવી રહ્યો છે. વિપક્ષની દલીલ છે કે સમગ્ર દેશમાં એકસાથે ચૂંટણી યોજવાથી નોંધપાત્ર લોજિસ્ટિકલ અને ઓપરેશનલ પડકારો ઊભા થશે અને તે શાસનને અવરોધે છે અને સંઘીય સિદ્ધાંતોને નબળા પાડી શકે છે.
બિલ પાસ કરાવવા માટે કેન્દ્રએ સખત મહેનત કરવી પડશે
એક દેશ એક ચૂંટણી પ્રસ્તાવનો હેતુ દેશમાં એકસાથે ચૂંટણી યોજવાનો છે, જેનાથી સંસાધનો, સમય અને ખર્ચની બચત થશે. હાલમાં રાજ્યોમાં લોકસભાની ચૂંટણી અલગથી યોજાય છે. આ એક મોટી પહેલ છે, જેના માટે કેન્દ્ર સરકારે તેની તૈયારીઓ તેજ કરી દીધી છે. જો કે, કેન્દ્રની આ પહેલને વિપક્ષના વિરોધનો સામનો કરવો પડી રહ્યો છે, જેનાથી સ્પષ્ટ થાય છે કે આ બિલ પર સર્વસંમતિ બનાવવા માટે કેન્દ્ર સરકારને ઘણા પડકારોનો સામનો કરવો પડી શકે છે. મીડિયા રિપોર્ટ્સમાં કહેવામાં આવી રહ્યું છે કે રાજકીય પક્ષો વચ્ચે સર્વસંમતિ બનાવવા માટે કેન્દ્ર સરકાર આ બિલને સંસદમાં રજૂ કર્યા બાદ સંયુક્ત સંસદીય સમિતિને મોકલી શકે છે.
