મૃતકોમાં 5 વિદ્યાર્થીનો સમાવેશ : અકસ્માત સમયે એક કારનો ગેસનો સીલીન્ડર ફાટતા રોડ બાજુના ઝુપડા આગમાં ખાક : માળિયા હાટીના પંથકમાં સાર્વત્રિક અરેરાટી સાથે શોક
રાજકોટ મિરર, તા.9
આજે વહેલી સવારે જુનાગઢ જીલ્લાના માળીયાહાટીના પંથકના ભંડુરી પાસે સામસામી અથડાયેલી બે કાર વચ્ચેના ગમખ્વાર અકસ્માતમાં 7 ની જીંદગી છીનવાઈ ગઈ હતી. મૃતકોમાં પરીક્ષા આપવા જઈ રહેલા 5 વિધાર્થીઓ હતા. બનાવ સમયે મરણચીસોથી રોડ ગુંજી ઉઠ્યો હતો. વિધિના વક્તાએ ત્યારે વધુ કરુણા ફેલાવી હતી કે બંને કારની ટક્કર સમયે એક કારનો ગેસનો સીલીન્ડર ફાટતા નજીક ઝુપડામાં આગ ભભૂકી ઉઠતા તંત્રને આગ ઠારવા પણ દોડવું પડ્યું હતું. બનાવના સીસી કેમેરાના ફૂટેજ સોસીયલ મીડિયામાં વહેતા થતા બનાવને જોનારા લોકોના હદય કંપી ઉઠ્યા હતા.
હાઇવે પર વહેલી સવારે બે કારની ટક્કર થતાં આજુબાજુના લોકો એકઠા થયા હતા અને બચાવ કામગીરી સાથે પોલીસ અને 108ને જાણ કરી હતી. ઘટનાની જાણ થતાં જ પોલીસ કાફલા સાથે 108 અને ફાયર વિભાગની ટીમ ઘટનાસ્થળે પહોંચી હતી. ઘટનાસ્થળે પહોંચેલી ફાયરની ટીમે ઝૂંપડામાં લાગેલી આગ પર કાબૂ મેળવ્યો હતો. જ્યારે પોલીસે મૃતકોના મૃતદેહને પોસ્ટમોર્ટમ અર્થે ખસેડીને અકસ્માત કંઇ રીતે થયો એની આગળની તપાસ હાથ ધરી છે.
આ ગમખ્વાર અકસ્માતના સામે આવેલા સીસીટીવીમાં દેખાતું હતું કે એક કાર બ્રિજ તરફથી જઇ રહી છે, જ્યારે સામેથી આવતી બીજી કાર કોઇ કારણોસર ડિવાયડર કૂદીને બ્રિજ તરફથી જતી કારને સામેથી ટક્કર મારે છે. ટક્કર એટલી ભયંકર છે કે બંને કારનો કચ્ચરઘાણ વળી ગયો છે.
આ અંગે ડીવાયએસપી દિનેશ કોડિયાતારએ પત્રકારોને વિગતો આપી હતી કે, આજે વહેલી સવારે આઠ વાગ્યાની આસપાસ માળિયાના ભંડુરી ગામ પાસે એક મારુતિ સેલેરિયો અને એક અન્ય કાર વચ્ચે ટક્કર થઇ હતી, જેમાં સાત લોકોનાં મોત થયાં છે. હાલ સાતેય મૃતદેહો માળિયાની સરકારી હોસ્પિટલમાં પીએમ અર્થે ખસેડવામાં આવ્યા છે અને અકસ્માત અંગે વિશેષ વિગતો મેળવાઈ રહી છે.
આ અંગે સ્થળ પર સૌથી પહેલા પહોંચેલા ભંડુરી ગામના લોકોએ કહ્યું હતું કે સવારે આઠ વાગ્યાના આસપાસ આ અકસ્માત થયો હતો. અકસ્માતની જાણ થતા નજીકમાં રહેલા સેવાભાવીઓ દોડ્યા હતા. આ અકસ્માતમાં સાત લોકોનાં મોત થયાં છે, જેમાં પાંચ વિદ્યાર્થી છે, જે કેશોદની આજુબાજુના ગામના છે અને ગડુ મુકામે પરીક્ષા આપવા જતા હતા. જ્યારે બે મૃતક જાનુડા ગામના છે. સાતેયને પીએમ અર્થે ખસેડવામાં આવ્યા છે.
અકસ્માતમાં મોતને ભેટેલા હતભાગીઓ
– રાજુભાઈ કાનજીભાઈ ખુટણ (ઉંમર વર્ષ 40, ડાભોર-વેરાવળ)
– વિનુભાઈ દેવશીભાઈ વાળા (ઉંમર વર્ષ 35, જાનુડા ગામ)
– વિક્રમભાઈ કુવાડીયા (ઉંમર વર્ષ 25, માણેકવાડા ગામ)
– વજુભાઈ કરસનભાઈ રાઠોડ ઉંમર 60 જૂનાગઢ)
– ધરમ વિજયભાઈ ધરાદેવ (જૂનાગઢ)
– અક્ષત સમીરભાઈ દવે (રાજકોટ)
– ઓમ રજનીકાંતભાઈ મુગરા (રાજકોટ)
