1.93 કરોડની પકડી GST ચોરી : રોકડ વ્યવહારો, બિન હિસાબી વેચાણ તથા સ્ટોક જેવી ગેરરીતિઓ આવી સામે
રાજકોટ , તા. 29
છેલ્લા ઘણા સમયથી સ્ટેટ જીએસટી અને સેન્ટ્રલ જીએસટી દ્વારા જે રીતે દરોડા પાડવામાં આવી રહ્યા છે તેની સામે કરોડો રૂપિયાની જીએસટી ચોરીનો પણ પદોફાશ થઈ રહ્યો છે. મહત્વનું એ છે કે આ સર્ચ ઓપરેશનમાં અનેકવિધ રોચક માહિતીઓ અને તથ્યો પણ બહાર આવે છે ત્યારે ગઈકાલે સ્ટેટ જીએસટી દ્વારા રાજશ્રી પાન મસાલા અને ફ્લેવર્ડ તમાકુ પર દરોડા પાડવામાં આવ્યા હતા. જેમાં 1.93 કરોડની જીએસટી ચોરી પણ પકડી પાડવામાં આવી છે એટલું જ નહીં જીએસટી વિભાગના અધિકારીઓએ રોકડ વ્યવહારો, બિન હિસાબી વેચાણ, બિન હિસાબી સ્ટોક જેવી ગેરીતિઓ પકડી પાડી છે.
અમદાવાદમાં જે દરોડા પાડવામાં આવ્યા તે બાદ સમગ્ર રાજ્યમાં પાન મસાલા નો વેપાર કરતા વિક્રેતાઓમાં ફફડાટ જોવા મળે છે કારણ કે જીએસટી વિભાગ દ્વારા જે તરખાટ મચાવવામાં આવી રહ્યો છે તેનાથી ઘણાખરા અંશે જીએસટી ચોરીઓ નું કૌભાંડ સામે આવે છે. રાજશ્રી તમાકુ મા 3.39 કરોડની લાઇબિલિટી પણ પુરવાર થઈ ચૂકી છે ત્યારે હવે જોવાનું એ રહ્યું કે આવનારા દિવસોમાં આ પ્રકારનો વેપાર કરતાં અન્ય વિક્રેતાઓ ઉપર પણ જીએસટી વિભાગ ત્રાટકશે તેમાં કોઈ શંકાને સ્થાન નથી. હાલ મહત્વનું એ છે કે અત્યાર સુધી ઘણાખરા કિસ્સામાં જીએસટી ચોરી ચેક કરવામાં આવતી હોય તેના પર પડદો પાડી દેવામાં આવતો હતો પરંતુ હવે જે રીતે દરોડા પાડવામાં આવી રહ્યા છે તેનાથી એ વાત સ્પષ્ટ થઈ ચૂકી છે કે કોઈપણ વિક્રેતા અથવા તો વેપારી જીએસટી ચોરી કરશે તો તેને બક્ષવામાં નહીં આવે.
રાજશ્રી સાથેના કનેક્શનમાં રહેતા અન્ય વેપારીઓને ત્યાં પણ દરોડા પડી શકે છે તેવી હાલ ચર્ચાએ જોર પકડ્યું છે. આગામી દિવસોમાં અન્ય ક્ષેત્રના વેપારીઓ પર દરોડા પાડવામાં આવે તેવું સ્પષ્ટ ચિત્ર ઉભું થયું છે એટલું જ નહીં સ્ટેટ જીએસટી હોય કે પછી સેન્ટ્રલ જીએસટી આ તમામ દ્વારા હાલ યાદી તૈયાર કરવામાં આવી રહી છે.
