આંધ્રપ્રદેશ : બન્ની ઉત્સવમાં હિંસક અથડામણ
કુરનુલ, તા.13
આંધ્ર પ્રદેશના કુરનુલ જિલ્લામાં દશેરાના દિવસે પરંપરા મુજબ યોજાતા બન્ની ઉત્સવમાં ખેલૈયાઓ વચ્ચે હિંસક અથડામણો ફાટી નીકળતા 70 થી વધુ લોકો ઘાયલ થયા છે જેમાં બેની હાલત ગંભીર હોવાનું પોલીસ અધિકારીઓએ જણાવ્યું હતું.
દશેરાની ઉજવણીના ભાગરૂપે અહીં દર વર્ષે દેવરા ગટુ ગામમાં બંને ઉત્સવ યોજાય છે જેમાં પરંપરાગત રીતે લાકડીઓથી ગ્રામજનો એકબીજા પર પ્રહાર કરતાં હોય છે અને વચ્ચે એના ભાગમાં માલામાલેશ્વર સ્વામી ની મૂર્તિ રાખેલી હોય છે એ મૂર્તિઓ લેવા માટે બંને તરફથી ઘસારો થાય છે અને લાકડીઓથી એકબીજા ઉપર પ્રહારો કરવામાં આવે છે. પોલીસના સુરક્ષાના સખત બંદોબસ્ત અને કેટલાક નિયંત્રણો લાગુ કરવામાં આવ્યા છતાં મધરાતે આ ઉજવણી હિંસક બની ગઈ હતી અને લોકો તોફાને ચડ્યા હતા અને રીતસર અથડામણો શરૂ થઈ ગઈ હતી. આ વર્ષે ધમાલ થવાની પોલીસના આશંકા હોવાથી પહેલેથી જ મોટી સંખ્યામાં પોલીસ કાફલો ગોઠવવામાં આવ્યો હતો અને મોટી સંખ્યામાં ટોળા ભેગા થતા હોવાથી કોઈ ઘર્ષણ ન થાય તે માટે સાવચેતી રાખવામાં આવી હતી એમ છતાં પ્રતિકાત્મક લડાઈ અને મૂર્તિ કબ્જે કરવા માટેની પ્રતિક લડાઈ વાસ્તવિક રીતે અથડામણમા પરિણમી હતી અને સામસામે હિંસક અથડામણો શરૂ થઈ જતા 70 થી વધુ લોકો લોહી લુહાણ થઈ ગયા હતા. બીજા પામેલા મોટાભાગના લોકોને પાસેની હોસ્પિટલોમાં લઈ જવામાં આવ્યા હતા જ્યાં બે ની હાલત ગંભીર માનવામાં આવે છે. બન્ની ઉત્સવ સ્થાનિક લોકો માટે વાર્ષિક પરંપરા અને રિવાજો ને ભાગ છે પરંતુ હવે આ ઉત્સવમાં હિંસા વધી રહી હોવાથી પોલીસે અનેક નિયમો લાગુ કર્યા છે છતાં પણ આવી ઘટનાઓ બની રહી છે કેટલાક લોકો આ ઉત્સવને એમની સાંસ્કૃતિક પરંપરા માનીને તેનો બચાવ કરે છે તો કેટલાક વધુ કડક નિયંત્રણો મૂકવાની માગણી કરી રહ્યા છે.
