ભારતે યુએસ કમિશન ઓન ઇન્ટરનેશનલ ફ્રીડમના રિપોર્ટને નકારી કાઢી કહ્યું
લોકશાહી અને સહીષ્ણુતાના પ્રતિક ભારતનની છબી ખરડાવવાનો થઈ રહ્યો છે પ્રયાસ
નવીદિલ્હી, તા. 26
ભારતે લઘુમતીઓ સામે ભેદભાવ અંગેના યુએસ કમિશન ઓન ઇન્ટરનેશનલ રિલિજિયસ ફ્રીડમ (USCIRF)ના દાવાઓને સ્પષ્ટપણે નકારી કાઢ્યા છે અને સ્પષ્ટપણે કહ્યું છે કે અમેરિકન પેનલ USCIRFનો અહેવાલ લોકશાહી અને સહિષ્ણુતાના પ્રતીક તરીકે ભારતના દરજ્જાને ઓછો કરવાનો પ્રયાસ છે, જે ક્યારેય સફળ થશે નહીં. વિદેશ મંત્રાલયના પ્રવક્તા રણધીર જયસ્વાલે જણાવ્યું હતું કે નવીનતમ USCIRF રિપોર્ટ “પક્ષપાતી અને રાજકીય રીતે પ્રેરિત મૂલ્યાંકન” જારી કરવાની તેની ભૂતકાળની રીતને પુનરાવર્તિત કરે છે. વિદેશ મંત્રાલય (MEA) એ કડક શબ્દોમાં કહ્યું કે લોકશાહી અને સહિષ્ણુતાના પ્રતીક તરીકે ભારતના દરજ્જાને ઓછો કરવાના અમેરિકાના પ્રયાસો સફળ થશે નહીં. મંત્રાલયના પ્રવક્તાએ જણાવ્યું હતું કે, તેના અહેવાલની નોંધ લેવાને બદલે, USCIRF ને “ચિંતાનું સંગઠન” તરીકે નિયુક્ત કરવું જોઈએ કારણ કે તે સહિષ્ણુતા અને સુમેળને નબળી પાડી રહ્યું છે.
વિદેશ મંત્રાલયના નિવેદનમાં કહેવામાં આવ્યું છે કે, “USCIRF દ્વારા અલગ-અલગ ઘટનાઓને ખોટી રીતે રજૂ કરવાના અને ભારતના જીવંત બહુસાંસ્કૃતિક સમાજ પર શંકા વ્યક્ત કરવાના સતત પ્રયાસો ધાર્મિક સ્વતંત્રતા માટે વાસ્તવિક ચિંતાને બદલે ઇરાદાપૂર્વકના એજન્ડાને પ્રતિબિંબિત કરે છે. આવી સ્થિતિમાં, USCIRF ને યોગ્ય રીતે ચિંતાની સંસ્થા તરીકે નિયુક્ત કરવું જોઈએ.” તેના વાર્ષિક અહેવાલમાં, યુએસ પેનલે ભારતની વિદેશી ગુપ્તચર એજન્સી રિસર્ચ એન્ડ એનાલિસિસ વિંગ (RAW) પર અમેરિકામાં પ્રતિબંધ મૂકવાની માંગ કરી હતી અને કહ્યું હતું કે આ સંગઠન લઘુમતીઓ સાથે ભેદભાવ કરે છે અને તેમને હેરાન કરે છે. આ પેનલે એવો પણ આરોપ લગાવ્યો છે કે છઅઠ એ શીખ અલગતાવાદીઓની હત્યામાં ભૂમિકા ભજવી છે. રિપોર્ટમાં એવો પણ આરોપ મૂકવામાં આવ્યો છે કે 2024 માં ભારતમાં ધાર્મિક લઘુમતીઓ સામે હુમલા અને ભેદભાવમાં વધારો થયો છે.
રિપોર્ટ જાહેર થયા પછી, વિદેશ મંત્રાલયના પ્રવક્તા રણધીર જયસ્વાલે આ મામલે કહ્યું, અમે USCIRFનો તાજેતરમાં પ્રકાશિત 2025નો વાર્ષિક અહેવાલ જોયો છે, જેમાં તે ફરી એકવાર તેના અગાઉના અહેવાલોની જેમ પક્ષપાતી મૂલ્યાંકન જારી કરી રહ્યું છે. તેમણે કહ્યું કે કમિશન ભારતની ધાર્મિક વિવિધતા અને બહુલતાનું સચોટ પ્રતિનિધિત્વ કરી રહ્યું નથી અને તેના વારંવારના આરોપો ભારતમાં ધાર્મિક સ્વતંત્રતાની સ્થિતિને ખોટી રીતે રજૂ કરે છે. આ સાથે, જયસ્વાલે એમ પણ કહ્યું કે ભારતમાં 1.4 અબજ લોકો રહે છે, જે વિવિધ ધર્મોમાંથી આવે છે. ભારતીય સમાજ એ વાતનું ઉદાહરણ છે કે વિવિધ ધર્મોના લોકો શાંતિપૂર્ણ અને સુમેળભર્યા રીતે કેવી રીતે સાથે રહે છે. તેમણે એમ પણ કહ્યું કે અમને એવી કોઈ અપેક્ષા નથી કે USCIRF ભારતની બહુલવાદી વાસ્તવિકતાને સ્વીકારશે અથવા તેના વિવિધ સમુદાયોના શાંતિપૂર્ણ સહજીવનને સમજશે.
