વાંકાનેર-મોરબી વચ્ચે ડેમુ ટ્રેન ઉથલાવવા પ્રયાસ:તોફાની તત્વોએ ટ્રેક પર ઇંટોનો ઢગલો કર્યો
વાંકાનેર-મોરબી વચ્ચે રેલવે ટ્રેક પર ઇંટોના ટુકડાઓનો મોટો જથ્થો મૂકી અજાણ્યા શખ્સોએ ડેમુ ટ્રેનને ઉથલાવવાનો પ્રયાસ કરવનું જાણવા મળ્યું છે. મોરબી રહેતા અને રેલવે તંત્રમાં રેલપથ નિરીક્ષક તરીકે મોરબી ખાતે ફરજ બજાવતા સિનિયર સેક્શન એન્જિનિયર સુરેશકુમાર રામશબ્દ ગૌતમે અજાણ્યા શખ્સો સામે રાજકોટ રેલવે પોલીસમથકમાં ફરિયાદ નોંધાવી છે. બ્રોડગેજ લાઇનનું નિયંત્રણ અને નિરીક્ષણ કરવાનું કામ કરતા અધિકારી સુરેશકુમારની ફરિયાદ મુજબ, ગત રાતે દોઢ વાગ્યાના અરસામાં વાંકાનેર-મોરબી વચ્ચે દોડતી ડેમુ ટ્રેન સર્વિસ માટે મોરબી આવી બાદમાં રાત્રીના ત્રણ વાગ્યાના અરસામાં ડેમુ ટ્રેનની સર્વિસ થઇ જતા મુસાફર વગરની ખાલી ડેમુ ટ્રેનને વાંકાનેર રેલવે સ્ટેશન જવા માટે રવાના કરવામાં આવી હતી. દરમિયાન પોણા ચાર વાગ્યાના અરસામાં ડેમુ ટ્રેન મકનસર-વાંકાનેર સ્ટેશન વચ્ચે આવતા એસ-60 સિગ્નલ પાસેથી પસાર થઇ હતી. આ સમયે ડેમુ ટ્રેનના ચાલક સલીમભાઇ મન્સુરીને રેલવે ટ્રેક પર નડતરરૂપ વસ્તુઓ પડી હોવાનું જોવા મળ્યું હતું. જેથી ચાલક સલીમભાઇએ સતર્કતા દાખવી ડેમુ ટ્રેનની ઇમર્જન્સી બ્રેક મારી દીધી હતી. જેને કારણે બ્રોડગેજ લાઇનની ટ્રેક પર પડેલા જથ્થા સાથે ડેમુ ટ્રેનનું એન્જિન અથડાઇને ઊભું રહી ગયું હતું.