ભાવનગર મહાપાલિકા દ્વારા શહેરના જુદા જુદા વિસ્તારમાં દબાણ હટાવવાની કામગીરી કરવામાં આવી રહી છે પરંતુ મહાપાલિકાની માલિકીના જ કેટલાક પ્લોટમાં વર્ષોથી ગેરકાયદે દબાણ હોય છે છતા મનપા દ્વારા ઢીલીનીતિ રાખવામાં આવતી હોય છે. શહેરના સરદારનગર વિસ્તારમાં મહાપાલિકાની માલિકીના પ્લોટમાં વર્ષોથી દબાણ હતા તે હવે મનપાને હટાવવાનુ સુજ્યુ હતું.
શહેરના સરદારનગર વિસ્તારમાં દેવુમાંના મંદિર પાસે મહાપાલિકાની માલિકીના ૬ પ્લોટ આવેલા છે, જેમાં ર પ્લોટમાં બાજુમાં રહેતા લોકોએ ગેરકાયદે બાંધકામ કરી નાખ્યુ હતું. આ બાંધકામ વર્ષોથી હતુ પરંતુ મહાપાલિકા દ્વારા તપાસ કરવામાં આવતી ના હતી અથવા આંખ આડા કાન કરવામાં આવતા હશે. ગઈકાલે શુક્રવારે મનપાની ટીમ રાઉન્ડમાં હતી ત્યારે દબાણ દેખાયુ હતુ તેથી આજે શનિવારે સવારે મહાપાલિકાના એસ્ટેટ વિભાગની ટીમ સરદારનગર વિસ્તારમાં મનપાની માલિકીના ર પ્લોટમાં દબાણ હટાવવા ગઈ હતી. બાથરૂમ, દિવાલ સહિતના કેટલાક દબાણ હટાવ્યા હતા અને પ્લોટ ખુલ્લો કરવામાં આવ્યો હતો.
મહાપાલિકાની માલિકીના પ્લોટમાં પાક્કા બાંધકામ થઈ જાય છતા વર્ષો સુધી નિષ્ક્રીય તંત્ર દ્વારા પગલા લેવામાં આવતા નથી. હાલ મનપાના કમિશનરની સુચનાના પગલે મનપાનુ તંત્ર દોડતુ થયુ છે તેથી દબાણ તંત્રને દેખાય રહ્યા છે અને દબાણ હટાવવામાં આવી રહ્યા છે.