ભાવનગર : કુંભારવાડામાં બે શખ્સોએ આધેડ પર હુમલો કરતા પોલીસ ફરિયાદ

0
390

ભાવનગર શહેરના કુંભારવાડા વિસ્તારમાં રહેતા એક આધેડ તેના ઘરેથી રેશનશોપમા અનાજ લેવા જઈ રહ્યાં હતાં તે વેળાએ રસ્તામાં ગાળો બોલતાં શખ્સોને ટપારતા ઉશ્કેરાયેલા શખ્સોએ આધેડ પર પથ્થરો વડે હુમલો કરી ગંભીર ઈજા પહોંચાડી નાસી ગયા હતાં.

સમગ્ર બનાવ અંગે બોરતળાવ પોલીસ મથકેથી જાણવા મળતી વિગતો અનુસાર શહેરના કુંભારવાડા વિસ્તારમાં આવેલી બાનુબેનની વાડીમાં રહેતા ઠાકરશીભાઈ સવજીભાઈ રાઠોડ ઉ.વ.55 ગત રોજ તેના ઘરેથી ચાલીને આજ વિસ્તારમાં આવેલ બાથાભાઈના ચોક સ્થિત રેશનશોપમાં અનાજ લેવા જઈ રહ્યાં હતાં તે વેળાએ રસ્તામાં આજ વિસ્તારમાં રહેતા રાહુલ ઉર્ફે ઢેલ મુકેશ ચૌહાણ અને મેહુલ ઉર્ફે કડી નટુ મકવાણાએ આધેડ ઠાકરશીભાઈને બિભત્સ ગાળો દેતાં ફરિયાદીએ ગાળો દેવાનીના પાડતાં ઉશ્કેરાયેલા બંને શખ્સોએ આધેડ પર પથ્થરો વડે હુમલો કરી ફરીને આંખ તથા માથામાં ગંભીર ઈજા પહોંચાડી ફરાર થઈ ગયા હતા.

આ બનાવમાં ઈજાગ્રસ્ત આધેડને સારવાર અર્થે સર ટી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે. આ અંગે આધેડે ડી-ડીવીઝન પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવતાં પોલીસે ગુનો નોંધી તપાસ હાથ ધરી છે.