બેટ દ્વારકામાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલનું નિવેદન : કહ્યું- ‘દરિયાઈ પટ્ટી પર કોઈ પણ ગેરકાયદેસર પ્રવૃત્તિ ચલાવી લેવાશે નહીં’

0
359

સૌરાષ્ટ ગુજરાતના ૧૬૦૦ કિમીના દરિયાઈ કાઠાની સુરક્ષા માટે અને ડ્રગ્સની તસ્કરી અટકાવવા માટે ગઈકાલે મુખ્યમંત્રી અધ્યક્ષ સ્થાને ગાંધીનગર ખાતે સુરક્ષા એજન્સીઓની બેઠક મળી હતી. જેમાં ડ્રગની તસ્કરી અટકાવવા માટે ત્રિ-સ્તરીય દરિયાઈ પેટ્રોલિંગ સઘન બનવવા ખાસ સુચના આપવામાં આવી હતી.

આ ઉપરાંત  દેવભૂમિ દ્વારકા ખાતે તાજેતરમાં જ મેગા ડિમોલિશન હાથ ધરવામાં આવ્યું હતું. જેમાં આજે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ તથા ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીએ દ્વારકામાં દબાણો હટાવાયા હતા તે નાવદ્રા, હર્ષદ ગાંધવી અને ભોગાત નામના સ્થળની મુલાકાત લીધી હતી. આ મુલાકાત અને નિરિક્ષણ બાદ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે જણાવ્યું હતું કે અહીં ગેરકાયદે પ્રવૃતિ કોઈ હિસાબે ચલાવી લેવામાં આવશે નહીં અને 1600 કિલમીટરના દરિયાકાંઠે જ્યાં પણ ગેરકાયદે દબાણ જોવા મળશે તેને દૂર કરવામાં આવશે. મુખ્યમંત્રીએ ઓખાથી બેટ દ્વારકા સુધીની દરિયાઈ સફર દરમિયાન નિર્માણાધીન સિગ્નેચર બ્રિજના કામનું પણ નિરીક્ષણ કર્યું હતું.

મુખ્યમંત્રીએ કહ્યું હતું કે, વિકાસ કામોને આડે આવતી ગેરકાયદે દબાણ સહિતની ગેરકાયદે પ્રવૃતિઓ આગળ વધતી અટકાવાશે અને કાયદાકીય રીતે સખ્તાઈથી દૂર કરવામાં આવશે. લોકોની સલામતી અને સુરક્ષા માટે સરકાર કટિબદ્ધ છે અને આવી ગેરકાયદેસર પ્રવૃત્તિઓને ડામવા ઝુંબેશ ચાલુ જ રહેશે. સરકારી યોજનાઓના લાભ વિના અવરોધે છે વાડાના માનવી સુધી સરળતાથી પહોંચે તે હેતુથી સરકાર દ્વારા આ પ્રકારની કામગીરી હાથ ધરાઈ રહી છે. ગુજરાતના દરિયાઇ પટ્ટા પર કોઈપણ પ્રકારની ગેરકાયદે પ્રવૃત્તિ ચલાવી લેવાશે નહીં. આ તમામ દરિયા કિનારાને સજ્જડ સુરક્ષિત કરવાનો નિર્ધાર છે.

ગૃહરાજ્યમંત્રી હર્ષ સંઘવીએ જણાવ્યું હતું કે, મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલના નેતૃત્વમાં સમુદ્ર તટીય વિસ્તારોની આંતરિક અને બાહ્ય સલામતી અને સુરક્ષા માટે આ કડક પગલાં લેવાઈ રહ્યા છે. ગેરકાયદેસર દબાણો પર લોકહિતમાં કાર્યવાહી કરવામાં આવી છે અને કડક પગલાં લેવામાં આવ્યા છે. દરિયાઈ પટ્ટી પર કોઈપણ પ્રકારની ગેરકાયદેસર પ્રવૃત્તિ ચલાવી લેવાશે નહીં.