મોરબી જિલ્લાનું સરકારી શિક્ષણ જગત સતત બદનામ:ડીડીઓ, પ્રમુખ અને કલેક્ટર પાસે ન્યાયી તપાસની અપેક્ષા

0
184

મોરબી જિલ્લામાં આવેલ સરકારી શાળાઓમાં ભરતી કરવામાં આવતા પ્રવાસી શિક્ષકોની નિમણૂક વગર કેટલીક જગ્યાએ પ્રવાસી શિક્ષકોના પગાર થયા હોવાની ચોંકાવનારી માહિતીઓ સામે આવી રહી છે ત્યારે શિક્ષણ વિભાગના જવાબદાર અધિકારીઓ અને પદઅધિકારીઓ તેમજ મોરબી જિલ્લાના ડીડીઓ સહિતના અધિકારીઓ દ્વારા આ બાબતે જો તપાસ કરવામાં આવે તો મોરબી જિલ્લામાં ઘણી જગ્યાએ પ્રવાસી શિક્ષકોની નિમણૂક કર્યા વગર જ પગારની ચુકવણી કરવામાં આવી હોય તેવું સામે આવે તેમ છે.
જો કે, હજુ વાંકાનેર તાલુકામાં થયેલા નાણાકીય ઉચાપતના કૌભાંડની કોઈ નક્કર કાર્યવાહી કરવામાં આવી નથી ત્યાં વધુ એક ચોંકાવનારી માહિતી સામે આવી રહી છે ત્યારે મોરબીમાં ચાલતા બેફામ ભ્રષ્ટાચારને રોકવા માટે અધિકારીઓ દ્વારા કોઈ કાર્યવાહી કરવામાં આવશે કે કેમ તે સૌથી મોટો સવાલ છે વાંકાનેરમાં શિક્ષકોના પગારમાં મોટા પ્રમાણમાં નાણાકીય ઉચાપત થઈ હોવા અંગેની માહિતીઓ ઓડિટ દરમિયાન સામે આવી હતી જેની તત્કાલીન ડીડીઓ દ્વારા રાજ્યના પ્રાથમિક શિક્ષણ નિયામકને લેખિતમાં જાણ કરીને ફોજદારી ફરિયાદ કરવા માટે અધિકૃત વ્યક્તિ નિમવા માટે કહ્યું હતું જો કે, હજુ સુધી તે બાબતે કોઈ નક્કર કાર્યવાહી કરવામાં આવી નથી અને આ નાણાકીય ઉચાપત કાંડ સામે આવ્યા
પછી તાત્કાલિક તત્કાલીન ડીડીઓ દ્વારા મોરબી જિલ્લાની પાંચેય તાલુકા પંચાયતોમાં શિક્ષણ વિભાગની અંદર કામ કરતા શિક્ષકોને ત્યાંથી હટાવીને તે જગ્યા ઉપર સિનિયર ક્લાર્ક અથવા જુનિયર ક્લાર્કને મુકવા માટે આદેશ કરવામાં આવ્યો હતો. જો કે તેની પણ અમલવારી મોરબી જિલ્લામાં કરવામાં આવી નથી અને આજની તારીખે પણ શિક્ષણ વિભાગમાં શિક્ષકો પાસેથી જ રૂટિન કામગીરી કરવામાં આવી રહી છે તે હકીકત છે ત્યારે મોરબી જિલ્લાના શિક્ષણ વિભાગમાં ક્યાંકને ક્યાંક ચાલતા ભ્રષ્ટાચારને રોકવા માટે અહીંના અધિકારીઓને જ રસ નથી કે શું તે સવાલ ઉભો થઈ રહ્યો છે હાલમાં મોરબી જિલ્લાની સરકારી શાળાઓમાં શિક્ષક તરીકે ફરજ બજાવતા સૂત્રો પાસેથી જાણવા મળતી
વખતે પ્રમાણે વાંકાનેર તાલુકામાં જે રીતે પગારના ચુકવણામાં નાણાકીય ઉચાપત કરવામાં આવી છે તેવી જ રીતે સરકાર દ્વારા સરકારી શાળામાં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓને સારી શિક્ષણ વ્યવસ્થા મળે અને કોઈ વિદ્યાર્થી શિક્ષણથી વંચિત ન રહે તે માટે કોઈ પણ જગ્યાએ શિક્ષકોની ઘટ હોય તો તે પૂરી કરવા માટે થઈને પ્રવાસી શિક્ષકોની નિમણૂક કરવા માટેની યોજના અમલમાં મૂકવામાં આવી છે જોકે તેમાં પણ મોટા પ્રમાણે ગોલમાલ કરવામાં આવતી હોવાનું ચર્ચા રહ્યું છે. વર્તુળો પાસેથી જાણવા મળતી પ્રમાણે વાંકાનેર તાલુકામાં ઘણી જગ્યાએ પ્રવાસી શિક્ષકોની નિમણૂક કર્યા વગર જ સીધા તે લોકોને પગાર બિલની ચુકવણી કરવામાં આવતી હોય તેવું સામે આવી રહ્યું છે
જો આ દિશામાં મોરબી જિલ્લાના ડીડીઓ, મોરબી જિલ્લા પંચાયતના પ્રમુખ કે કલેકટર દ્વારા નક્કર તપાસ કરવામાં આવે તો ઘણી શાળાઓમાં પ્રવાસી શિક્ષકોની નિમણૂક વગર જ યેનકેન પ્રકારે તેના પગાર ચૂકવતા હોય તેવી માહિતી સામે આવે તો નવાઈ નથી આમ મોરબી જિલ્લામાં શિક્ષણ વિભાગ ભ્રષ્ટાચારથી ખદબદી રહ્યો છે ત્યારે ભ્રષ્ટાચારને રોકવા માટે થઈને કયા અધિકારી કે પદાધિકારી આગળ આવે છે તે તો આગામી સમય જ બતાવશે અત્રે ઉલ્લેખનીય છે કે શાળાના શિક્ષકોએ નીતિમત્તા, પ્રમાણિકતા અને નિષ્ઠાના પાઠ વિદ્યાર્થીઓને સારા સમાજની રચના થાય તે માટે ભણાવવાના હોય છે પરંતુ મોરબી જિલ્લામાં રાજકીય આશીર્વાદ કે પછી અન્ય કોઈ કારણોસર શિક્ષણ શાખામાં ફરજ બજાવતા
અધિકારી, કર્મચારી અને શિક્ષકો દ્વારા સાથે મળીને લાખો રૂપિયાનું કૌભાંડ આચરવામાં આવ્યું છે ત્યારે જો શિક્ષકોમાં જ નીતિમત્તા, પ્રમાણિકતા અને નિષ્ઠા ન હોય તો તે લોકો વિદ્યાર્થીઓને શાળામાં કેવું શિક્ષણ આપતા હશે તે પણ સવાલ ઉભો થઈ રહ્યો છે. હાલમાં સરકાર દ્વારા સરકારી શાળામાં અભ્યાસ કરાવતા શિક્ષકોને તોતિંગ પગાર આપવામાં આવે છે તેમ છતાં પણ યેનકેન પ્રકારે નાણાકીય કૌભાંડો કરવામાં આવતા હોય છે ત્યારે જવાબદાર અધિકારી અને પદાધિકારી દ્વારા કૌભાંડીયોની સામે નક્કર પગલા લેવામાં આવે તો જ આ ભ્રષ્ટાચારને ડામી શકાય તેમ છે નહીં તો ભ્રષ્ટાચારને અધિકારીઓ અને પદાધિકારીઓ જ પ્રોત્સાહન આપી રહ્યા છે તેઓ ઘાટ મોરબી જિલ્લામાં દેખાઈ રહ્યો છે.