વિપક્ષી દળો સાથે મળીને આ પ્રસ્તાવમાં કેટલાક સુધારા લાવવા પર થઈ શકે છે વિચાર : મહેબૂબા મુફતી
નવીદિલ્હી, તા. 6
જમ્મુ અને કાશ્મીર વિધાનસભાએ કલમ 370ની પુન:સ્થાપના પર ઠરાવ પસાર કર્યા બાદ પીડીપીના વડા મહેબૂબા મુફ્તીએ પ્રતિક્રિયા આપી છે. મહેબૂબાએ કહ્યું કે આંકડોથી કોઈ ફરક પડતો નથી, પરંતુ જો વિપક્ષના ઈરાદા અને એજન્ડા સ્પષ્ટ હોય તો તેઓ બહુમતી સરકારને પણ જમ્મુ-કાશ્મીરના લોકોની ઈચ્છાઓ પૂરી કરવા દબાણ કરી શકે છે.
મહેબૂબા મુફ્તીએ વધુમાં કહ્યું કે આજે પીડીપીએ સાબિત કરી દીધું છે કે ઈરાદા અને ઉદ્દેશ્ય મહત્ત્વના છે, સંખ્યા નહીં. જો વિપક્ષ પાસે એક-બે લોકો પણ હોય અને તેમનો ઈરાદો અને એજન્ડા સ્પષ્ટ હોય તો તેઓ સરકારને દબાણ કરી શકે છે. જમ્મુ-કાશ્મીર એસેમ્બલી દ્વારા પસાર કરાયેલા ઠરાવ પર મહેબૂબા મુફ્તીએ કહ્યું કે આ ઠરાવમાં ક્યાંય પણ એવું નથી કહેવામાં આવ્યું કે 2019માં લેવાયેલ કેન્દ્ર સરકારનો નિર્ણય ખોટો હતો અથવા તો કલમ 370 પુન:સ્થાપિત કરવામાં આવે. તેના બદલે, તેમણે કહ્યું કે અમે આ અંગે ચિંતિત છીએ અને તેના પર ચર્ચા કરવાની જરૂર છે.
પીડીપીનો પ્રસ્તાવ વધુ સ્પષ્ટ અને સારો હતો. તેમણે સરકારના પ્રસ્તાવની ભાષા પર પણ ટિપ્પણી કરી અને કહ્યું કે તે વધુ સારું થઈ શક્યું હોત. આ સાથે મહેબૂબાએ સંકેત આપ્યો કે તેઓ અન્ય વિપક્ષી દળો સાથે મળીને આ પ્રસ્તાવમાં કેટલાક સુધારા લાવવા પર વિચાર કરી શકે છે. મહેબૂબાના આ નિવેદનથી સ્પષ્ટ થયું છે કે પીડીપી કલમ 370ની પુન:સ્થાપના મુદ્દે મજબૂત વલણ અપનાવી રહી છે અને આ અંગે આગળની રણનીતિ તૈયાર કરી શકે છે.ભાજપના ધારાસભ્યોએ ઠરાવની નકલો ફાડી નાખી હતી. અને ધારાસભ્યોએ જમ્મુ-કાશ્મીરની નેશનલ કોન્ફરન્સની આગેવાની હેઠળની ઓમર અબ્દુલ્લા સરકાર વિરુદ્ધ જોરથી સૂત્રોચ્ચાર કર્યા હતા.
ભાજપના ધારાસભ્યોએ ‘5 ઓગસ્ટ ઝિંદાબાદ’, ’વંદે માતરમ’, ‘જય શ્રી રામ’, ‘પાકિસ્તાની એજન્ડા નહીં ચાલે’, ‘જમ્મુ-કાશ્મીર વિરોધી એજન્ડા નહીં ચાલે’, ‘રાષ્ટ્રવિરોધી એજન્ડા નહીં ચાલે’ , ‘સ્પીકર હાય-હાય’ના નારા લગાવ્યા હતા. જેના કારણે ગૃહની કાર્યવાહીમાં વાંરવાર અડચણ ઊભી થઇ રહી હતી. અંતે ગૃહની કાર્યવાહી સ્થગિત કરી દેવામાં આવી હતી. આ દરમિયાન નેશનલ કોન્ફરન્સ અને ભાજપના ધારાસભ્યો પણ સામસામે આવી ગયા હતા. તેઓએ એકબીજા પર ખૂબ કટાક્ષ કર્યા હતા.
નેશનલ કોન્ફરન્સને 90 સભ્યોના ગૃહમાં 55 ધારાસભ્યોનું સમર્થન છે. ગઠબંધન સિવાયના ધારાસભ્યોના સમર્થનથી પ્રસ્તાવ પર સમર્થકોની સંખ્યા વધીને 60 થઈ ગઈ છે. નાયબ મુખ્યમંત્રી ચૌધરીએ જમ્મુ અને કાશ્મીર વિધાનસભાના ત્રીજા દિવસે સંબોધિત કરતી વખતે એક ઠરાવ રજૂ કર્યો હતો જેમાં ભારપૂર્વક જણાવાયું હતું કે આ વિધાનસભા વિશેષ અને બંધારણીય ગેરંટીના મહત્વને પુન:પુષ્ટ કરે છે જેણે જમ્મુ અને કાશ્મીરના લોકોની ઓળખ, સંસ્કૃતિ અને અધિકારોનું રક્ષણ કર્યું છે. અને એકપક્ષીય દૂર કરવા અંગે ચિંતા વ્યક્ત કરી. આ એસેમ્બલી ભારત સરકારને વિશેષ દરજ્જો, બંધારણીય ગેરંટીની પુન:સ્થાપના માટે જમ્મુ અને કાશ્મીરના લોકોના ચૂંટાયેલા પ્રતિનિધિઓ સાથે વાતચીત શરૂ કરવા અને આ જોગવાઈઓને પુન:સ્થાપિત કરવા માટે બંધારણીય મિકેનિઝમ પર કામ કરવા માટે આહ્વાન કરે છે.