રાજકોટમાં મુખ્યમંત્રીની ઉપસ્થિતિમાં 12 ઓગષ્ટના રોજ વિશાળ તિરંગાયાત્રા:એક લાખથી વધુ લોકો જોડાશે: જિલ્લા વહીવટી તંત્ર દ્વારા તડામાર તૈયારી

0
339

રાજકોટમાં મુખ્યમંત્રીની ઉપસ્થિતિમાં 12 ઓગષ્ટના રોજ વિશાળ તિરંગાયાત્રા:એક લાખથી વધુ લોકો જોડાશે: જિલ્લા વહીવટી તંત્ર દ્વારા તડામાર તૈયારી

આઝાદી કા અમૃત મહોત્સવ અંતર્ગત ‘હર ઘર તિરંગા’ અભિયાન અંતર્ગત રાજકોટ શહેરમાં ૧૨મી ઓગસ્ટે મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલની ઉપસ્થિતિમાં વિશાળ તિરંગા યાત્રા યોજાશે. આશરે બે કિલોમીટર લાંબી આ યાત્રામાં એક લાખથી વધુ લોકો જોડાશે તેવો અંદાજ જિલ્લા વહીવટી તંત્રે વ્યક્ત કર્યો છે. આ યાત્રા માટે જિલ્લા કલેકટરશ્રી અરુણ મહેશ બાબુના નેતૃત્વમાં વહીવટી દ્વારા તડામાર તૈયારીઓ ચાલી રહી છે.
રાજકોટ શહેરમાં હર ઘર તિરંગા અભિયાન અંતર્ગત વિશાળ તિરંગા યાત્રાના આયોજન માટે આજે જિલ્લા કલેકટર અરુણ મહેશ બાબુના અધ્યક્ષ સ્થાને એક મિટિંગનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં જિલ્લા વહીવટી તંત્રના તમામ વિભાગો, રાજકોટ મ્યુનિસિપલ કોર્પોરેશનના હોદ્દેદારો તથા અધિકારીઓ, ચેમ્બર ઓફ કોમર્સના હોદ્દેદારો, વિવિધ જીઆઈડીસીના એસોશિએશન્સ, સામાજિક, સેવાકીય અને ધાર્મિક સંગઠનો, વિવિધ યુનિવર્સિટી, શાળાઓ તેમજ કોલેજના પ્રતિનિધિઓ, કેન્દ્ર તેમજ રાજ્ય સરકારની વિવિધ કચેરીઓમાં પ્રતિનિધિ જોડાયા હતા.
આ મિટિંગમાં જિલ્લા કલેકટર અરુણ મહેશ બાબુએ જણાવ્યું હતું કે, હર ઘર તિરંગા અભિયાન અંતર્ગત સમગ્ર રાજ્યમાં ચાર મોટા શહેરોમાં વિશાળ તિરંગા યાત્રાનું આયોજન છે. જે પ્રમાણે, રાજકોટએ સૌરાષ્ટ્રનું પાટનગર હોવાથી ૧૨મી ઓગસ્ટે વિશાળ તિરંગા યાત્રા યોજાશે. જેમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ ઉપસ્થિત રહેશે. તેમની સાથે ગૃહરાજ્યમંત્રી હર્ષભાઈ સંઘવી પણ જોડાશે. સવારે ૯ કલાકે બહુમાળી ભવન પાસે સરદાર વલ્લભભાઈ પટેલની પ્રતિમાને પુષ્પાંજલિ અર્પણ કરીને આ યાત્રાની શરૂઆત થશે. જે રાષ્ટ્રીય શાળાએ વિરામ પામશે. આ યાત્રામાં જોડાનાર તમામ લોકો જમણા હાથમાં તિરંગો લઈને ચાલશે.
કલેકટરે કહ્યું કે, યાત્રા શરૂ થતાં પૂર્વે સવારે ૮થી ૯ દરમિયાન એક કલાક સાંસ્કૃતિક કાર્યક્રમો થશે. આ યાત્રામાં ચારથી પાંચ મ્યુઝીક બેન્ડ પણ જોડવાનું આયોજન છે. યાત્રામાં રાજકોટના સ્વાતંત્ર્ય સેનાનીઓના પરિવારજનો પણ જોડાશે.

કલેકટરે કહ્યું કે, તિરંગાની વ્યવસ્થા વહીવટી તંત્ર, રાજકોટ મ્યુનિસિપલ કોર્પોરેશન તેમજ સરકારી તંત્ર દ્વારા કરવામાં આવનાર છે. નાગરિકો ફ્લેગ કોડ મુજબનો તિરંગો જાતે પણ લાવીને ઉત્સાહ પૂર્ણ જોડાઈ શકે છે.
કલેકટરે કહ્યું કે, આ કાર્યક્રમ આપણા સૌનો છે. આપણે બધાએ તેમાં જોડાવું જોઈએ અને એક કલાક દેશ માટે ફાળવવી જોઈએ. કલેકટરે આ કાર્યક્રમમાં સૌને ખાસ જોડાવા અપીલ પણ કરી છે.
કલેકટરએ કહ્યું હતું કે, માત્ર રાજકોટ જ નહિ, સમગ્ર સૌરાષ્ટ્રમાંથી તેમાં લોકો જોડાશે અને આ યાત્રા એક ઐતિહાસિક સંભારણું બની રહેશે.
આ મિટિંગમાં ઉપસ્થિત રાજકોટના મેયર પ્રદીપભાઈ ડવએ જણાવ્યું હતું કે, તિરંગા યાત્રા અંતર્ગત રાજકોટ શહેરમાં એક લાખથી વધુ તિરંગાનું વિતરણ કરવામાં આવ્યું છે અને હજુ પણ લોકોમાં માગ છે. તેમણે કહ્યું કે, આ કોઈ સામાન્ય યાત્રા નથી, પણ સમગ્ર વિશ્વને તિરંગાની તાકાત બતાવવાનો અવસર છે.