આવતીકાલે અમદાવાદમાં ભગવાન જગન્નાથની જળયાત્રા,વિધિમાં ગૃહરાજ્યમંત્રી હર્ષ સંઘવી ઉપસ્થિત રહેશે

0
333

અમદાવાદમાં ભગવાન જગન્નાથની ૧૪૬મી રથયાત્રાને લઈ પુરજોશમાં તૈયારીઓ ચાલી રહી છે. આવતીકાલે એટલે કે ૪ જૂનના રોજ જળયાત્રા યોજાવાની છે. જળયાત્રાને લઈને જગન્નાથ મંદિર અને સરસપુર મંદિરમાં તૈયારીઓ પૂર્ણ કરી દેવામાં આવી છે. આવતીકાલે સવારે ૮ થી ૧૦ વાગ્યા સુધી સાબરમતી નદીના કિનારે પૂજા કરવામાં આવશે.
૧૦૮ કળશમાં જળ ભરીને લાવવામાં આવશે. જેનાથી ભગવાનનો જળાભિષેક કરવામાં આવશે અને ષોડશોપચાર પૂજા વિધી કરવામાં આવશે. આરતી બાદ ભગવાન જગન્નાથને મોસાળ મોકલવામાં આવ્યા હતા. જળયાત્રામાં રાજ્યના ગૃહમંત્રી હર્ષ સંઘવી, શિવાનંદ આશ્રમના સ્વામી પરમાત્માનંદ સરસ્વતી મહારાજ, અમદાવાદના મેયર કિરીટ પરમાર, સહિત શહેરના ધારાસભ્યો, કોર્પોરેટર અને ભાજપ સંગઠનના નેતાઓ હાજર રહેશે.
રથયાત્રાને લઈને મોસાળવાસીઓ પણ હવે ભાવવિભોર બનીને ભગવાનના મોસાળ પધારવાની રાહ જોઈ રહ્યા છે. આ વર્ષે ૧૪૬મી રથયાત્રાના યજમાન ઘનશ્યામ પટેલ બન્યા છે. છેલ્લાં ૧૦ વર્ષથી તેઓ યજમાન બનવાની રાહ જોતા હતા. આ વર્ષે શાયોના ગ્રુપના ઘનશ્યામ પટેલનું ડ્રોમાં નામ ખૂલતાં પરિવારમાં આનંદનો માહોલ છે.
ભગવાનના વાઘા દર વર્ષે અલગ અલગ થીમ પર તૈયાર થાય છે. આ વર્ષે મરુન, પીળા રંગમાં હેન્ડવર્કથી વાઘામાં મોરની ડિઝાઇન તૈયાર કરવામાં આવી છે. મામેરા દરમિયાન ભવ્ય શોભાયાત્રા નીકળશે. જેમાં ૧૫ હાથી આગળ રહેશે અને હેલિકોપ્ટર દ્વારા ફૂલ વર્ષા કરાશે. કનૈયા જશોદાની થીમ પર મામેરું તૈયાર કરાયું છે. શોભાયાત્રા માટે આ થીમ પર ડ્રેસકોડ રહેશે. જેના માટે ૪,૦૦૦ સાડી અને ૨,૦૦૦ ડ્રેસ તૈયાર કરાયા છે. ૭૦૦ ઝભ્ભા અને ૭૦૦ સાડી સાથે કનૈયા અને જશોદા તૈયાર થશે.
આ વખતે ભગવાનના નવા રથો બનાવવામાં આવ્યા છે. ૭૨ વર્ષ બાદ નવા રથમાં બેસીને ભગવાન જગન્નાથ નગરચર્યાએ નીકળવાના છેઆ વખતે ભગવાન નવા રથમાં બિરાજમાન થઈને નગરજનોને દર્શન આપશે. નગરજનો પણ નવા રથમાં નાથને જોવા માટે આતુર છે.