બોલિવુડના જાણીતા એક્ટર અને ગાયકનું રહસ્યમય મોત : 11મા માળના બાથરુમમાંથી મળી લાશ

0
1605

જાણીતા અભિનેતા, મોડેલ અને કાસ્ટિંગ ડિરેક્ટર આદિત્ય સિંહ રાજપૂતનું મોત નીપજ્યું છે, ઉલ્લેખનીય છે કે 11મા માળે બાથરુમમાંથી આદિત્ય સિંહ રાજપૂતની ડેડબોડી મળી આવી છે. ડ્રગ્સના ઓવરડોઝને કારણે મોત થયું હોવાની આશંકા હાલ સેવાય રહી છે.

આજે બપોરે તે તેના અંધેરીના ઘરના બાથરૂમમાં મૃત હાલતમાં મળી આવ્યો હતો. આદિત્યના મિત્રે તેને બિલ્ડિંગના 11મા માળે સ્થિત મકાનમાં મૃત હાલતમાં જોયો હતો. આ પછી, મિત્રો અને બિલ્ડિંગના ચોકીદાર તેને હોસ્પિટલમાં લઈ ગયા, જ્યાં અભિનેતાને મૃત જાહેર કરાયો. સૂત્રોએ જણાવ્યું કે અભિનેતાના મૃત્યુ પાછળ ડ્રગ્સનો ઓવરડોઝ પણ હોઈ શકે છે. આ મામલે હાલ પોલીસ તપાસ કરી રહી છે.

આદિત્ય સિંહ રાજપૂત દિલ્હીનો હતો. તેણે ‘મૈંને ગાંધી કો નહીં મારા’ અને ‘ક્રાંતિવીર’ જેવી ફિલ્મમાં કામ કર્યું હતું. તેણે પોતાના કરિયરની શરૂઆત મોડલિંગથી કરી હતી. આદિત્ય 300થી વધુ જાહેરાતોમાં જોવા મળ્યો હતો. તે રિયાલિટી શો ‘સ્પ્લિટ્સવિલા’માં પણ જોવા મળ્યો હતો. તેણે ગઈકાલે એટલે કે 21 મેની રાત્રે જ ઈન્સ્ટાગ્રામ પર એક સ્ટોરી પોસ્ટ કરી હતી, આ તસવીરો દર્શાવે છે કે તે મૃત્યુના થોડા કલાકો પહેલાં પાર્ટી કરી રહ્યો હતો.

​​​​​​​આદિત્યએ 17 વર્ષની નાની ઉંમરથી જ કામ કરવાની શરૂઆત કરી હતી. તેના દાદા મૂળે ઉત્તરાખંડના રહેવાસી હતા. ત્યાર બાદ તેનો પરિવાર દિલ્હી શિફ્ટ થયો હતો. આદિત્યને એક મોટી બહેન છે. શરૂઆતમાં તેણે રેમ્પ વૉક કર્યું અને પછી એડ ફિલ્મો મળવા લાગી. એક દિવસ તેણે ‘હીરો’ કંપનીની એડ માટે સ્ક્રીન ટેસ્ટ આપ્યો અને સૌરવ ગાંગુલી તથા હૃતિક રોશન સાથેની ‘હીરો હોન્ડા’ની એડમાં કામ કરવા મળ્યું હતું. તેના ઑડિશન માટે જ તે મુંબઇ આવેલો અને પછી ત્યાં જ સ્થાયી થવાનો નિર્ણય કરેલો.