પોલીસમાંથી છુટકારો થતા પરિવારજનોએ કર્યું ફૂલહારથી સ્વાગત
રાજકોટ મિરર, તા.2
શહેરના બહુ ચર્ચિત જયંતી સરધારા – પીઆઈ સંજય પાદરીયા માથાકૂટના બનાવમાં આજે પીઆઈ સંજય પાદરીયાનો જામીન પર છુટકારો થતા પરિવારજનોએ તેઓનું ફૂલહારથી સ્વાગત કર્યાના વિડીયો સોશિયલ મીડિયામાં વાયરલ થયા હતા. હવે પોલીસ કલમ 307માં સમરી ભરે તેવું મનાય છે.
શહેરના મવડી કણકોટ રોડ ઉપર આવેલ શ્યામ વાડીમાં શહેરના ભૂતપૂર્વ કોર્પોરેટર જયંતિ સરધારા અને પી.આઈ સંજય પાદરીયા વચ્ચે થયેલી બબાલ બાદ આ બનાવમાં જયંતિ સરધારાએ પોતાના પર હુમલો કર્યાની પોલીસમાં ફરિયાદ નોંધાવતા પોલીસે ઉતાવળમાં પીઆઇ સંજય પાદરીયા વિરુદ્ધ 307ની ગંભીર કલમનો ગુન્હો નોંધ્યો હતો.
બીજી બાજુ આ બનાવમાં કંઈક કાચું કપાયું હોવાની વાતો વહેતી થઈ હતી. સમગ્ર ઘટનાના સીસી કેમેરાના ફૂટેજ પોલીસ અને પ્રજા પાસે આવી જતા વાસ્તવિકતા બહાર આવી હતી. સીસી કેમેરાના ફૂટેજમાં જયંતિ સરધારાએ જ સૌ પ્રથમ પીઆઈ સંજય પાદરીયાનો કાઠલો પકડીને પાટુ માર્યું હોવાના વિડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થતા પોલીસમાં ફરિયાદ કરનાર જયંતિ સરધારાનો નકાબ ચીરાયો હતો.
દરમિયાન પીઆઇ સંજય પાદરીયાના સમર્થકો દ્વારા ઠેર ઠેરથી બુલંદ માંગ ઉઠી હતી કે બનાવની વાસ્તવિકતા જાણ્યા વગર પોલીસે ગંભીર ગુનાની કલમ 307 લગાડી હોય તે ગેર વ્યાજબી છે અને આ કલમ દૂર કરવી જોઈએ. આ બાબતે પોલીસે પણ બનાવની વાસ્તવિકતા સ્વીકારીને કોર્ટમાં રિપોર્ટ કરી કલમ 307ને દૂર કરવા માગણી કરી હતી.
બીજી આજે પી.આઈ સંજય પાદરીયાનો જામીન પર છુટકારો થયાના વિડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થયા હતા.
દરમિયાન સંજય પાદરીયા પોતાના ઘરે પહોંચ્યા ત્યારે બહોળી સંખ્યામાં સમર્થકોએ તેમનો અદકેરુ સ્વાગત કરી કુમકુમ તિલક કરીને તેઓને ઘર વાપસીને વધાવવામાં આવી હતી.
આધારકાર્ડ વર્તુળોએ એવું પણ કહ્યું કે જયંતિ સરધારાએ પોલીસમાં ફરિયાદ નોંધાવ્યા પછી બરાબર સાતમા દિવસે પી.આઈ સંજય પાદરીયા આજે પોલીસ સમક્ષ હાજર થયા હતા અને ત્યારબાદ તેમનો નોટીસ આપી જામીન પર છુટકારો થયો હતો. દરમિયાન પોલીસે કલમ 307 દુર કરવા કોર્ટમાં રીપોર્ટ કર્યો હોય, બાકીની કલમમાં સજાની જોગવાઈ 7 વરસથી ઓછી હોવાથી પોલીસ આ ગુન્હામાં સમરી ભરે તેવું મનાય છે.
અત્રે એ પણ નોંધનીય છે કે, રાજકોટ બાર એસોશિયેશન દ્વારા પણ પીઆઈ પાદરીયા સામેનો કેસ નહિ લડવા થયેલો ઉતાવળિયો ઠરાવ પણ બાર એસોસિયેશન દ્વારા પરત ખેંચાયો હોવાનું જાણવા મળ્યું છે.
