દેશના નવા મુખ્ય ચૂંટણી કમિશનર રાજીવ કુમાર, 15 મેના રોજ ચાર્જ સંભાળશે

0
371

દેશના નવા મુખ્ય ચૂંટણી કમિશનર રાજીવ કુમાર હશે. તેઓ 15 મેના રોજ ચાર્જ સંભાળશે. આ અંગે જાહેરનામું બહાર પાડવામાં આવ્યું છે. વર્તમાન મુખ્ય ચૂંટણી કમિશનર 14 મેના રોજ નિવૃત્ત થઈ રહ્યા છે. મહત્વનું છે કે રાજીવ કુમારની નિમણૂકને લઈને કાયદા મંત્રાલય દ્વારા નોટિફિકેશન બહાર પાડવામાં આવ્યું છે. રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદે રાજીવ કુમારની નિમણૂક કરી છે. કાયદા મંત્રાલય દ્વારા જાહેર કરાયેલ એક સૂચનામાં કહેવામાં આવ્યું છે કે વર્તમાન મુખ્ય ચૂંટણી કમિશનર સુશીલ ચંદ્રા 14 મેના રોજ તેમના પદ પરથી નિવૃત્ત થઈ રહ્યા છે. રાજીવ કુમાર તેમના પછી 15 મેના રોજ કાર્યભાર સંભાળશે.

રાજીવ કુમાર 1984 બેચના IAS છે. 2 સપ્ટેમ્બર, 2020 ના રોજ ચૂંટણી કમિશનર તરીકેનો ચાર્જ સંભાળનાર કુમાર 15 મે 2022 થી 18 ફેબ્રુઆરી 2025 સુધી આ પદ સંભાળશે. 19 ફેબ્રુઆરીના રોજ તેમના 65મો જન્મ દિવસ છે. બંધારણ મુજબ ચૂંટણી કમિશનરોનો કાર્યકાળ છ વર્ષ અથવા 65 વર્ષની ઉંમર સુધીનો હોય છે. ભારત સરકારમાં 36 વર્ષથી વધુની સેવા દરમિયાન રાજીવ કુમારે કેન્દ્રના વિવિધ મંત્રાલયોમાં અને બિહાર, ઝારખંડના રાજ્યની કેડરમાં કામ કર્યુ છે. તેઓ B.Sc, LLB, PGDM અને MA પબ્લિક પોલિસીની શૈક્ષણિક ડિગ્રી ધરાવે છે. રાજીવ કુમારને સામાજિક ક્ષેત્ર, પર્યાવરણ અને જંગલો, માનવ સંસાધન, નાણાં અને બેંકિંગ ક્ષેત્રોમાં બહોળો કાર્ય અનુભવ છે.