રાજકોટ શહેરના નવલ નગર વિસ્તારમાં ૩૧ મે ૨૦૧૮ના રોજ છરી મારી મારુતિ મેવાડા નામના વ્યક્તિની હત્યા કરવામાં આવી હતી. જ્યારે કે સમગ્ર ઘટનામાં લક્ષ્મણભાઈ ઉર્ફે લખન મેવાડાને ઇજા પણ પહોંચી હતી. ત્યારે સમગ્ર ઘટનામાં ડીસ્ટ્રીક જજ આર.ટી.વાછાણી દ્વારા ipc કલમ ૩૦૨ના ગુનામાં આરોપી કાનજી ઉર્ફેક કાનો ઉર્ફે લાલો ડાવેરાને આજીવન સખત કેદની સજા તેમજ ૫૦,૦૦૦ રૂપિયાનો દંડ હુકમ સંભળાવવામાં આવ્યો છે.
આ સાથે સાથે ipc ની કલમ ૩૦૭ના ગુનામાં ૧૦ વર્ષની સજા તેમજ ૩૦ હજાર રૂપિયાનો દંડનો હુકમ સંભળાવવામાં આવ્યો છે. જ્યારે કે આઈપીસીની કલમ ૩૨૬ના ગુનામાં આરોપીને પાંચ વર્ષની સજા તથા દસ હજાર રૂપિયાનો દંડનો હુકમ સંભળાવવામાં આવ્યો છે. સમગ્ર મામલે એડિશનલ પબ્લિક પ્રોસિક્યુટર તરીકે કમલેશભાઈ ડોડીયા દ્વારા કોર્ટમાં દલીલ કરવામાં આવી હતી કે, ૨૦૧૮ ની સાલમાં માત્ર ઘર પાસે વાહન પાર્ક કરવા જેવી બાબતે થયેલ માથાકૂટમાં આરોપી કાનજી ઉર્ફેક કાનો ઉર્ફે લાલા દ્વારા પોતાના ઘરેથી છરી લાવીને મરણ જનાર મારુતિ મેવાડા તેમજ તેમના ભાઈ લક્ષ્મણ ઉર્ફે લખનને ઈજા પહોંચાડવામાં આવી હતી.
આમ નાની એવી બાબતમાં પણ આરોપી દ્વારા હત્યા જેવું ગુનાહિત કૃત્ય આચરવા માટેની માનસિકતા ધરાવવામાં આવી હતી. ત્યારે સમગ્ર મામલે જે તે સમયે એફએસએલના અધિકારીઓ દ્વારા સ્થળ પરીક્ષણ કરી રિપોર્ટ પણ આપવામાં આવેલ હતો. બનાવ બન્યા બાદ ઇજા પામનારાઓને સૌપ્રથમ દોશી હોસ્પિટલ અને ત્યારબાદ મધુરમ હોસ્પિટલ ખાતે સારવાર લેવામાં આવી હતી.
ઉલ્લેખનીય છે કે, જે તે સમયે એક્ઝિક્યુટિવ મેજિસ્ટ્રેટ ની હાજરીમાં મરણ જનારનું ડીડી પણ લેવામાં આવ્યું હતું. તેમજ પ્રોસિટ્યુશન તરફથી ૨૬ સાહેબોની જુબાની પણ કોર્ટ સમક્ષ લેવામાં આવી હતી. સમગ્ર મામલે કોર્ટ દ્વારા નવ આરોપીઓ પૈકી આઠ આરોપીઓને નિર્દોષ જાહેર કરવામાં આવ્યા છે. જ્યારે કે એક આરોપીને તકસીરવાન ઠહેરાવિને સજા સંભળાવવામાં આવી છે.