અજાણ્યા શખ્સે બેંકના ગ્રાહક સેવા નંબર પર ફોન કરી પોતાને લશ્કર-એ-તૈયબાના ‘CEO’ તરીકે ઓળખ આપી હતી
નવીદિલ્હી તા. 17
ભારતીય રિઝર્વ બેંકના ગ્રાહક સેવા નંબર પર બોમ્બની ધમકી મળી હતી, ફોન કરનારે પોતાને લશ્કર-એ-તૈયબાના “CEO” તરીકે ઓળખાવતા સેન્ટ્રલ બેંકને ઉડાવી દેવાની ધમકી આપી હતી. સૂત્રોના જણાવ્યા અનુસાર આ કોલ સવારે લગભગ 11 વાગે આવ્યો હતો. ધમકી આપનાર વ્યક્તિએ પહેલા ફોન પર ગીત ગાયું અને પછી ધમકી આપી કે તે ભારતીય રિઝર્વ બેંકને બોમ્બથી ઉડાવી દેશે. લશ્કર-એ-તૈયબા આતંકવાદી જૂથ એ સંગઠન છે જેણે 2008ના મુંબઈ આતંકવાદી હુમલાને અંજામ આપ્યો હતો, જેને ભારતના સૌથી ભયંકર આતંકવાદી હુમલાઓમાંનો એક ગણવામાં આવે છે. મુંબઈ પોલીસે આ ધમકી અંગે કેસ નોંધ્યો છે અને હવે તેઓ આરોપીઓને શોધવાનો પ્રયાસ કરી રહી છે.
બોમ્બની ધમકી એવા સમયે આવી છે જ્યારે એરલાઇન્સને છેલ્લા બે મહિનામાં અનેક હોક્સ બોમ્બની ધમકીઓનો સામનો કરવો પડ્યો છે, જેના કારણે સેંકડો ફ્લાઇટ્સ રદ કરવામાં આવી છે. તાજેતરમાં જ નાગપુરથી કોલકાતા જતી ઈન્ડિગોની ફ્લાઈટને બોમ્બની ધમકીને પગલે રાયપુરમાં ઈમરજન્સી લેન્ડિંગ કરવું પડ્યું હતું, પરંતુ બાદમાં આ ધમકી ખોટી નીકળી હતી. કેન્દ્ર સરકારે આ મુદ્દાને ગંભીરતાથી લીધો છે અને સોશિયલ મીડિયા પ્લેટફોર્મ્સને ચેતવણી આપી છે કે જો તેઓ આવી ખોટી માહિતી ફેલાવતી સામગ્રી સામે કડક પગલાં નહીં લે તો તેઓ ભારતમાં જે વિશેષ છૂટ મેળવે છે તે ગુમાવી શકે છે. ઈન્ફોર્મેશન ટેક્નોલોજી મંત્રાલયે એક એડવાઈઝરી જારી કરીને કહ્યું છે કે બોમ્બની આ પ્રકારની ધમકીઓ માત્ર નાગરિકોને જ અસર કરતી નથી, પરંતુ દેશની આર્થિક સુરક્ષાને પણ જોખમમાં મૂકે છે.
ગયા મહિને બોમ્બની ધમકીનો બીજો કિસ્સો પ્રકાશમાં આવ્યો હતો, જેમાં છત્તીસગઢમાં એક શાળા છોડી દેનાર વિદ્યાર્થીએ તેના મિત્રને ફસાવવા માટે બોમ્બની નકલી ધમકી આપી હતી. આ મામલો પણ પાછળથી એક કાવતરા તરીકે પ્રકાશમાં આવ્યો હતો. આવી નકલી ધમકીઓના વધતા જતા કિસ્સાઓ સુરક્ષા એજન્સીઓ માટે ચિંતાનો વિષય બની ગયા છે અને તેને રોકવા માટે કડક કાર્યવાહી કરવામાં આવી રહી છે. અગાઉ ફ્લાઈટને ઉડાવી દેવાની ધમકી પણ આપવામાં આવી હતી. ગયા ગુરુવારે (14 નવેમ્બર) મુંબઈ એરપોર્ટ પર બોમ્બની ધમકી મળી હતી. કોઈ અજાણ્યા વ્યક્તિએ મુંબઈ એરપોર્ટ પર તૈનાત CISFને ફોન કરીને એરપોર્ટને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી આપી હતી. આ પછી એરપોર્ટ પર તૈનાત સુરક્ષાકર્મીઓ સહિત અન્ય લોકો ડરી ગયા હતા. ધમકી આપનાર વ્યક્તિએ સીઆઈએસએફના કર્મચારીને ફોન કરીને કહ્યું હતું કે એરપોર્ટ પર બોમ્બ રાખવામાં આવ્યો છે. તપાસમાં જાણવા મળ્યું કે મોહમ્મદ નામનો વ્યક્તિ વિસ્ફોટક સામગ્રી સાથે મુંબઈથી અઝરબૈજાન જવાની યોજના બનાવી રહ્યો હતો.
