રાજકોટના શિવાલયો હર હર મહાદેવના નાદથી ગુંજી ઉઠ્યા:રામનાથ મંદિરમાં 24 કલાક અભિષેકની વ્યવસ્થા

0
2264

રાજકોટના શિવાલયો હર હર મહાદેવના નાદથી ગુંજી ઉઠ્યા:રામનાથ મંદિરમાં 24 કલાક અભિષેકની વ્યવસ્થા

શ્રાવણ માસનો આજથી પ્રારંભ થયો છે.બે વર્ષ બાદ લોકો મન મૂકીને શિવજીની ભક્તિ આરાધનાનો લાભ લઈ રહ્યા છે.શિવાલયોને શણગાર કરાયા છે અને વહેલી સવારથી જ ભક્તો શિવજીના દર્શન માટે પહોંચી ગયા હતા.રાજકોટ શહેરમાં પ્રસિદ્ધ રામનાથ મહાદેવ મંદિર, પંચનાથ, જાગનાથ, મહાકાલેશ્ર્વર મહાદેવ મંદિર,કાશીવિશ્વનાથ મંદિર ધારેશ્વર, મહાકાલેશ્વર, સહિતના મંદિરોમાં વહેલી સવારથી જ ભકતો અભિષેક, પૂજન, અર્ચન માટે ઉમટી પડયા હતાં.

 

પંચનાથ મંદિર ખાતે દર સોમવારે વિશેષ શણગાર

શહેરના પ્રસિદ્ધ પંચનાથ મહાદેવના મંદિરમાં પણ ભક્તોની ભીડ જોવા મળી હતી. શ્રાવણ માસના ચારે સોમવાર વિવિધ દર્શન ભક્તો કરી શક્શે.પ્રથમ સોમવારે શિવ પરિવાર, બીજા સોમવારે માર્કંડ ઋષિના દર્શન, ત્રીજા સોમવારે ગંગા અવતરણ અને ચોથા સોમવારે વિષ્ણુસહસ્ત્રનામ દર્શન- શણગાર કરાશે. જ્યારે બપોરે 11.45 કલાકે રાજભોગ આરતી થશે. આખો શ્રાવણ માસ બ્રહ્મ ભોજનનું આયોજન કરવામાં આવ્યું છે. તેમજ અમાસના દિવસે પંચનાથદાદાની નગરયાત્રા યોજાશે. જે શહેરના મુખ્ય માર્ગો પર ફરશે.નીજ મંદિરની બહાર ગાગર-તપેલી જેવું એક વાસણ રાખવામાં આવશે. જેમાં ભક્તોએ દૂધ પધરાવ્યા બાદ પૂજારીઓ અભિષેક કરી શકશે.

પ્રાચીન એવા રામનાથ મંદિરે 24 કલાક અભિષેક

રામનાથ મંદિરે આખી રાત દુગ્ધ- જળાભિષેક કરી શકાશે. તેમજ વ્યવસ્થા માટે રામનાથ મંદિરે દર્શન માટે બાઉન્સર મુકવામાં આવશે. જે ભક્તોને નીજ મંદિર સુધી પહોંચાડશે.