દિલની દગાખોરી વધુ ત્રણ લોકોની જિંદગીને ખતમ કરી ગઇ
પચ્ચીસ દિવસના બાળક સહિત ત્રણ લોકોના બેભાન હાલતમાં થયા મૃત્યુ: સિવિલ હોસ્પિટલમાંં ફર્યુ કાળચક્ર
દર્શનસિંહ જાડેજા દ્વારા
રાજકોટ મિરર, તા. 20
રોજબરોજ દિલની દગાખોરીથી લોકોના મૃત્યુ થઇ રહ્યા છે. વયોવૃધ્ધની સાથે સાથે યુવાન અને આધેડના હૃદય પણ તેમને દગો આપી રહ્યા છે. વધુ આવી ત્રણ ઘટનામાં લાયબ્રેરીના નિવૃત ક્લાર્ક અને બે મહિલા સહિત ત્રણ લોકોના મૃત્યુ થયા છે. જ્યારે બેભાન હાલતમાં પચ્ચીસ દિવસના બાળક, એક આધેડ અને એક વૃધ્ધાનો જીવ ગયો હતો. આ તમામ મૃતકોના સ્વજનોમાં શોક છવાઇ ગયો હતો.
વિગતો પર નજર કરીએ તો રૈયા ટેલિફોન એક્ષચેન્જ પાછળ અનામિકા સોસાયટીમાં રહેતાં પાંસઠ વર્ષના મનહરભાઇ દેશાજીભાઇ પરમાર ઘરે બેભાન થઇ જતાં સિવિલમાં ખસેડાયા હતાં. પરંતુ અહિ મૃત્યુ થયું હતું. તેઓ જીલ્લા લાયબ્રેરીના નિવૃત ક્લાર્ક હતાં. ચાર ભાઇ બે બહેનમાં ત્રીજા હતાં. સંતાનમાં ત્રણ દિકરી અને એક દિકરો છે. બનાવથી પરિવારમાં શોક છવાઇ ગયો હતો. તેમને હાર્ટએટેક આવી ગયાનુંં જાહેર થયું હતું.
અન્ય એક બનાવમાંં માયાણી ચોક ચંદ્રેશનગર-2માં રહેતાં એકાવન વર્ષના સરોજબેન હિતેષભાઇ ખોખર ઘરે બેભાન થઇ જતાં સિવિલમાં ખસેડાયેલ. પરંતુ તબિબે મૃત જાહેર કરતાં પરિવારમાં ગમગીની છવાઇ ગઇ હતી. હાર્ટએટેક આવી ગયાનું જણાવાયું હતું. તેમના પતિ પ્રાઇવેટ નોકરી કરે છે. ત્રીજા બનાવમાં ગોંડલ રોડ વાવડી પાસે વિશ્ર્વકર્મા સોસાયટીમાં રહેતાં એકાવન વર્ષના રાજકુમારીબેન રામસિંગભાઇ ગુરખા ઘરે બેભાન થઇ ઢળી પડતાં સિવિલ હોસ્પિટલમાં ખસેડાયેલ. પરંતુ અહિ મૃત્યુ થયું હતું. તેમના પતિનું છ મહિના પહેલા જ અવસાન થયું હતું. સંતાનમાં બે પુત્ર છે જે પ્રાઇવેટ નોકરી કરે છે. આ બંને દિકરાએ છ મહિનામાં જ માતા-પિતા બંને ગુમાવી દેતાં ગમગીની વ્યાપી ગઇ હતી. ત્રણેય બનાવમાં સિવિલ હોસ્પિટલ પોલીસ ચોકીના આસી. સબ ઇન્સ. રામશીભાઇ વરૂ, ધર્મેન્દ્રભાઇ હુદડ, ભાવેશભાઇ મકવાણાએ યુનિવર્સિટી, માલવીયાનગર, તાલુકા પોલીસને જાણ કરી હતી. રોજ બની રહેલી હાર્ટએટેકથી મોતથી ઘટનાઓમાં આ વધુ ત્રણનો ઉમેરો થયો હતો.
ચોથા બનાવમાં સાધુ વાસવાણી રોડ પર કશ્યપનગરમાં રહેતાં લાલાભાઇ સોહલાનો 25 દિવસની વય ધરાવતો પુત્ર રવિ ઘરે બેભાન થઇ જતાં સારવાર માટે ખસેડાયો હતો. પરંતુ મોત થયું હતું. મૃતક રવિ બે બહેનથી નાનો હતો. તેના પિતા લાલાભાઇ ચાની હોટેલ ચલાવે છે. રવિને શ્ર્વાસની બિમારી હોઇ સવારે તબિયત બગડ્યા બાદ મૃત્યુ થયું હતું. બનાવથી પરિવારમાં શોક છવાઇ ગયો હતો.
પાંચમા બનાવમાં જામનગર રોડ ખંઢેરી સ્ટેડિયમ નજીક સદ્દભાવના વૃધ્ધાશ્રમમાં સડસઠ વર્ષના રાણીબેન ડાયાભાઇ ચોૈહાણ બેભાન થઇ જતાં સિવિલ હોસ્પિટલમાં ખસેડાયા હતાં. પરંતુ અહિ મૃત્યુ થતાં પડધરી પોલીસને જાણ કરવામાં આવી હતી. જ્યારે છઠ્ઠા બનાવમાં ગાંધીગ્રામ નંદનવન પાછળ નાણાવટી ચોકમાં આરએમસી ક્વાર્ટર 656માં રહેતાં મનસુખભાઇ મનજીભાઇ સોલંકી નામના ઓગણપચાસ વર્ષના આધેડ ઘરે બેભાન થઇ જતાં સિવિલ હોસ્પિટલમાં ખસેડાયા હતાં. પરંતુ મૃત્યુ થયુ હતું. તેમને સંતાનમાં બે પુત્રી અને એક પુત્ર છે. તે બિમાર હોઇ પથારીવશ હતાં.
