નવીદિલ્હી, તા. 25
જમ્મુ અને કાશ્મીરના પહેલગામમાં થયેલા આતંકવાદી હુમલાની આકરી નિંદા કરવામાં સમગ્ર વિશ્વ ભારતની સાથે ઉભું છે. અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ, રશિયન રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિન ઉપરાંત, ઘણા યુરોપિયન અને આરબ દેશોએ આતંકવાદ સામેની લડાઈમાં ભારતને સમર્થન આપવાની ખાતરી આપી છે. દરમિયાન, યુએસ ગુપ્તચર વડા તુલસી ગબાર્ડે પહેલગામ હુમલાને ઇસ્લામિક હુમલો ગણાવ્યો છે અને કહ્યું છે કે આતંકવાદીઓને પકડવા માટે અમેરિકા ભારતને દરેક રીતે મદદ કરશે. તુલસી ગબાર્ડે કહ્યું છે કે આ મુશ્કેલ સમયમાં અમેરિકા ભારતની સાથે ઉભું છે.
શુક્રવારે સોશિયલ મીડિયા પ્લેટફોર્મ ઇન્સ્ટાગ્રામ પર એક પોસ્ટમાં, તુલસી ગબાર્ડે લખ્યું, પહેલગામમાં 26 હિન્દુઓને નિશાન બનાવતા ભયાનક ઇસ્લામિક આતંકવાદી હુમલા પર અમે ભારત સાથે એકતામાં ઉભા છીએ. મારી પ્રાર્થના અને સંવેદનાઓ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી અને ભારતના તમામ લોકો સાથે છે જેમણે પોતાના પ્રિયજનો ગુમાવ્યા છે. તેમણે વધુમાં કહ્યું, અમે તમારી સાથે છીએ અને આ જઘન્ય હુમલો કરનારા લોકોને પકડવામાં અમે તમને સંપૂર્ણ સહયોગ આપીશું.
આ પહેલા અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે કાશ્મીરમાં થયેલા આતંકવાદી હુમલાની નિંદા કરતા કહ્યું હતું કે આતંકવાદ સામે અમેરિકા ભારતની સાથે મજબૂતીથી ઉભું છે. હુમલા પછી, તેમણે વડા પ્રધાન નરેન્દ્ર મોદી સાથે ફોન પર વાત પણ કરી. ટ્રમ્પે ટ્રુથ સોશિયલ પર એક પોસ્ટમાં કહ્યું હતું કે, “કાશ્મીરથી ખૂબ જ ચિંતાજનક સમાચાર આવ્યા છે. અમેરિકા આતંકવાદ સામે ભારતની સાથે મજબૂતીથી ઉભું છે. અમે માર્યા ગયેલા લોકોના આત્માની શાંતિ અને ઘાયલોના સ્વસ્થ થવા માટે પ્રાર્થના કરીએ છીએ. વડાપ્રધાન મોદી અને ભારતના લોકોને અમારો સંપૂર્ણ ટેકો અને ઊંડી સહાનુભૂતિ છે. અમારી સંવેદના તમારા બધા સાથે છે. રશિયાના રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિને પણ કાશ્મીરના પહેલગામમાં થયેલા આતંકવાદી હુમલાની કડક નિંદા કરી છે. પુતિને તેને ભયંકર ગુનો ગણાવ્યો છે અને કહ્યું છે કે આવા કૃત્ય માટે કોઈ વાજબીપણું હોઈ શકે નહીં. તેમણે આ હુમલામાં માર્યા ગયેલા પ્રવાસીઓ પ્રત્યે ઊંડી સંવેદના વ્યક્ત કરી અને આતંકવાદ સામે આંતરરાષ્ટ્રીય એકતાની જરૂરિયાત પર પણ ભાર મૂક્યો.
