ગોંડલના ચંદ્રમોૈલેશ્ર્વર મંદિરમાં બની ઘટના: ગંભીર ઇજા પામનારા ધર્મેન્દ્રસિંહ ઝાલા રાજકોટમાં સારવાર હેઠળ
મુંબઇ રહી કોન્ટ્રાકટ રાખી કામ કરતાં આધેડ બે મહિનાથી વતન આવ્યા છે: બેભાન હોઇ નિવેદન નોંધવાનું બાકી
રાજકોટ: અગાઉના સમયમાં કેટલાક લોકો અલગ અલગ કારણોસર મંદિરમાં જઇ પોતાના ગળા પર કટાર, છરી કે તલવાર ફેરવીને પોતાનો ભોગ આપી દેતાં હતાં. તેને લોકો કમળપૂજા તરીકે ઓળખે છે. કંઇક આવી જ એક ઘટના રાજકોટ જીલ્લાના ગોંડલમાં બનતાં ચકચાર જાગી છે. અહિ રહેતાં એક આધેડ કે જે મહાદેવના પરમ ભક્ત છે તેણે મહાદેવના મંદિરમાં જઇ પોતાના ગળા પર છરી હુલાવી કમળપૂજાનો પ્રયાસ કરતાં ગંભીર ઇજા થતાં સારવાર માટે ગોંડલની હોસ્પિટલમાં ખસેડાયા હતાં. ત્યાંથી વધુ સારવાર માટે રાજકોટ સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવતાં અહિ ગંભીર હાલતમાં સારવાર હેઠળ છે. આ ઘટનાથી ગોંડલ પંથકમાં ચકચાર મચી ગઇ છે.
ચોંકાવનારી અને ચકચાર જગાવનારી આ ઘટનાની જાણવા મળેલી માહિતી પર નજર કરીએ તો મુજબ ગોંડલમાં જેતપુર રોડ પર આસોપાલવ સોસાયટી શેરી નં. 1માં રહેતાં સુડતાલીસ વર્ષના ધર્મેન્દ્રસિંહ મહેન્દ્રસિંહ ઝાલા નામના આધેડે મંગળવારે સવારે અગિયારેક વાગ્યે ભોજપરા વિસ્તારમાં નુતન સ્કૂલ પાસે આવેલા શ્રી ચંંદ્ર મોૈલેશ્ર્વર મંદિરે હતાં ત્યારે પોતાના ગળા પર છરી ફેરવી કમળપૂજાની કોશીષ કરતાં ગંભીર હાલતમાં ગોંડલની હોસ્પિટલમાં ખસેડાયા હતાં. ત્યાંથી વધુ સારવાર માટે બપોરે રાજકોટ સિવિલ હોસ્પિટલમાં ખસેડાયા છે.
ગંભીર ઇજા પામનાર ધર્મેન્દ્રસિંહ ઝાલા મહાદેવ-શીવજીના પરમ ભક્ત છે. સંતાનમાં એક પુત્ર અને એક પુત્રી છે. બે ભાઇમાં મોટા છે, પોતે મુંબઇ ખાતે કોન્ટ્રાક્ટ રાખી કામ કરે છે. બે મહિનાથી રજા પર આવ્યા છે. પોતે આવુ શા માટે કર્યુ? તે અંગે તેઓ કંઇ બોલી શકતા ન હોઇ પરિવારજનો પણ વધુ વિગતો જણાવતાં નથી. રાજકોટ સિવિલ હોસ્પિટલ પોલીસ ચોકીના રામશીભાઇ વરૂ અને ભાવેશભાઇ મકવાણાએ ગોંડલ પોલીસને જાણ કરી છે.
