કૃષ્ણદત રાવલે તંત્રનું ધ્યાન દોરતા બહાર આવ્યું સ્કેમ
વકીલ કિશન ચાવડા તલાટી મંત્રી તથા સબ રજીસ્ટ્રારની સંડોવણી ખુલી : વધુ તપાસ હાથ ધરાય તો 30 થી 35 દસ્તાવેજો ખોટા હોવાનું પણ આવી શકે છે બહાર
રાજકોટ, તા. 13
રાજકોટના જંકશન વિસ્તારમાં આવેલી સબ રજીસ્ટારની અસલી કચેરી ખાતે બોગસ દસ્તાવેજને લગતું કૌભાંડ 15 મહિનાથી ધમધમી રહ્યું હોવાનું સામે આવ્યું છે. સબ રજીસ્ટાર અતુલ દેસાઈ દ્વારા કરાર આધારિત કોમ્પ્યુટર ઓપરેટર સુપરવાઈઝર જયદીપ ઝાલા, વકીલ કિશન ચાવડા અને પૂર્વ કરાર આધારિત કોમ્પ્યુટર ઓપરેટર હર્ષ સોની સહિતના વિરુદ્ધ પોલીસ ફરિયાદ નોંધાવાઈ છે. હાલમાં પોલીસ દ્વારા આરોપીઓને પકડવા માટે કુલ 3 પોલીસ સ્ટેશનની બે બે ટીમ મળી કુલ 6 ટીમો બનાવવામાં આવી છે. જયદીપ ઝાલાની ધરપકડ કરી લેવામાં આવી છે. તો સાથે જ આરોપી પાસેથી કેટલીક ચીજવસ્તુઓ પણ ગુનાના કામે કબજે કરવામાં આવી છે. નકલી દસ્તાવેજોનું કૌભાંડ જેના કારણે પ્રકાશમાં આવ્યું તેવા રૈયા સર્વે 277 પૈકી 1 જેમનાં નામે બિનખેતી થયું છે તેવા સરોજબેનના રૂદ્રદત્તભાઈ રાવલના પુત્ર અને કોંગી અગ્રણી કૃષ્ણદત્ત રાવલે રાજકોટ મિરરને માહિતી આપતાં જણાવ્યું હતું કે તેમની જગ્યા રૈયા 277 પૈકી એક બિનખેતી થયેલ જગ્યા છે જેના પર 400 વાર ઉપરના 109 પ્લોટ ઉભા કરવામાં આવ્યા હતા જે સરોજબેન રુદ્રદત ભાઈ રાવલ ના નામે છે. એટલું જ નહીં તેઓ જણાવ્યું હતું કે આ સમગ્ર જે 109 પ્લોટ છે તેમાંથી 42 નંબરનો પ્લોટ સરોજબેન રાવલ ના નામનો હતો જેને આજ દિન સુધી વેચવામાં આવ્યો નથી પરંતુ ખોટી એન્ટ્રી માટે એડવોકેટ કિશન ચાવડા મારફત સમગ્ર કારસ્તાન આચરવામાં આવ્યું હતું. એની જાણ તેઓને એ સમય થઈ કે જ્યારે તેઓ તેમના માતૃશ્રીનું પ્રોબેટ કાઢવા માટે બે નંબરનો હક પત્ર કાઢવા પહોંચ્યા જ્યાં રયાના મંત્રી મયુરભાઈ ની સાંઠગાંઠના પગલે ખોટી અરજી ઉભી કરવામાં આવી હતી. વધુમા કોંગ્રી અગ્રણી કૃષ્ણદત રાવલે રાજકોટ મિરર સાથે વાતચીત કરતાં જણાવ્યું હતું કે નિયમ છે કે 2015 પહેલાંના દસ્તાવેજ હોય તો તેમાં પહેલા મંત્રીએ મૂળ માલિકને પૂછવું પડે પરંતુ જ્યારે બોગસ એન્ટ્રી પાડવામાં આવી ત્યારે આ અંગે કોઈ વાત કે ફોન કરવામાં આવ્યો ન હતો.
જે બાદ આરોપીઓ દ્વારા 17 ઓક્ટોબર 2023 ના રોજ ખોટી એન્ટ્રી પાડવામાં આવી હતી જે અંગેની જાણ થતા જ પાંચ ઓક્ટોબર 2024 ના રોજ પશ્ચિમ મામલતદાર મહેશ શુક્લા સમક્ષ લેખિત અરજી કરવામાં આવી. તમામ દસ્તાવેજો ની ચકાસણી કર્યા બાદ મામલતદારે એક્શન લેવાનું નક્કી કર્યું. વધુમાં તેઓ જણાવ્યું હતું કે વકીલ કિશન ચાવડા, તલાટી મંત્રી તથા રજીસ્ટ્રાર સાથે તેઓ જોડાયેલા હતા. આ અંગે જો ગંભીરતાપૂર્વક તપાસ કરવામાં આવે તો હજુ 30 થી 35 દસ્તાવેજ ખોટા હોવાનું બહાર આવી શકે છે.
પોલીસે આરોપીઓને પકડવા ચક્રો ગતિમાન કર્યા છે. હર્ષ સોનીના ઘરે પોલીસના દરોડામાં નકલી દસ્તાવેજ બનાવવાની સામગ્રી મળી આવી હતી. આ સમગ્ર ઘટના જોતા નકલી દસ્તાવેજનું કૌભાંડમાં મોટા નેટવર્કનો પર્દાફાશ થઈ શકે તેવી શક્યતા છે. પોલીસ દ્વારા સબ રજીસ્ટર કચેરીમાં રહેલા કર્મચારીઓની પણ પૂછપરછ કરવામાં આવશે. હજુ પણ અનેક લોકોની સંડોવણી ખુલે તેવી પ્રબળ શક્યતાઓ છે.રાજકોટમાં સબ રજીસ્ટાર અતુલ દેસાઈ સહિતના આરોપીઓએ કૌભાંડ કરતા પહેલા 1972 પૂર્વેની એવી મિલકતો કે જેમાં આજ દિવસ સુધી કોઈ ખરીદ વેચાણનું મુવમેન્ટ જોવા ન મળ્યું હોય તેવી 17થી વધુ મિલકતોના દસ્તાવેજી રેકોર્ટ સાથે ખેલ
કર્યો હતો.
કોન્ટ્રાક્ટ પરના લોકોને નહીં પરંતુ સરકારી કર્મચારીઓને ડોક્યુમેન્ટેશન સ્કેનનું સોપવુ જોઈએ કામ
હાલ તજજ્ઞ લોકોના જણાવ્યા અનુસાર આ થવા પાછળનું સૌથી મોટું કારણ એ છે કે કોન્ટ્રાક્ટ પરના લોકોને નહીં પરંતુ સરકારી કર્મચારીઓને ડોક્યુમેન્ટેશન સ્કેનનું કામ સોપવું જોઈએ જેથી આ પ્રકારની ગેરરીતિ નો થાય. હાલ જે રીતે કોન્ટ્રાક્ટ ઉપરના જે લોકો જવાબદારી સોંપવામાં આવી છે તેઓ આ તમામ રેકોર્ડ પર ધ્યાન કેન્દ્રિત કરતા હોય છે અને લાંબા સમયથી જે મિલકતમાં ખરીદ વેચાણ થયું ન હોય તેની અલગ યાદી કરી તેનામાં કૌભાંડ આચરવામાં આવતું હોય છે ત્યારે હવે આ વાતની ગંભીરતાને ધ્યાને લઈને સરકારી કર્મચારીઓએ ખરેખર આ મહત્વપૂર્ણ જવાબદારી સંભાળવી જોઈએ નહીં કે આ જવાબદારી કોઈ કોન્ટ્રાક્ટના કર્મચારીઓને આપવી.
