પાંચ એકર ગૌ-ચરની જમીન પર ગામના જ અસામાજિક તત્ત્વોએ દબાણ કર્યાનો આક્ષેપ
રાજકોટ મિરર, તા. 23
રાજકોટ તાલુકાનાં ખીજડીયા ગામના સરપંચની આગેવાનીમાં ખેડૂતો કલેકટર કચેરી ખાતે પહોંચ્યા હતા અને રજૂઆત કરી આક્ષેપ કર્યો હતો કે ગામમાં અસામાજિક તત્વો દ્વારા ગૌચરની 5 એકર જમીન પર દબાણ કરવામાં આવ્યું છે. જેને કારણે ખીજડીયા અને ગૌરીદડ વચ્ચેનો મુખ્ય રસ્તો પણ બંધ થઈ ગયો છે આ બાબતે અગાઉ તાલુકા વિકાસ અધિકારી અને જિલ્લા વિકાસ અધિકારી સહિતના અને રજૂઆત પણ કરેલી છે પરંતુ તેમને તરફથી એવો જવાબ મળે છે કે તમારી પાસે પૂરતા કાગળિયા નથી જેને કારણે ડિમોલિશન અટક્યું છે ત્યારે આજે ખેડૂત દિવસે ગામના તમામ ખેડૂતો અહીં એકત્ર થયા છે અને કલેક્ટરને વિનંતી કરીએ છીએ કે ગૌચરની જમીન પરથી દબાણ દૂર કરવામાં આવે અન્યથા ખેડૂતો દ્વારા આત્મવિલોપન કરવામાં આવશે.ગોપાલ સિંહ રેવરે જણાવ્યું હતું કે, અમારા ગામમાં ગૌચરની જમીન ઉપર અસામાજિક તત્વો દ્વારા દબાણ કરવામાં આવેલું છે. તેમના વિરુદ્ધ કલેક્ટરને આવેદનપત્ર આપેલું છે. 5 એકર ગૌ ચરની જમીન આવેલી છે જેના ઉપર દબાણ કરવામાં આવ્યું છે. જેને કારણે ખીજડીયા – ગૌરી દળનો જાહેર માર્ગ બંધ કરવામાં આવ્યો છે. ગૌ ચર માટે ગ્રામ પંચાયતને નોટિસ આપવાની હોય તે પણ આપેલી છે મામલતદાર કચેરી ઉપરાંત તાલુકા વિકાસ અધિકારી અને જિલ્લા વિકાસ અધિકારીને પણ રજૂઆત કરવામાં આવેલી છે. તેમણે જણાવ્યું હતું કે ગૌચરની જમીન ઉપર દબાણ જે છે તે રમેશભાઈ ભનુભાઈ કમાણી દ્વારા કરવામાં આવેલું છે. જે બહારના અસામાજિક તત્વ છે. તેમણે ત્યાં જગ્યા લીધી છે અને બધું દબાણ કરીને રાખ્યું છે. અમે જ્યારે રજૂઆત કરી ત્યારે એવો જવાબ મળ્યો કે તમારી પાસે અપૂરતા કાગળો છે. તેના હિસાબે ડિમોલિશન અટકાવવામાં આવ્યું છે. અમારી કલેક્ટરને એ જ વિનંતી છે કે આ ખેડૂતો ખૂબ જ મુશ્કેલીમાં છે. જેથી ગૌચરની જમીન પરનું દબાણ દૂર કરવામાં આવે અને અમને ન્યાય મળે તેટલી જ માંગણી છે. આ સાથે જ ગૌચરની જમીન પરનો બંધ રસ્તો ખુલ્લો કરાવવામાં આવે તે જરૂરી છે. જો આ બાબતમાં નિર્ણય નહીં આવે તો પછી અમે તમામ ખેડૂતો આત્મવિલોપન કરશું. આજે ખેડૂત દિવસના દિવસે ત્રણ ખેડૂતો આત્મવિલોપન કરવા માટે તૈયાર છે. ગૌચરની જમીન ઉપર થયેલું દબાણ તાત્કાલિક પણે દૂર કરવામાં આવે તેવી સરપંચે કલેક્ટર સમક્ષ માગણી કરી હતી અન્યથા ખેડૂતો દ્વારા અન ઇચ્છનીય પગલું ભરવામાં આવશે તેવી ચિમકી પણ ઉચ્ચારી હતી.
કલેકટરને રજૂઆત કર્યા બાદ સંતોષકારક જવાબ મળતા ખેડૂતો દ્વારા હાલ ઘડી આત્મવિલોપન ટાળવામાં આવ્યું છે.આગામી દસ દિવસની અંદર પ્રશ્નના નિરાકરણ પાછળ સંતોષકારક કામગીરી કરવાની કલેકટરની ખાતરી અપાય છે.ખેડૂતોએ કલેકટરના આશ્વાસનને ધ્યાને રાખી હાલ આત્મદાહ કરવાનું માંડી વાળ્યું છે.
